યુએનમાં ભારતનો પ્રસ્તાવ મંજૂર, જંગલની આગને કાબુમાં લેવાના પ્રયાસો વધુ તીવ્ર બનશે

નૈરોબીમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભા (UNEA-7)માં વિશ્વભરમાં વધતી જતી જંગલની આગના સંકટને સંબોધવા માટે ભારત દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવને અનેક દેશોએ સમર્થન આપ્યું છે. પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આબોહવા પરિવર્તન અને માનવ પ્રવૃત્તિઓને કારણે જંગલની આગ હવે મર્યાદિત ઘટના રહી નથી. તે વધુ વારંવાર, લાંબા સમય સુધી અને વધુ તીવ્રતા સાથે ફાટી નીકળે છે. દર વર્ષે વિશ્વભરમાં લાખો હેક્ટર જંગલો બળીને ખાક થઈ રહ્યા છે, જેના કારણે હવા, માટી, પાણી, જૈવવિવિધતા અને લાખો લોકોની આજીવિકા પર ગંભીર અસર પડી રહી છે. ભારતે UNEAમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે જંગલની આગ માત્ર કોઈ એક દેશ કે વિસ્તારની સમસ્યા નથી, પરંતુ તે એક વૈશ્વિક ખતરો બની ચૂકી છે અને તેનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંયુક્ત પ્રયાસોની જરૂર છે. યુએનના અહેવાલ મુજબ, જો હાલનું વલણ યથાવત્ રહ્યું તો 2030 સુધીમાં જંગલની આગમાં 14%, 2050 સુધીમાં 30% અને 2100 સુધીમાં 50% સુધીનો વધારો થવાની શક્યતા છે. ભારતના આ પ્રસ્તાવની મંજૂરી બાદ હવે વૈશ્વિક સ્તરે જંગલની આગને અટકાવવા, આગોતરા ચેતવણી પ્રણાલીઓ વિકસાવવા અને સંયુક્ત વ્યૂહરચનાઓ ઘડવા પર વધુ ભાર મૂકવામાં આવશે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in