સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: લિફ્ટ અકસ્માતમાં ડેવલોપર, મેઈન્ટેનન્સ કંપની અને બિલ્ડિંગ માલિક જવાબદાર ગણાશે
લિફ્ટ અકસ્માતોને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લિફ્ટમાં સર્જાતા અકસ્માત માટે માત્ર એક જ પક્ષને જવાબદાર ઠેરવી શકાય નહીં. લિફ્ટ બનાવનાર કંપની, તેની જાળવણી કરતી એજન્સી તેમજ બિલ્ડિંગ માલિક અથવા મેનેજમેન્ટની પણ જવાબદારી નક્કી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આજના સમયમાં લિફ્ટ માત્ર એક સુવિધા નથી, પરંતુ લોકોના રોજિંદા જીવન સાથે સીધી રીતે જોડાયેલું સુરક્ષા સાધન છે. તેથી લિફ્ટની ડિઝાઇન, સ્થાપન, નિયમિત તપાસ અને જાળવણીમાં બેદરકારી દાખવનાર દરેક પક્ષ સામે જવાબદારી નક્કી કરી શકાય છે. લિફ્ટને ‘Common Carrier’ તરીકે ગણાવી મહત્વપૂર્ણ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે લિફ્ટને જાહેર પરિવહનના સાધન સમાન ગણાવી તેને ‘Common Carrier’ તરીકે વ્યાખ્યાયિત કરી છે. કોર્ટનું કહેવું છે કે લિફ્ટમાં મુસાફરી કરનાર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી માત્ર લિફ્ટ ઓપરેટર સુધી મર્યાદિત નથી રહેતી. લિફ્ટ બનાવતી કંપનીએ ખાતરી કરવી પડશે કે તેની બનાવટ સુરક્ષાના તમામ ધોરણોને અનુરૂપ છે. જ્યારે જાળવણી કરતી એજન્સીની ફરજ છે કે તે સમયસર તપાસ કરે, ખામીઓ દૂર કરે અને લિફ્ટને સુરક્ષિત સ્થિતિમાં જ કાર્યરત રાખે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ કંપની અથવા સંસ્થા લિફ્ટમાં રહેલી ખામી વિશે જાણતી હોવા છતાં તેને દૂર કરવા માટે જરૂરી પગલાં લેતી નથી અને તેના કારણે અકસ્માત સર્જાય છે, તો તેને બેદરકારી માનવામાં આવશે. 2003ના દિલ્હીના લિફ્ટ અકસ્માત સાથે જોડાયેલો હતો કેસ સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય વર્ષ 2003માં દિલ્હીના CGO કોમ્પ્લેક્સ સ્થિત રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) કાર્યાલયમાં બનેલા લિફ્ટ અકસ્માત સાથે જોડાયેલો છે. આ ઘટનામાં લિફ્ટ નંબર-6માં 13 લોકો સવાર હતા. અચાનક લિફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતા તે અટકી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન રાજદ્વારી અધિકારી વિપિન હાંડા લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે લિફ્ટ અચાનક ચાલુ થઈ ગઈ હતી, જેના કારણે તેમનું દુઃખદ મોત થયું હતું. આ ઘટનાએ લિફ્ટની સુરક્ષા વ્યવસ્થા અને જાળવણી અંગે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા. તપાસમાં સામે આવી હતી અનેક ટેક્નિકલ ખામીઓ અકસ્મા બાદ કરવામાં આવેલી ટેક્નિકલ તપાસમાં અનેક મહત્વપૂર્ણ બાબતો સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે અકસ્માતગ્રસ્ત લિફ્ટ અગાઉ પણ વારંવાર બંધ પડી જતી હતી. આ ઉપરાંત લિફ્ટમાં વોલ્ટેજના ઉતાર-ચઢાવ, યોગ્ય જાળવણીનો અભાવ અને લિફ્ટ ઓપરેટરને પૂરતી તાલીમ ન હોવા જેવી ખામીઓ પણ સામે આવી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખીને જવાબદારી નક્કી કરવામાં આવી હતી. NCDRCએ અગાઉ નક્કી કરી હતી જવાબદારી આ કેસમાં અગાઉ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (NCDRC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો હતો. NCDRCએ લિફ્ટ બનાવનાર કંપની OTIS પર 70 ટકા, મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસિસ (MES) પર 25 ટકા અને R&AW પર 5 ટકા જવાબદારી નક્કી કરી હતી. સાથે જ પીડિત પરિવારને રૂ. 3.01 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને પડકારતા મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુરક્ષા ધોરણોનું પાલન કરવું ફરજિયાત સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ લિફ્ટનો ઉપયોગ કરતી સંસ્થાઓ, બિલ્ડિંગ માલિકો અને લિફ્ટ કંપનીઓ માટે જવાબદારી વધુ સ્પષ્ટ બની છે. હવે માત્ર લિફ્ટ સ્થાપિત કરવી પૂરતી નહીં ગણાય, પરંતુ તેની નિયમિત સર્વિસિંગ, સુરક્ષા તપાસ અને યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરવી જરૂરી રહેશે. નિષ્ણાતોના મતે, આ નિર્ણય રહેણાંક ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સરકારી કચેરીઓ અને અન્ય સ્થળોએ લગાવવામાં આવેલી લિફ્ટોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. બિલ્ડિંગ માલિકોની જવાબદારી પણ નક્કી થશે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થયું છે કે જો બિલ્ડિંગ માલિક અથવા મેનેજમેન્ટ લિફ્ટની જાળવણીમાં બેદરકારી દાખવે છે અથવા ખામી હોવા છતાં તેનો ઉપયોગ ચાલુ રાખે છે તો તેઓ પણ જવાબદાર ગણાઈ શકે છે. આ નિર્ણયથી બિલ્ડિંગ માલિકો અને મેનેજમેન્ટ માટે પણ એક સ્પષ્ટ સંદેશ ગયો છે કે લોકોની સુરક્ષા સાથે જોડાયેલી બાબતોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નહીં બને. લિફ્ટ સુરક્ષા માટે નવા માપદંડનો માર્ગ ખુલ્યો સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો લિફ્ટ અકસ્માતોના કેસોમાં ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની શકે છે. આ નિર્ણયથી પીડિતોને ન્યાય મેળવવામાં મદદ મળશે અને લિફ્ટની સુરક્ષા અંગે જવાબદારી વધુ સ્પષ્ટ થશે. કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયથી લિફ્ટ બનાવતી કંપનીઓ, મેઈન્ટેનન્સ એજન્સીઓ અને બિલ્ડિંગ માલિકોને હવે વધુ જવાબદારીપૂર્વક કામ કરવું પડશે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય. Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive X : https://x.com/bindia276
સુપ્રીમ કોર્ટે અરવલ્લી ગિરીમાળાના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા, જાણો વિગત
સુપ્રીમ કોર્ટે બુધવારે અરવલ્લી ગિરીમાળાની સંરક્ષણ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. કોર્ટે એ સુચના આપી છે કે જ્યાં સુધી અરવલ્લી ગિરીમાળાની ચોક્કસ વ્યાખ્યા નક્કી ન થાય અને તેનો એક નિષ્ણાતોનો સમિતિ દ્વારા અહેવાલ રજૂ ન કરવામાં આવે, ત્યાં સુધી નવી ખાણકામ લીઝ ઈસ્યુ કરવામાં આવશે નહીં. હાઈલેવલ કમિટી બનાવવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે તીવ્ર ટિપ્પણી કરતા જણાવ્યું કે અરવલ્લી ગિરીમાળાની વ્યાખ્યાને લઈને મૌલિક પ્રશ્નો હજુ અનુરાધિત છે. કોર્ટે આ મુદ્દે એક નિષ્ણાત સમિતિ બનાવી છે, જે આ વિસ્તારની સાચી વ્યાખ્યા પર રિપોર્ટ આપશે. પર્યાવરણ મંત્રાલયે આ સમિતિ માટે નામો પણ સૂચવવાની જવાબદારી લીધી છે. 100 મીટરનું નિયમ અને ખાણકામ પર પ્રતિબંધ અરવલ્લીની તાજેતરમાં થયેલી નવી વ્યાખ્યા (100 મીટરનો નિયમ) પર વિવાદ ચાલી રહ્યો છે. આ વ્યાખ્યા અનુસાર, હવે ફક્ત 100 મીટર અથવા તેમાંથી વધુ ઊંચી ટેકરીઓને અરવલ્લી શ્રેણી માનવામાં આવશે. આના કારણે, 100 મીટરથી નીચી ટેકરીઓમાં ખાણકામ, રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે માર્ગ ખોલી શકે છે. આ સુધારાની પરિપ્રેક્ષ્યમાં, પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અરવલ્લીના કુલ 1.44 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં માત્ર 0.19% અથવા 217 કિલોમીટરના વિસ્તારમાં જ ખાણકામની મંજૂરી આપવામાં આવી છે. CJI સૂર્યકાન્તની ટિપ્પણી સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ શ્રી સૂર્યકાન્તે કહ્યું કે અરવલ્લી શું છે, તે અંગે હજુ સુધી સ્પષ્ટતા ન હતી. આ ટિપ્પણી તે સમયે કરવામાં આવી જ્યારે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી એક દલીલ કરી રહ્યા હતા, જે 10 વર્ષથી વધુ સમયથી ખાણકામ લીઝ માટે કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા. નમ્રતા સાથે મોરેટોરિયમ સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે “અરવલ્લી ગિરીમાળાની સાચી વ્યાખ્યા ન મળ્યા સુધી, આ વિસ્તારમાં નવા ખાણકામ લીઝ પર મોરેટોરિયમ રહેશે.” એ સિવાય, જે લીઝ પહેલાથી જ ઈસ્યુ કરવામાં આવી છે, તે કાર્ય પણ રોકી આપવામાં આવશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
સુપ્રીમ કોર્ટે મોહમ્મદ શમીને નોટિસ ફટકારી, હસીન જહાંની ટ્રાન્સફર અરજી પર માંગ્યો જવાબ
મોહમ્મદ શમીને સુપ્રીમ કોર્ટે બુધવારે નોટિસ ફટકારી છે, જે હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં છે. હસીન જહાંએ કોલકાતામાં દાખલ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવા માંગ કરી છે, જેમાં ઘરેલુ હિંસા અધિનિયમ અને CrPC Section 125 હેઠળ ભરણપોષણ સંબંધિત કેસ સમાવિષ્ટ છે. હસીન જહાંની અરજીઓ હસીન જહાંએ પોતાની પુત્રીના શિક્ષણ અને પરિવારની નજીક રહેવાની જરૂરિયાત દર્શાવી, ટ્રાન્સફર માટે અરજી કરી છે. તેણી જણાવે છે કે મોહમ્મદ શમી ઘણીવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસે રહે છે, અને કોલકાતામાં કેસ લડવું તેના અને પુત્રી માટે મુશ્કેલ બની ગયું છે. અરજદારે જણાવ્યું છે કે તેણે પુત્રીના સર્વાંગી વિકાસ માટે દિલ્હીમાં રહેવું જરૂરી છે અને તેની પાસે સ્વતંત્ર આવક નથી, તેથી ટ્રાયલ માટે યોગ્ય સ્થળ દિલ્હીમાં હોવું જોઈએ. કેસની પૃષ્ઠભૂમિ હસીન જહાં અને મોહમ્મદ શમીની લગ્ન 7 એપ્રિલ, 2014ના રોજ થયા હતા અને 17 જુલાઈ, 2015માં પુત્રી જન્મી હતી. 2018માં હસીન જહાંએ મોહમ્મદ શમી અને તેના પરિવાર વિરુદ્ધ 498A, 328, 307, 376, 325 અને 34 કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. 2023માં સુપ્રીમ કોર્ટે સેશન્સ કોર્ટને વોરંટ સંબંધિત કાર્યવાહી એક મહિનાની અંદર પૂર્ણ કરવા જણાવ્યું હતું. ભરણપોષણ અને ટ્રાન્સફર માગ હસીન જહાંએ કોલકત્તા હાઈકોર્ટના દર મહિને 4 લાખ રૂપિયાનું ભરણપોષણ આદેશ પડકાર્યો છે અને દર મહિને 10 લાખ રૂપિયાનું ભરણપોષણ માંગ્યું છે. તે કહે છે કે કેન્દ્રસ્થાન દિલ્હીમાં ટ્રાયલ કરાવવી બંને પક્ષો માટે અનુકૂળ રહેશે. સુપ્રીમ કોર્ટ હવે મોહમ્મદ શમી પાસેથી હસીન જહાંની ટ્રાન્સફર અરજી પર સ્પષ્ટ જવાબ માગશે અને આગામી પ્રક્રિયા દરમિયાન કેસની યોગ્ય સ્થાનાંતરિત સુવિધા પર નિર્ણય કરશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
સુપ્રીમ કોર્ટનો દુષ્કર્મ કેસમાં મહત્ત્વનો નિર્ણય: નાડુ ખેંચવું, શરીરને સ્પર્શ કરવું હવે રેપમાં ગણાશે
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદાને રદ્દ કરતા કાયદામાં સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટના 17 માર્ચ 2025ના ચુકાદામાં પાયજામાની દોરી ખોલવા જેવા કૃત્યને રેપની તૈયારી તરીકે ગણાવવામાં આવ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે આ ગુનાને રેપના પ્રયાસ હેઠળ ગણાવવાનું નક્કી કર્યું છે. CJIનું માર્ગદર્શન: કરુણા અને સંવેદનશીલતા CJI Surya Kantની અધ્યક્ષતામાંની બેન્ચે કહ્યું કે ન્યાયાધીશોને કાનૂની સિદ્ધાંતો લાગુ કરવા સાથે કરુણા અને માનવતા પ્રદર્શિત કરવી ખૂબ જરૂરી છે. બેન્ચે જણાવ્યું કે કરુણા અને સહાનુભૂતિ વિના ન્યાયિક પ્રોસેસ યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં. મહિલા પ્રત્યે વધુ સંવેદનશીલતા માટે NGOની અપીલ “વી ધ વુમન” નામની NGOની સ્થાપક પ્રમુખ અને વરિષ્ઠ વકીલ Shobha Guptaએ મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા રાખવા સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી. આ અપીલના આધારે કોર્ટે POCSO એક્ટ હેઠળ બંને આરોપીઓ સામે રેપના પ્રયાસનો આરોપ ફરી લાગુ કર્યો. નવી માર્ગદર્શિકા નહીં, પરંતુ સમિતિનું નિર્માણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે નવા માર્ગદર્શિકા જાહેર નહીં કરવામાં આવે, પરંતુ ન્યાયાધીશો માટે સંવેદનશીલતા વધારવા માટે રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમીના ડિરેક્ટર જસ્ટિસ અનિરુધાં બોસને વિશેષ સમિતિ બનાવવા કહ્યું છે. આ સમિતિ જાતીય ગુનાઓ અને અન્ય સંવેદનશીલ કેસોમાં ન્યાયાધીશો અને ન્યાયિક પ્રક્રિયામાં સંવેદનશીલતા અને કરુણા કેવી રીતે કેળવવી તે અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
સોનમ વાંગચુકની મુક્તિ પર કેન્દ્રની ‘બ્રેક’: સુપ્રીમ કોર્ટમાં સરકારે રિહાઈનો કર્યો સખત વિરોધ
લદ્દાખના પર્યાવરણવિદ અને ‘રીયલ લાઈફ ફૂનસુખ વાંગડુ’ તરીકે ઓળખાતા સોનમ વાંગચુકની અટકાયતનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) હેઠળ તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે વાંગચુકને સ્વાસ્થ્યના આધારે મુક્ત કરી શકાય તેમ નથી, કારણ કે તેઓ મેડિકલ દ્રષ્ટિએ સંપૂર્ણપણે સ્વસ્થ છે. સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમના પતિનું સ્વાસ્થ્ય લથડી રહ્યું છે, તેથી તેમને જામીન આપવામાં આવે. જોકે, કેન્દ્ર સરકાર વતી રજૂ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે, “અટકાયત દરમિયાન અત્યાર સુધીમાં ૨૪ વખત વાંગચુકની મેડિકલ તપાસ કરવામાં આવી છે. તમામ રિપોર્ટ્સ મુજબ તેઓ શારીરિક રીતે સક્ષમ છે અને તેમને કોઈ ગંભીર બીમારી નથી.” લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની અને પર્યાવરણના રક્ષણ માટે વાંગચુક લાંબા સમયથી આંદોલન કરી રહ્યા હતા. સરકારે સુરક્ષાના કારણો અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કર્યો છે. સરકારનું માનવું છે કે તેમની મુક્તિથી સીમાવર્તી વિસ્તારોમાં અસ્થિરતા પેદા થઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલે વધુ દલીલો થશે. એક તરફ વાંગચુકના સમર્થકો તેને લોકશાહી અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ સરકાર રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોપરી માની રહી છે. સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય રિપોર્ટ્સ જોયા બાદ કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે, તેના પર આખા દેશની નજર ટકેલી છે. લદ્દાખના પહાડોમાંથી શરૂ થયેલી આ લડાઈ હવે દેશની સૌથી મોટી અદાલતના ગલિયારાઓમાં ગાજી રહી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
સોનમ વાંગચુકની જેલમુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટની સરકારને ટકોર: “તબિયત સારી નથી, અટકાયત પર પુનર્વિચાર કરો”
લદ્દાખને રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે આંદોલન ચલાવતા જાણીતા પર્યાવરણવાદી અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની અટકાયત મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પી.બી. વરાલેની બેન્ચે વાંગચુકના સ્વાસ્થ્ય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વાંગચુકના હેલ્થ રિપોર્ટ ચિંતાજનક છે અને તેમની વધતી ઉંમર તથા તબિયતને ધ્યાનમાં રાખીને માનવીય અભિગમ અપનાવી અટકાયતના આદેશ પર પુનર્વિચાર કરવો જોઈએ તેવી મૌખિક ટિપ્પણી કરી હતી. કેન્દ્ર સરકારનો ગંભીર આરોપ: ‘આરબ સ્પ્રિંગ’ જેવી ક્રાંતિની કોશિશ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલે વાંગચુકની મુક્તિનો કડક વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે વાંગચુકે લેહમાં લોકોને ઉશ્કેર્યા હતા, જેના પરિણામે થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. કેન્દ્ર સરકારે એવો પણ આરોપ લગાવ્યો કે વાંગચુકે નેપાળ, બાંગ્લાદેશ અને ‘આરબ સ્પ્રિંગ’ જેવી ઘટનાઓના ઉદાહરણો આપીને સરકાર વિરુદ્ધ જનતાને ભડકાવવાનો પ્રયાસ કર્યો, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર જોખમ સમાન છે. પત્નીની અરજી: અટકાયત ગેરકાયદેસર અને મનસ્વી બીજી તરફ, વાંગચુકની પત્ની ગીતાંજલી એંગ્મોએ નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળની અટકાયતને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. વાંગચુક તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે પોલીસે પસંદગીના વિડિયોના આધારે વાંગચુકને નિશાન બનાવ્યા છે. સિબ્બલના જણાવ્યા અનુસાર, વાંગચુકે જાહેરમાં હિંસાની નિંદા કરી હતી અને તેઓ હંમેશા લદ્દાખના શાંતિપૂર્ણ અને લોકશાહી માર્ગે આંદોલનના સમર્થક રહ્યા છે. ત્રણ દાયકાથી શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિને અચાનક ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવવી અયોગ્ય છે, તેવી દલીલ કરવામાં આવી. હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ હાલમાં સોનમ વાંગચુક જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે પણ સુનાવણી ચાલુ રહેશે. હવે જોવાનું એ રહેશે કે વાંગચુકની તબિયતને ધ્યાનમાં રાખીને સરકાર નરમ વલણ અપનાવે છે કે નહીં. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી કેસની થશે સુનાવણી, જાણો વિગત
સુપ્રીમ કોર્ટ અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા સંબંધિત વિવાદની સુનાવણી આગામી સમયમાં કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની વેકેશન બેન્ચ, જેમાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે, આ મામલાની સુનાવણી કરશે. 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની સમાન વ્યાખ્યાને મંજૂરી આપી હતી. આ વ્યાખ્યા અનુસાર, અરવલ્લી પર્વતમાળા એવી જમીન ગણાશે જેની ઊંચાઈ આસપાસના વિસ્તારમાંથી 100 મીટર કે તેથી વધુ હોય, અને જો બે કે તેથી વધુ ટેકરીઓ 500 મીટરના અંદર આવેલ હોય, તો તેને અરવલ્લી પર્વતમાળામાં સમાવિષ્ટ ગણવામાં આવશે. વ્યાખ્યામાં ટેકરીઓ, તેમના ઢોળાવ, આસપાસની જમીન અને સંબંધિત ભૂમિ સ્વરૂપોનો સમાવેશ થશે. આ નિર્ણય અરવલ્લી પર્વતમાળાની સુરક્ષા અને તેનું સંરક્ષણ વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
અરવલ્લી વિવાદ પર પર્યાવરણ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું-“90 ટકાથી વધુ વિસ્તાર સુરક્ષિત, ખનનને……”
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે અરવલ્લીની નવી પરિભાષા બદલવાથી મોટા પાયે ખનનને મંજૂરી આપવામાં આવી રહી હોવાના દાવા ખોટા અને ભ્રામક છે. પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલો માળખો અરવલ્લી ક્ષેત્રને અગાઉ કરતાં વધુ મજબૂત સુરક્ષા આપે છે. પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ અરવલ્લી વિસ્તારના 90 ટકા કરતાં વધુ ભાગને સંરક્ષિત ક્ષેત્ર તરીકે આવરી લેવામાં આવ્યો છે. જ્યાં સુધી સમગ્ર મેનેજમેન્ટ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી નવા ખનન પટ્ટાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ યથાવત્ રહેશે. પરિભાષા બદલવાથી ચિંતા, સરકારે આપી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે અરવલ્લી પહાડીઓની એકસમાન પરિભાષાને મંજૂરી આપ્યા બાદ પર્યાવરણવિદો અને નાગરિકોમાં ચિંતા જોવા મળી હતી. આ અંગે સ્પષ્ટતા કરતાં મંત્રીએ કહ્યું કે ખનનને છૂટ આપવામાં આવી રહી હોવાની વાત સંપૂર્ણપણે ખોટી છે અને જનમાનસમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. એકસમાન નિયમોની જરૂર કેમ પડી? સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવલ્લી વિસ્તારમાં ખનનને લઈને અલગ-અલગ રાજ્યોમાં જુદા માપદંડો લાગુ હતા, જેના કારણે ગૂંચવણ અને દુરુપયોગ થતો હતો. કેટલાક વિસ્તારોમાં પહાડોની તળેટી સુધી ખનન થતું હોવાથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે મે 2024માં એક વિશેષ સમિતિની રચના કરી હતી. સમિતિની રચના અને ભલામણ પર્યાવરણ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિમાં રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને દિલ્હી સહિતના રાજ્યોના પ્રતિનિધિઓ તથા તકનીકી નિષ્ણાતો સામેલ હતા. સમિતિના અભ્યાસમાં જાણવા મળ્યું કે વર્ષ 2006થી રાજસ્થાનમાં અરવલ્લીની સ્પષ્ટ પરિભાષા અમલમાં છે અને તેને અન્ય રાજ્યો દ્વારા અપનાવવાની સહમતિ થઈ. શું છે નવી પરિભાષા? નવી પરિભાષા અનુસાર, આસપાસની ભૂ-આકૃતિ કરતાં 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂ-આકારોને પહાડી ગણવામાં આવશે. આવી પહાડીઓને આવરી લેતા બાઉન્ડિંગ કન્ટૂરની અંદર આવતો સમગ્ર વિસ્તાર ખનન માટે પ્રતિબંધિત રહેશે, ભલે અંદરના ભાગની ઊંચાઈ કે ઢાળ કંઈ પણ હોય. સરકારે સ્પષ્ટ કર્યું છે કે 100 મીટરનો માપદંડ ખનનની છૂટ માટે નહીં, પરંતુ પહાડી પ્રણાલી ઓળખવા માટેનો વૈજ્ઞાનિક ધોરણ છે. ખનનનો હકીકતી આંકડો સરકારી આંકડાઓ મુજબ રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના અરવલ્લી વિસ્તારોમાં કાયદેસર ખનન કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 0.19 ટકા જેટલું છે. દિલ્હીમાં આવેલા અરવલ્લીના પાંચ જિલ્લાઓમાં કોઈપણ પ્રકારનું ખનન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ગેરકાયદેસર ખનન સૌથી મોટો ખતરો સરકારનું કહેવું છે કે અરવલ્લી માટે સૌથી મોટો ખતરો ગેરકાયદેસર અને અનિયંત્રિત ખનન છે. તેને રોકવા માટે ડ્રોન, સેટેલાઇટ અને આધુનિક મોનીટરીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ કોર અને ઇનવાયોલેટ વિસ્તારો ઓળખીને ત્યાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
BLO માટે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, રાજ્ય સરકારોને કામનો ભાર ઘટાડવા અપિલ
બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા કામના ભાર અને તાજેતરમાં બનેલાં દુઃખદ બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારો તેમજ રાજ્ય ચૂંટણી પંચોને માનવતાવાદી ધોરણે BLOની કામગીરીમાં રાહત આપવા અપીલ કરી છે. ગુરુવારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચીની બેન્ચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈનાત BLOને અતિશ્વ કામHours આપવામાં આવી રહ્યાં હોવાની બાબતને ગંભીરતાથી લીધી. એપેક્સ કોર્ટે સ્પષ્ટ કર્યું કે BLOને ફરજો બજાવવાની ફરજ છે, પરંતુ સરકારો તેમની તરફ માનવતાવાદી અભિગમ અપનાવે તે અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટના ત્રણ મુખ્ય નિર્દેશ સુપ્રીમ કોર્ટે BLO પર વધતા દબાણને ઘટાડવા માટે નીચેના ત્રણ સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા: 1. કામના કલાકોમાં છૂટ રાજ્ય સરકારો BLO માટે કાર્ય સમય ઘટાડે જેથી તેમના પર વધુ તાણ ન પડે. 2. SIR કામગીરી માટે વધારાની ફોર્સ BLO પરનો વધારાનો ભાર ઘટાડવા માટે બીજી એજન્સીઓ અથવા કર્મચારીઓની મદદ લેવાય. 3. માનવતાવાદી અભિગમ BLOને ફરજો બજાવાની ફરજ છે, પરંતુ રાજ્યોએ તેમની પરિસ્થિતિને સમજતા જરૂરી રાહત આપવી જોઈએ. તાજેતરના બનાવોથી ચકચાર આ મુદ્દો ત્યારે ગંભીર બન્યો જ્યારે મેરઠમાં BLO મોહિત ચૌધરીએ વધારે કામના બોજાને કારણે જંતુનાશક દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ હાથરસ જિલ્લાના સિકંદરાવમાં BLO કમલકાંત શર્માનું મોત થયું હતું, જેનાથી કામના દબાણનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો. રાજ્યોને તાત્કાલિક પગલાં લેવા અપીલ સુપ્રીમ કોર્ટે કહ્યું કે BLO ચૂંટણી પ્રક્રિયાનું મહત્વપૂર્ણ અંગ છે અને તેમના કલ્યાણને અનદેખું કરી શકાય નહીં. રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ તાત્કાલિક અસરથી BLOની પરિસ્થિતિ સુધારવા માટે વ્યવહારુ પગલાં ભરે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત
દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટએ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ અશ્લીલ અને માનસિક અસર પહોંચાડનારા કન્ટેન્ટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, “મોબાઇલમાં એપ ખોલતા જ એવો કન્ટેન્ટ સામે આવી જાય છે, જે જોવો યોગ્ય નથી. સમાજ પર આનો પ્રતિકૂળ પ્રભાવ પડી રહ્યો છે.” કોર્ટએ સ્પષ્ટ કર્યું કે— – OTT અને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ શરૂ થવા પહેલાં સ્પષ્ટ એલર્ટ અને ડિસ્ક્લેમર ફરજિયાત હોવા જોઈએ. – માત્ર 18+ પ્રેક્ષકો પર ફોકસ પૂરતું નથી; જાહેર વપરાશ માટે અયોગ્ય સામગ્રીથી સમાજને સુરક્ષિત કરવી જરૂરી છે. – કન્ટેન્ટ જોવા માટે ઉંમર ચકાસણી માટે આધાર જેવી ઓથન્ટિક સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે. – આવી વ્યવસ્થાઓ આજે જરૂરિયાત છે જેથી જવાબદાર ડિજિટલ સમાજનું નિર્માણ થઈ શકે. ન્યાયાધીશ બાગચીએ જણાવ્યું કે વાંધાજનક સામગ્રી વાયરલ થવામાં માત્ર થોડો સમય જ લાગે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે, “ક્યારેક કન્ટેન્ટ 48 કલાક પછી પણ દૂર થાય ત્યારે સુધીમાં તે લાખો લોકો સુધી પહોંચી જાય છે. તેથી નિયમન જરૂરી છે.” કોર્ટએ સૂચવ્યું કે એક ઉચ્ચ સ્તરીય સમિતિ રચવી જોઈએ જેમાં મીડિયાના નિષ્ણાતો, ન્યાયતંત્ર, અને ટેકનોલોજી ક્ષેત્રના સભ્યોનો સમાવેશ થાય. આ સમિતિ પાયલોટ પ્રોજેક્ટ તરીકે પ્રસ્તાવિત નિયમોનો અભ્યાસ કરી શકે. આ કેસ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ નો ઉલ્લેખ પણ થયો, જેમાં ન્યૂઝ બ્રોડકાસ્ટર્સે નિયમોને સેન્સરશિપ ગણાવ્યા હતા. પ્રતિભાવમાં કોર્ટએ સ્પષ્ટ કર્યું કે, “સેન્સરશીપ નહીં પરંતુ સામગ્રીનું જવાબદાર નિયંત્રણ જરૂરી છે.” આગામી સુનાવણી કેન્દ્રના જવાબ બાદ થશે અને દેશના OTT નિયમનમાં મોટા ફેરફારોની સંભાવના વ્યક્ત થઈ રહી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
















