10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટ આવશે બજારમાં, કેન્દ્ર સરકારે RBIના પ્રસ્તાવને આપી મંજૂરી
દેશમાં ટૂંક સમયમાં 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક એટલે કે પોલિમર (Polymer) નોટો જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના મહત્વના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ પ્રથમ તબક્કામાં પોલિમર નોટોનું ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવશે. જો આ પરીક્ષણ સફળ રહેશે તો ભવિષ્યમાં આ નોટોને નિયમિત ચલણમાં સામેલ કરવામાં આવશે. રાજ્ય નાણા પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. સરકારના આ નિર્ણય બાદ દેશની ચલણી નોટોની વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલિમર નોટો ઘણા દેશોમાં સફળતાપૂર્વક ઉપયોગમાં લેવામાં આવી રહી છે અને હવે ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. 100-100 કરોડ પોલિમર નોટોનું થશે ફિલ્ડ ટ્રાયલ રાજ્ય નાણા પ્રધાનના જણાવ્યા અનુસાર ભારતીય રિઝર્વ બેંકે RBI એક્ટ, 1934ની કલમ 25 હેઠળ કેન્દ્ર સરકાર પાસે 10 અને 20 રૂપિયાની 100-100 કરોડ પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી. સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ફિલ્ડ ટ્રાયલ દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં આ નોટો ચલણમાં મૂકવામાં આવશે. આ દરમિયાન નોટોની ગુણવત્તા, ટકાઉપણું, વિવિધ હવામાનમાં તેની સ્થિતિ અને સામાન્ય લોકો દ્વારા તેનો સ્વીકાર કેવો મળે છે તેનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવશે. જો પરીક્ષણ સફળ રહેશે તો RBI આગામી સમયમાં આ નોટોને નિયમિત રીતે ચલણમાં સામેલ કરવાનો નિર્ણય લઈ શકે છે. કાગળની નોટો હાલ બંધ નહીં થાય કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે પોલિમર નોટો શરૂ થયા બાદ પણ હાલની કાગળની 10 અને 20 રૂપિયાની નોટો બંધ કરવામાં આવશે નહીં. બંને પ્રકારની નોટો એકસાથે ચલણમાં રહેશે. સરકારનું કહેવું છે કે ફિલ્ડ ટ્રાયલનો હેતુ માત્ર નવી ટેક્નોલોજીનું પરીક્ષણ કરવાનો છે. પરિણામો સંતોષકારક આવ્યા બાદ જ આગામી નિર્ણય લેવામાં આવશે. તેથી હાલ લોકો પાસે રહેલી કાગળની નોટો સંપૂર્ણપણે માન્ય રહેશે. પોલિમર નોટ શું છે? પોલિમર નોટ ખાસ પ્રકારના પ્લાસ્ટિક જેવા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે. આ નોટો સામાન્ય કાગળની નોટોની સરખામણીએ વધુ મજબૂત, ટકાઉ અને સુરક્ષિત હોય છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર સહિત અનેક દેશોમાં વર્ષોથી પોલિમર નોટોનો સફળ ઉપયોગ થઈ રહ્યો છે. આ નોટોમાં વિશેષ સુરક્ષા સુવિધાઓ ઉમેરવી સરળ હોય છે, જેના કારણે નકલી નોટો બનાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે. પોલિમર નોટોના મુખ્ય ફાયદા 1. વધુ ટકાઉ પોલિમર નોટો કાગળની નોટોની સરખામણીએ ઘણા લાંબા સમય સુધી ઉપયોગમાં રહી શકે છે. તે સરળતાથી ફાટતી નથી અને વધુ મજબૂત હોય છે. 2. ખર્ચમાં બચત નોટોની આયુષ્ય વધુ હોવાથી વારંવાર નવી નોટો છાપવાની જરૂરિયાત ઓછી રહેશે. પરિણામે નોટોના ઉત્પાદન અને જૂની નોટોના નિકાલ પાછળ થતો ખર્ચ પણ ઘટશે. 3. નકલી નોટો પર નિયંત્રણ પોલિમર નોટોમાં ટ્રાન્સપરન્ટ વિન્ડો, વિશેષ સુરક્ષા પટ્ટી અને અદ્યતન સિક્યોરિટી ફિચર્સ ઉમેરવામાં આવી શકે છે. જેના કારણે નકલી નોટો બનાવવી ખૂબ મુશ્કેલ બની જશે અને ચલણી નોટોની સુરક્ષા વધશે. 4. પાણી અને ભેજથી ઓછું નુકસાન પોલિમર નોટો પાણી, ભેજ અને ધૂળ સામે વધુ પ્રતિરોધક હોય છે. વરસાદ કે ભેજવાળા વાતાવરણમાં પણ આ નોટો લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહે છે. 5. સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ પોલિમર નોટોની સપાટી સરળ હોવાથી તેમાં ગંદકી ઓછી ચોંટે છે અને તેને સાફ રાખવી પણ સરળ બને છે. આ કારણે સ્વચ્છતા જાળવવામાં પણ મદદ મળે છે. ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ નિર્ણય? ભારતમાં દર વર્ષે કરોડો ચલણી નોટો ખરાબ થઈ જતી હોવાથી RBIને નવી નોટો છાપવા માટે મોટો ખર્ચ કરવો પડે છે. જો પોલિમર નોટો સફળ રહેશે તો લાંબા ગાળે સરકારનો ખર્ચ ઘટી શકે છે અને ચલણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બની શકે છે. આ ઉપરાંત નકલી નોટોની સમસ્યા સામે લડવામાં પણ પોલિમર નોટો અસરકારક સાબિત થઈ શકે છે. અદ્યતન સુરક્ષા સુવિધાઓના કારણે છેતરપિંડીના બનાવોમાં ઘટાડો થવાની પણ શક્યતા છે. હવે આગળ શું? કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ RBI હવે 10 અને 20 રૂપિયાની પોલિમર નોટોનું ફિલ્ડ ટ્રાયલ શરૂ કરશે. ટ્રાયલ પૂર્ણ થયા બાદ તેના પરિણામોના આધારે નક્કી કરવામાં આવશે કે આ નોટોને સમગ્ર દેશમાં નિયમિત ચલણ તરીકે અમલમાં મૂકવી કે નહીં. હાલ માટે સામાન્ય લોકોને કોઈ ખાસ ફેરફાર કરવાની જરૂર નથી. કાગળની હાલની 10 અને 20 રૂપિયાની નોટો સંપૂર્ણપણે માન્ય રહેશે. જો પોલિમર નોટો સફળ સાબિત થશે તો આગામી સમયમાં ભારતીય ચલણ વ્યવસ્થામાં એક મોટો અને આધુનિક ફેરફાર જોવા મળી શકે છે. Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive X : https://x.com/bindia276
Indiaનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું, $725.727 અબજનો નવો રેકોર્ડ
ભારતીય અર્થતંત્ર માટે ગર્વના સમાચાર સામે આવ્યા છે. દેશનું વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે. Reserve Bank of India (RBI) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ 13 ફેબ્રુઆરીએ પૂર્ણ થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 8.66 અબજ ડોલર વધીને 725.727 અબજ ડોલરના ઓલ-ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યું છે. મુખ્ય આંકડાઓ પર એક નજર – કુલ ફોરેક્સ રિઝર્વ: $725.727 અબજ (નવો રેકોર્ડ) – સાપ્તાહિક વધારો: $8.66 અબજ – વિદેશી ચલણ અસ્કયામતો (FCA): $3.55 અબજનો વધારો, કુલ $573.603 અબજ – ગોલ્ડ રિઝર્વ: $128.466 અબજ સુધી પહોંચ્યું સોનાના ભંડારમાં જંગી તેજી RBIના રિપોર્ટ મુજબ સોનાના ભંડારની કિંમતમાં 4.99 અબજ ડોલરનો મોટો ઉછાળો નોંધાયો છે, જેના પરિણામે ગોલ્ડ રિઝર્વ 128.466 અબજ ડોલર સુધી પહોંચ્યું છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવ વચ્ચે આ વધારો નોંધપાત્ર માનવામાં આવી રહ્યો છે. વધારો થવા પાછળના મુખ્ય કારણો આર્થિક નિષ્ણાતોના મતે ફોરેક્સ રિઝર્વમાં આ મજબૂતી પાછળ કેટલાક મુખ્ય પરિબળ જવાબદાર છે: – ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની પ્રગતિ – ભારત-US વચ્ચેની વચગાળાની ટ્રેડ ડીલથી વધેલો રોકાણકાર વિશ્વાસ – વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા સતત રોકાણ – ભારતીય રૂપિયામાં આવેલી સુધારાત્મક વૃદ્ધિ આયાત અને દેવા માટે મજબૂત સ્થિતિ હાલ ભારત પાસે એટલું વિદેશી ભંડાર છે કે તે લગભગ એક વર્ષ સુધીની આયાતની જરૂરિયાતો અને બાકી વિદેશી દેવાના આશરે 96 ટકા હિસ્સાને આવરી લેવા માટે પૂરતું છે. આ સ્થિતિ ભારતને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ સામે વધુ મજબૂત બનાવે છે. ફોરેક્સ રિઝર્વમાં આ ઉછાળો ભારતીય અર્થતંત્રની સ્થિરતા અને વૈશ્વિક સ્તરે વધતા વિશ્વાસનો સંકેત માનવામાં આવી રહ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ન્યૂઝક્લિક સામે ED ની કાર્યવાહી, ફટકારી 184 કરોડની પેનલ્ટી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ન્યૂઝક્લિક અને તેના એડિટર ઇન ચીફ પ્રબીર પુરકાયસ્થ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ 184 કરોડ રૂપિયાની નોટિસ જારી કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી વિદેશી મુદ્રા નિયમોના ઉલ્લંઘનને લઈને કરવામાં આવી છે. આદેશ મુજબ, ન્યૂઝક્લિક સ્ટૂડિયો પ્રાઇવેટ લિમિટેડ પર 120 કરોડ અને મુખ્ય સંપાદક પ્રબીર પુરકાયસ્થ પર 64 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની આ કાર્યવાહી, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ફંડ સંબંધિત ખોટી માહિતી આપી હોવા અને સેવાઓ કે નિકાસની ખોટી જાહેરાત કરવા બદલ કરવામાં આવી છે. ન્યૂઝક્લિકે હજુ સુધી આ મામલે પ્રતિક્રિયા આપેલી નથી. ED એ આ કેસમાં પહેલું પગલું સપ્ટેમ્બર 2021માં લીધું હતું. તે સમયે, ન્યૂઝક્લિકના ન્યૂ દિલ્હી ઓફિસ પર દરોડા કરવામાં આવ્યા અને મુખ્ય સંપાદક રાકેશ કાયસ્થ સહિત 25 થી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા. ન્યૂઝપોર્ટલ અને તેના સ્થાપકો પર સીબીઆઇ અને ED દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ, મની લોન્ડરિંગ અને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ઉલ્લંઘન સહિતની તપાસ ચાલુ છે. યાદ રાખવા જેવી વાત એ છે કે ન્યૂઝક્લિકની સ્થાપના 2009માં થઈ હતી અને તેનું પોતાનું વેબસાઇટ કહે છે કે તે ભારત અને અન્ય દેશોમાં પ્રગતિશીલ આંદોલનોને કવર કરતું સ્વતંત્ર મીડિયા પોર્ટલ છે. પરંતુ 2023માં, ભારતીય રાજકીય દળો દ્વારા ન્યૂઝક્લિક અને તેના પ્રમોટરો પર ભ્રષ્ટાચાર અને વિદેશી ફંડિંગ અંગેના આરોપ લગાવવામાં આવ્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
OTP શેર કરવાથી ફ્રોડની જવાબદારી ગ્રાહકની, બેન્ક નહીં: કન્ઝયુમર કમિશનનો નિર્ણય
ડિસ્ટ્રિક્ટ કન્ઝયુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (સબર્બન)એ ઓનલાઇન ફ્રોડના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કમિશનનો કહેવું છે કે જો ગ્રાહકે પોતે છેતરપિંડી કરનાર સાથે વન-ટાઇમ પાસવર્ડ (OTP) અથવા બેન્ક વિગતો શેર કરી હોય, તો આવી પરિસ્થિતિમાં બેન્કને દોષી ઠેરવી શકાતું નથી. ફરિયાદીના જણાવ્યા મુજબ, જાન્યુઆરી ૨૦૨૨માં તેણે નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન રિન્યુ કરવાનું પ્રયાસ કર્યું અને ઇમેઇલમાં મળેલી લિંક પર કિલક કરી, કાર્ડની વિગતો અને HDFC બેન્કનો OTP શેર કર્યો. થોડી જ વાર પછી તેની પાસે ૧,૨૫,૬૬૫ રૂપિયા ડેબિટ થયાની સૂચના આવી, જયારે સબ્સ્ક્રિપ્શન ફક્ત ૭૯૯ રૂપિયું હતું. ફ્રોડના તાત્કાલિક જાણ કરતા બેન્ક અને પોલીસના સાઇબર સેલનો સંપર્ક કરવામાં આવ્યો. બેન્કે જણાવ્યુ કે OTP માન્ય હોવાથી ટ્રાન્ઝેક્શન સેફ મોડમાં થયું અને મદદ કરવી શક્ય નથી. કમિશને આ દલીલને માન્ય રાખ્યું અને કહ્યું કે ગ્રાહકની બેદરકારીને કારણે થયેલા નુકસાન માટે જવાબદારી ગ્રાહકની રહેશે, RBIના નિયમો અનુસાર. આ ચુકાદો તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ સંકેત છે કે OTP કે અન્ય સંવેદનશીલ માહિતી કોઈ સાથે ક્યારેય શેર ન કરવી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
‘તમારા પૈસા, તમારો અધિકાર’ અભિયાન અંતર્ગત રાજ્યમાં રૂ. 104 કરોડથી વધુની રકમ મૂળ ખાતેદારને પરત કરાઈ, અનક્લેમ્ડ રકમ છે આટલી
‘તમારા પૈસા, તમારો અધિકાર’ ટેગલાઈન હેઠળ રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનની શરૂઆત કેન્દ્રીય નાણા મંત્રી શ્રી નિર્મલા સિતારમનની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-૨૦૨૫માં ગુજરાતની રાજધાની ગાંધીનગરથી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં તા. ૩૧ ડિસેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ કુલ રૂ. 104.61 કરોડની રકમ એટલે કે, તેમની મહામૂલી મૂડી સ્વમાનભેર પરત કરાવામાં આવી છે. રાજ્યમાં આ અભિયાનના પ્રારંભથી ડિસેમ્બર-2025 સુધીમાં કુલ 26,874 દાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ દાવાઓની નિયમ મુજબની ખરાઈ કરીને સંબંધિત બેંકો દ્વારા ખાતેદારોને તેમની રકમ પરત કરવામાં આવી છે. આ ઝુંબેશ એક સરળ પણ શક્તિશાળી સંદેશ આપે છે કે નાગરિકો દ્વારા બચાવેલો દરેક રૂપિયો તેમને અથવા તેમના પરિવારને પરત કરવો જોઈએ. વધુમાં દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન ફક્ત કાગળ પરની એન્ટ્રીઓ નથી, તે સામાન્ય પરિવારોની મહેનતથી કમાયેલી માહામૂલી મૂડી-બચત છે. આ બચત શિક્ષણ, આરોગ્ય સંભાળ અને નાણાકીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે, તા. 31 ઓગસ્ટ, 2025 સુધીમાં દેશભરની વિવિધ બેંકોએ અંદાજે રૂ. 75 હજાર કરોડથી વધુ બિનદાવાપાત્ર થાપણો RBIને ટ્રાન્સફર કરી છે. આ ઉપરાંત RBI પાસે વીમા ક્ષેત્રમાં લગભગ રૂ. 14 હજાર કરોડ, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં રૂ. 3 હજાર કરોડ, કંપનીઓમાં રૂ. 9 હજાર કરોડ અને રૂ. 19 હજાર કરોડના મૂલ્યના શેર બિનઆયોજિત રીતે જમા છે. આમ, દેશમાં અંદાજે કુલ રૂ. 1.82 લાખ કરોડ રકમ અનક્લેમ્ડ છે. હવે સમયાંતરે આ રકમ પરત કરવાનું શરૂ થવાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ખૂબ મોટો ફાયદો થઇ રહ્યો છે. અંદાજે રૂ. 235 કરોડની રકમ અનક્લેમ્ડ પડી ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં અંદાજે રૂ. 2,836.80 કરોડ તેમજ વીમા કંપનીઓમાં અંદાજે રૂ. 235 કરોડની રકમ અનક્લેમ્ડ પડી છે, જેમાંથી આ અભિયાન થકી ડિસેમ્બર-2025 સુધીમાં રૂ. 104.61 કરોડની રકમ તેમને કરેલા દાવાઓ મુજબ પરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના તમામ વિભાગોમાં આ પ્રકારની રકમ માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવીને તેમના ઘર સુધી તેમના હક્કના નાણા પહોંચાડવામાં આવી રહ્યા છે. હકદાર છે તે પણ પાછું મેળવી શકે. આ અભિયાન એ જન ધન યોજના અને UPI થી લઈને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સુધી નાણાકીય સમાવેશમાં ભારતની વ્યાપક સિદ્ધિઓ પર આધારિત છે, જેથી નાગરિકો માત્ર નાણાકીય સેવાઓ સુધી જ નહીં પરંતુ જે હકદાર છે તે પણ પાછું મેળવી શકે. વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ ઝુંબેશ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ એમ ત્રણ માસ દરમિયાન ગુજરાત સહિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચલાવવામાં આવી છે. ડિજિટલ પ્રદર્શનો અને હેલ્પડેસ્ક નાગરિકોને તેમની દાવો ન કરાયેલી નાણાકીય સંપત્તિઓને સરળતાથી શોધી કાઢવા અને તેનો દાવો કરવામાં મદદ કરી રહી છે. નોંધનીય છે કે, નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા સંકલિત આ ઝુંબેશ, ભારતીય રિઝર્વ બેંક (RBI), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI), વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI), પેન્શન ફંડ નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (PFRDA), અને રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા ભંડોળ સત્તામંડળ (IEPFA), બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ અને પેન્શન સંસ્થાઓ સાથે એક સામાન્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
બેંકિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર: હવે બેંકોના જોખમ પ્રમાણે નક્કી થશે ડિપોઝિટ વીમો, જાણો વિગત
ભારતીય બેંકિંગ વ્યવસ્થાને વધુ મજબૂત, જવાબદાર અને પારદર્શક બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતો નિર્ણય લીધો છે. હૈદરાબાદમાં યોજાયેલી RBI સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 620મી બેઠકમાં બેંકો માટે જોખમ-આધારિત ડિપોઝિટ વીમા માળખા (Risk-based Deposit Insurance Framework) ને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ નવા માળખા હેઠળ હવે તમામ બેંકો માટે ડિપોઝિટ વીમાનું પ્રીમિયમ સમાન નહીં રહે, પરંતુ બેંકના જોખમના સ્તર અનુસાર નક્કી થશે. શું છે જોખમ-આધારિત ડિપોઝિટ વીમો? હાલ સુધી બેંકો તેમના જોખમની પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના સમાન દરે ડિપોઝિટ વીમાનું પ્રીમિયમ ચૂકવતી હતી. પરંતુ હવે જે બેંકનું વ્યવસાય મોડેલ વધુ જોખમી હશે, તેને વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. જ્યારે મજબૂત નાણાકીય સ્થિતિ અને સારા જોખમ વ્યવસ્થાપન ધરાવતી બેંકો પર ઓછો ભાર પડશે. RBIનું માનવું છે કે આ નિર્ણય બેંકોને વધુ શિસ્તબદ્ધ કામગીરી, સારા ગવર્નન્સ અને મજબૂત જોખમ વ્યવસ્થાપન તરફ પ્રેરિત કરશે. સાથે જ, થાપણદારોના હિતોનું રક્ષણ પણ વધુ અસરકારક રીતે થશે. આર્થિક સ્થિતિ અને ભવિષ્યના રોડમેપ પર ચર્ચા આ બેઠક RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિ, બેંકિંગ ક્ષેત્ર સામેના પડકારો અને ભવિષ્યની વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ સાથે જ, બોર્ડે વર્ષ 2024-25 માટેના ‘ભારતમાં બેંકિંગના વલણ અને પ્રગતિ’ (Trend and Progress of Banking in India) ના ડ્રાફ્ટ રિપોર્ટની પણ સમીક્ષા કરી. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય બેંકિંગ વ્યવસ્થાને સ્થિર અને સુરક્ષિત રાખવા અંગે નિષ્ણાતોએ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા. નાની અને મધ્યમ બેંકો માટે મહત્વપૂર્ણ નિર્ણય નિષ્ણાતોના મતે RBIનો આ નિર્ણય ખાસ કરીને નાની અને મધ્યમ કક્ષાની બેંકો માટે મહત્વનો સાબિત થશે. કારણ કે હવે બેંકની વિશ્વસનીયતા, જોખમ વ્યવસ્થાપન અને નાણાકીય શિસ્તનો સીધો પ્રભાવ તેમના વીમા પ્રીમિયમ પર પડશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
RBIએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, લોન થશે સસ્તી
શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક મોટી જાહેરાત કરી જેની લાખો લોન લેનારાઓ રાહ જોઈ રહ્યા હતા. વધતા જતાં ફુગાવા વચ્ચે EMI રાહતની આશા રાખતા ગ્રાહકો માટે આ એક મહત્વપૂર્ણ ભેટ છે. નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય બેઠક બાદ, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25% ઘટાડો કરીને 5.25% કરવાની જાહેરાત કરી. આનાથી ઘર, કાર અને વ્યક્તિગત લોન પર EMI માં ઘટાડો થવાનો માર્ગ મોકળો થયો છે. સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે MPC એ 3 થી 5 ડિસેમ્બર સુધીની પરિસ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરી હતી. રાષ્ટ્રીય વ્યાજ દરની સ્થિતિ, વૈશ્વિક આર્થિક વાતાવરણ, જાહેર ખરીદી માંગ અને સતત ઘટી રહેલા ફુગાવાને ધ્યાનમાં રાખીને, બધા સભ્યોએ સર્વાનુમતે રેપો રેટ ઘટાડવાનો નિર્ણય લીધો. હાલમાં, ભારતનું અર્થતંત્ર સારી સ્થિતિમાં છે. બીજા ક્વાર્ટરમાં GDP 8.2% વધ્યું હતું, અને ઓક્ટોબર 2025 માં છૂટક ફુગાવો માત્ર 0.25% હતો, જે અત્યાર સુધીનો સૌથી નીચો સ્તર હતો. આનાથી RBI માટે વ્યાજ દર ઘટાડવાની સારી તક મળી. લોન સસ્તી થશે રેપો રેટમાં ઘટાડાની સીધી અસર બેંક લોન પર પડશે. બેંકો હવે ઓછા વ્યાજ દરે RBI પાસેથી પૈસા ઉધાર લઈ શકશે, જેનો ફાયદો ગ્રાહકોને થશે. હોમ લોન EMI ઓછી થશે, ઓટો લોન સસ્તી થશે, અને વ્યક્તિગત લોન પર વ્યાજ દરમાં રાહત પણ શક્ય છે. આ પગલાથી તહેવારોની મોસમ પછી ગ્રાહકોના ખિસ્સામાં નોંધપાત્ર રાહત મળી શકે છે. આ સાથે જ MPC એ તેના નાણાકીય નીતિ તટસ્થ વલણને ચાલુ રાખવાની જાહેરાત કરી. આનો અર્થ એ થયો કે RBI તેની ભવિષ્યની નીતિઓમાં ફુગાવા અને વૃદ્ધિને સંતુલિત કરવાને પ્રાથમિકતા આપશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ભારતીય અર્થતંત્રને મોટો આંચકો: રૂપિયો પહેલીવાર ₹90 ના સ્તર સુધી તૂટ્યો, જાણો વિગત
ભારતીય ચલણ રૂપિયાએ મંગળવારે તેની ઇતિહાસની સૌથી મોટી ગિરાવટ નોંધાવી. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 42 પૈસા તૂટીને ₹89.95 પ્રતિ ડોલરના સ્તર પર બંધ રહ્યો. દિવસ દરમિયાન રૂપિયો પહેલીવાર ₹90.00 ના મનોવૈજ્ઞાનિક અને અત્યંત સંવેદનશીલ સ્તર સુધી તૂટી પડ્યો, જેના કારણે બજારમાં ભારે ગભરાટ ફેલાયો. રૂપિયામાં આટલી મોટી ગિરાવટ કેમ? રૂપિયાના પતન પાછળ અનેક પરિબળો જવાબદાર છે: – આયાતકારો દ્વારા ડોલરની ભારે માંગ – વેપારીઓનું ડોલર વેચાણ વિદેશી મૂડીની બહાર વેચાણ (FII Sell-off) સોમવારે જ FIIએ શેરબજારમાંથી ₹1,171.31 કરોડનું વેચાણ કર્યું હતું, જેના કારણે બજાર પર દબાણ વધ્યું અને સેન્સેક્સ 503 પોઈન્ટ તૂટીને 85,138.27 પર બંધ રહ્યો. કરન્સી નિષ્ણાતોની ચેતવણી કોટક સિક્યોરિટીઝના કરન્સી નિષ્ણાત અનિંદ્ય બેનર્જીએ રૂપિયાની સ્થિતિને ગંભીર ગણાવી. તેમણે જણાવ્યું “₹90 નું સ્તર તોડવું જોખમી સંકેત છે. જો રૂપિયો વધુ નબળો પડે, તો તે ઝડપથી ₹91 અથવા વધુ સ્તર તરફ ધસી શકે છે.” તેમણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ને તાત્કાલિક અને આક્રમક હસ્તક્ષેપ કરવાની સલાહ આપી છે જેથી સટ્ટાબાજોને અટકાવી શકાય અને રૂપીમાં અતિશય ઉતાર-ચઢાવને નિયંત્રિત કરી શકાય. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ભારતના GDPમાં FY26ના Q2માં 8.2% વૃદ્ધિ, અર્થતંત્ર ફરી મજબૂત પકડમાં
ભારતનું અર્થતંત્ર ફરી મજબૂત સ્થિતિમાં પ્રવેશ્યું છે. FY26ના બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) ભારતનો GDP 8.2% વૃદ્ધિ સાથે આગળ વધ્યો છે, જ્યારે પહેલા ત્રિમાસિકમાં આ વૃદ્ધિ 7.8% હતી. અર્થશાસ્ત્રીઓએ આ વખતે 7.3% વૃદ્ધિનો અનુમાન લગાવ્યો હતો, જ્યારે RBI અને સરકાર બંનેએ પહેલા 7% માન્યું હતું. સરકાર દ્વારા GSTમાં કાપ, તહેવાર પહેલાં સ્ટોકિંગ વધારવું અને ગ્રામીણ વિસ્તારોમાં માંગને પ્રોત્સાહન આપવા જેવા પગલાં આ વિકાસ દરને ઊંચો લાવવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે. પ્રાઇમરી સેક્ટર (કૃષિ અને માઇનિંગ)માં વૃદ્ધિ: – કૃષિ ક્ષેત્રમાં 3.5% વૃદ્ધિ, ગયા વર્ષની તુલનામાં થોડી ધીમી – માઇનિંગ સેક્ટરમાં સ્થિરતા, માત્ર 0.04% ઘટાડો – ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધાર અને સારા વરસાદના કારણે ખેતી સાથે જોડાયેલી ગતિવિધીઓ મજબૂત નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ જણાવ્યું છે કે, GSTમાં અપાયેલી છૂટ બાદ લોકો પાસે 2 લાખ કરોડ સુધીની બચત થઇ શકે છે, જેના કારણે બજારમાં ખર્ચ વધશે અને અર્થતંત્રમાં નવી ઊંચાઈઓ જોવા મળશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
















