જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને “બોલ બમ”ના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો.
10થી 12 લાખ લોકો માટે આયોજન
આ વર્ષે મેળામાં અંદાજે 10થી 12 લાખ શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવા અંદાજ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ વ્યવસ્થાઓની સમીક્ષા કરીને સુરક્ષા અને સુવિધાઓ અંગે ખાસ માર્ગદર્શન આપ્યું છે.
ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા
મેળાની શરૂઆત સાથે જ શહેરમાં ભારે વાહનવ્યવહાર નોંધાયો હતો. બે કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ સઘન બનાવવામાં આવ્યું હતું. પાર્કિંગ માટે અલગ ઝોન નિર્ધારિત કરવામાં આવ્યા છે અને આવન-જાવન માટે વિશેષ રૂટ વ્યવસ્થા ગોઠવાઈ છે.
3.5 કિ.મી. માર્ગનું સુશોભન
મહાશિવરાત્રી મેળાના ઈતિહાસમાં પ્રથમ વખત સાડા ત્રણ કિલોમીટર લાંબા માર્ગને ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભિત કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરને પણ આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં યોજાયેલા આ આયોજનને ભક્તોએ આવકાર્યું છે.
રવેડી રૂટમાં વધારો
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દર વર્ષે 1.5 કિલોમીટરનો રવેડી રૂટ આ વર્ષે વધારીને 2 કિલોમીટર કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શન કરી શકે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વર્ષની મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર બની રહેશે.
સુરક્ષામાં વધારો: 2900થી વધુ પોલીસ જવાનો તૈનાત
દર વર્ષે લગભગ 1600 પોલીસ જવાનો ફરજ પર મુકાતા હોય છે, જ્યારે આ વર્ષે તેમની સંખ્યા વધારીને 2900થી વધુ કરવામાં આવી છે. સમગ્ર મેળા વિસ્તાર CCTV કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યો છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે ચુસ્ત સુરક્ષા ગોઠવાઈ છે.
શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ
મેળામાં આવતા લાખો ભક્તો માટે રહેવા, ભોજન અને આરોગ્યની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
– 300થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારા અને પ્રસાદની વ્યવસ્થા
– 1000થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડાયા
– ડોર્મેટરી સુવિધા ઉપલબ્ધ
– શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છ શૌચાલયોની વ્યવસ્થા
– સેલ્ફી પોઈન્ટ અને ઈન્ફોર્મેશન સેન્ટર
– શાહી સ્નાનનું લાઈવ સ્ટ્રીમિંગ
જૂનાગઢમાં યોજાતો મહાશિવરાત્રી મેળો ‘મીની કુંભ’ તરીકે પણ ઓળખાય છે અને દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ અહીં ઉપસ્થિત રહે છે. આ વર્ષે ભવ્ય આયોજન સાથે મેળો ભક્તિ, ભવ્યતા અને સુરક્ષાનું અનોખું સંમિશ્રણ બની રહ્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





