ISRO 12 જાન્યુઆરીએ લોન્ચ કરશે ‘દિવ્ય દ્રષ્ટિ’ સેટેલાઈટ, દેશની સુરક્ષા માટે મોટું પગલું
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 12 જાન્યુઆરી, 2026 ના રોજ પોતાની પ્રથમ લોન્ચિંગ સાથે નવી ઊંચાઈને સ્પર્શશે. સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી સવારે 10.17 વાગ્યે PSLV-C62 રોકેટ દ્વારા DRDO વિકસિત EOS-N1 સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. EOS-N1, જેને ‘દિવ્ય દ્રષ્ટિ’ તરીકે ઓળખવામાં આવે છે, હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ ટેકનોલોજી સાથે સજ્જ છે અને દેશની સુરક્ષા તેમજ પર્યાવરણીય દેખરેખ બંનેમાં મહત્વપૂર્ણ ફાયદો આપશે. આ મિશનમાં EOS-N1 સિવાય 14 અન્ય સહયાત્રી સેટેલાઈટ્સ પણ સામેલ છે, જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોના સેટેલાઈટ્સ છે, જે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા લોન્ચ કરવામાં આવશે. PSLV-C62 PSLV-DL વેરિએન્ટમાં 4 સ્ટેજ અને બે સ્ટ્રેપ-ઓન બુસ્ટર્સ છે, જે 1,750 કિગ્રા પેલોડને સન સિંક્રોનસ ઓર્બિટમાં પહોંચાડશે. EOS-N1 (અન્વેષા) 600 કિમીની ઊંચાઈ પર સન સિંક્રોનસ ઓર્બિટમાં કામ કરશે. હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગના માધ્યમથી સેટેલાઈટ પૃથ્વીના પર્યાવરણ અને સરહદી વિસ્તારમાં છુપાયેલા જોખમોને નિરીક્ષણ કરશે. તેનું વજન 150-200 કિગ્રા અને આયુષ્ય આશરે 5-7 વર્ષ રહેશે. આ મિશન ISRO માટે વિશેષ મહત્વ ધરાવે છે, ખાસ કરીને ગયા વર્ષે PSLVની નિષ્ફળતા બાદ, આ મિશન કમબેક મિશન તરીકે જોવામાં આવે છે. લૉન્ચનું લાઈવ સ્ટ્રીમ ISROની યુટ્યૂબ ચેનલ પર સવારે 9.48 વાગ્યે શરૂ થશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
LAC પર ભારતની મોટી કૂટનીતિક જીત, ડેપસાંગ અને ડેમચોકમાં ચીની અવરોધ દૂર
ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલતા LAC સીમા વિવાદમાં ભારતને એક મોટી કૂટનીતિક અને વ્યૂહાત્મક સફળતા મળી છે. વર્ષ 2020ના ગલવાન સંઘર્ષ બાદ જ્યાં પેટ્રોલિંગ અટકી ગયું હતું, તેવા ડેપસાંગ અને ડેમચોકના સંવેદનશીલ વિસ્તારોમાં હવે ભારતીય સૈનિકો ફરી સંપૂર્ણ અધિકાર સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે. ભારતીય સેનાના 14મા કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હિતેશ ભલ્લાએ આ બાબતે મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, “LAC પર હવે સ્થિતિ ઘણીઘણી સ્થિર બની છે અને શાંતિનો નવો અધ્યાય શરૂ થયો છે.” પેટ્રોલિંગમાં મોટો વધારો, ‘ફેસ-ઓફ’ની શક્યતા નાબૂદ લેફ્ટનન્ટ જનરલ ભલ્લાના જણાવ્યા અનુસાર, 21 ઓક્ટોબર 2024ના રોજ થયેલી સર્વસંમતિ બાદ જમીન પર પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. અગાઉ જ્યાં બંને દેશોની સેનાઓ સામસામે આવી જતી હતી, ત્યાં હવે સંકલિત અને પૂર્વ સૂચના આધારિત પેટ્રોલિંગ પ્રણાલી અમલમાં છે. “હવે જ્યારે ભારતીય દળ પેટ્રોલિંગ માટે જાય છે ત્યારે ચીનને જાણ કરવામાં આવે છે અને તેઓ આવે ત્યારે અમને જાણ કરે છે,” એમ તેમણે જણાવ્યું. આ વ્યવસ્થાને કારણે અથડામણની શક્યતા લગભગ શૂન્ય બની ગઈ છે અને ભારતીય પેટ્રોલિંગની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે. સ્થાનિક પશુપાલકો માટે રાહત, ચરાઈના અધિકારો પુનઃસ્થાપિત આ સફળતાનો ફાયદો માત્ર સેનાને જ નહીં, પરંતુ પૂર્વી લદ્દાખના સ્થાનિક પશુપાલકોને પણ મળ્યો છે. વર્ષ 2020 બાદ બંધ રહેલા ચરાઈના અધિકારો હવે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. ચાંગથાંગ અને ડેમચોક જેવા વિસ્તારોમાં લોકો હવે નિર્ભયપણે પોતાના પશુઓ સાથે જઈ રહ્યા છે, જે જમીન પર સામાન્ય સ્થિતિ પરત ફર્યાનો સ્પષ્ટ સંકેત છે. ‘3D ફોર્મ્યુલા’ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચીન સાથેની ચર્ચાઓમાં ભારત ‘ત્રણ ડી’ (3D) ફોર્મ્યુલા—ડિસએન્ગેજમેન્ટ, ડિ-એસ્કેલેશન અને ડિ-ઇન્ડક્શન—પર સતત કામ કરી રહ્યું છે. આ સાથે, ભારતે લદ્દાખમાં છેલ્લા ત્રણ વર્ષમાં 600 કિમીથી વધુ રસ્તાઓ અને 45 મહત્વના પુલોનું નિર્માણ કરીને પોતાની સૈન્ય તૈયારીને વધુ મજબૂત બનાવી છે. સિયાચીન જેવી દુર્ગમ જગ્યાઓ સુધી હવે મોબાઈલ કનેક્ટિવિટી પહોંચાડી દેવામાં આવી છે. પાકિસ્તાની ડ્રોન ખતરા પર કડક નજર પૂર્વી મોરચે શાંતિ વધતી હોવા છતાં, પશ્ચિમ સરહદે પાકિસ્તાન તરફથી ડ્રોન પ્રવૃત્તિમાં વધારો થયો છે. લેફ્ટનન્ટ જનરલે ખુલાસો કર્યો કે કારગિલ અને લેહ સેક્ટરમાં એકસાથે 30થી 40 ડ્રોન જોવા મળ્યા હતા. જોકે, ભારતીય સેનાની આધુનિક એર ડિફેન્સ ગ્રીડ અને એન્ટી-ડ્રોન ટેકનોલોજીએ કોઈપણ પ્રકારનું નુકસાન થવા દીધું નથી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પરથી થતી ઘૂસણખોરી રોકવા તેમજ આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, અર્ધલશ્કરી દળોના અધિકારીઓ, ગુપ્તચર એજન્સીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહેશે. વર્ષની પ્રથમ મોટી સુરક્ષા સમીક્ષા આ વર્ષ દરમિયાન જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ અંગેની આ પહેલી મોટી સમીક્ષા બેઠક ગણવામાં આવે છે. હાલ સુરક્ષા દળો જમ્મુ વિભાગના પર્વતીય અને દૂરદરાજ વિસ્તારોમાં આતંકવાદીઓ સામે સર્ચ અને ક્લિયર ઓપરેશન ચલાવી રહ્યા છે. અનેક જિલ્લામાં આતંકવાદીઓ સામે કાર્યવાહી છેલ્લા કેટલાક મહિનામાં કિશ્તવાડ, ડોડા અને ઉધમપુર જેવા જિલ્લાઓના ઉપરવાળા અને જંગલી વિસ્તારોમાં સુરક્ષા દળોએ અનેક એન્કાઉન્ટરમાં આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ઉપરાંત સરહદ પારથી થતી ઘૂસણખોરીના અનેક પ્રયાસોને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. શૂન્ય ઘૂસણખોરી પર ભાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન સરહદ વ્યવસ્થાપન, શિયાળા દરમિયાન LoC અને IB પર સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે લેવાયેલા પગલાં, તેમજ ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળો વચ્ચે વધુ સારો સંકલન સુનિશ્ચિત કરવા પર ચર્ચા કરવામાં આવશે. સમગ્ર પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે નવી વ્યૂહરચનાઓ પર પણ વિચારણા થશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
બાંગ્લાદેશમાં અશાંતિ બાદ ભારતીય સરહદ પર હાઈએલર્ટ, સ્માર્ટ ફેન્સિંગ લગાવી ઘૂસણખોરી અટકાવવાની તૈયારી
બાંગ્લાદેશમાં વધતી અશાંતિને પગલે ભારતીય સેનાએ સરહદ પર હાઈએલર્ટ જાહેર કર્યો છે. ભારતીય સેનાએ બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય સરહદમાં પ્રવેશ ન કરી શકે તે માટે કડક પગલાં ભર્યા છે. સીમા સુરક્ષા દળ (BSF)એ સિલીગુડી કોરિડોર (ચિકન નેક) વિસ્તારમાં સુરક્ષા વધારે મજબૂત બનાવી છે અને 75 ટકા સરહદ વિસ્તારમાં નવી ડિઝાઇનની ફેન્સિંગ લગાવી છે. BSF અધિકારીઓએ જણાવ્યું કે નવી ફેન્સિંગ 12 ફૂટ ઊંચી છે અને તેને કાપવું મુશ્કેલ છે. આ ફેન્સિંગ ઘૂસણખોરી અને પશુઓની તસ્કરી જેવી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો કરશે. ફેન્સિંગ ઉપરાંત, રિયલ-ટાઈમ લાઈવ ફીડ આપતા પેન-ટિલ્ટ-જૂમ (PTZ) કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જે ઘૂસણખોરી અંગે તરત જાણકારી આપશે. ડેટા અનુસાર, BSFએ 2025માં 8.5 કરોડ રૂપિયાના મૂલ્યના પશુ, સોનું, ચાંદી, વન્યજીવ ઉત્પાદન, હથિયારો, દારુગોળો અને અન્ય તસ્કરીના સામાન જપ્ત કર્યા હતા. 440 બાંગ્લાદેશી, 152 ભારતીય અને 11 અન્ય લોકોને ધરપકડ કરી, જેમાંથી 187 બાંગ્લાદેશી નાગરિકોને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વાપસી મોકલવામાં આવ્યા. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે ચિકન નેક વિસ્તાર ઉત્તર-પૂર્વ ભારત માટે મહત્વપૂર્ણ છે, અને સરહદ સુરક્ષા વધારવાથી દેશની આંતરિક સુરક્ષા મજબૂત રહેશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
લશ્કર-એ-તૈયબાની નવી નાપાક ચાલ: બહાવલપુરથી ‘ગઝવા-એ-હિંદ’નું એલાન, એજન્સીઓ હાઈ-એલર્ટ પર
પાકિસ્તાનના બહાવલપુરમાંથી સામે આવેલા એક ચોંકાવનારા વીડિયોએ ફરી એકવાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાપાક ઇરાદાઓ ખુલ્લા પાડ્યા છે. વીડિયોમાં લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહ સૈફે હજારો ઉશ્કેરાયેલા આતંકીઓની હાજરીમાં ભારત વિરુદ્ધ ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું છે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને ‘ગઝવા-એ-હિંદ’ માટે જેહાદનું આહ્વાન કર્યું છે. આ વીડિયોમાં સૈફુલ્લાહ એવો દાવો કરતો જોવા મળે છે કે પાકિસ્તાની સેના પણ ભારત સામે મોટા હુમલા માટે તેમની સાથે તૈયાર છે. આ નિવેદન ફરી સાબિત કરે છે કે પાકિસ્તાની ધરતી પર આતંકવાદીઓને ખુલ્લો આશ્રય મળી રહ્યો છે. ઉશ્કેરણીજનક ભાષણ અને ખોટા દાવા આતંકવાદી સૈફુલ્લાહે પોતાના ભાષણમાં દક્ષિણ એશિયાના રાજકીય પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં એવો ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો કે બાંગ્લાદેશ પણ હવે પાકિસ્તાનની પડખે છે. સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના દાવાઓ ભારત દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીથી ઉપજેલી હતાશાનો પરિચય આપે છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને લશ્કરના નાયબ વડા સૈફુલ્લાહ કસુરીએ પણ સ્વીકાર્યું હતું કે ભારતીય કાર્યવાહીથી આતંકી ઠેકાણાઓને ભારે નુકસાન થયું છે. ત્યારબાદથી આતંકી સંગઠનો ઉશ્કેરણીજનક વીડિયો દ્વારા પોતાની હાજરી દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર આ ધમકી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિને અત્યંત ગંભીરતાથી લીધી છે. જમ્મુ-કાશ્મીરથી લઈ દરિયાકાંઠાના વિસ્તારો સુધી હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી રહેલું અને આર્થિક સંકટમાં ફસાયેલું પાકિસ્તાન આવા આતંકી નિવેદનો દ્વારા ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય સેનાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સરહદ પર કોઈપણ પ્રકારની હિલચાલનો જડબાતોડ જવાબ આપવામાં આવશે અને આતંકવાદીઓના કોઈપણ નાપાક મનસૂબાને સફળ થવા દેવામાં આવશે નહીં. પાકિસ્તાન ફરી આંતરરાષ્ટ્રીય મંચ પર બેનકાબ આ વીડિયો પાકિસ્તાનના આતંકવાદ પ્રત્યેના નરમ વલણને ફરી એકવાર વિશ્વ સમક્ષ લાવી રહ્યો છે. એક તરફ પાકિસ્તાન FATF અને અન્ય વૈશ્વિક મંચો પર આતંકવાદ સામે કાર્યવાહી કરવાનો દાવો કરે છે, જ્યારે બીજી તરફ લશ્કર જેવા સંગઠનો ખુલ્લેઆમ જાહેર સભાઓ કરીને ભારતને ધમકી આપે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાન હજુ પણ ફફડેલું, LoC પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનમાં હજુ પણ ભયનો માહોલ છે. પાકિસ્તાને પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં લાઇન ઓફ કંટ્રોલ (LoC) નજીક આધુનિક એન્ટી-ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે. રિપોર્ટ્સ મુજબ, રાવલકોટ, કોટલી અને ભિમ્બર સેક્ટરમાં નવી કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ (C-UAS) લગાવવામાં આવી છે. પાકિસ્તાની સેનાને આશંકા છે કે ભારત ફરી કોઈ ચોક્કસ અને ઝડપી કાર્યવાહી કરી શકે છે. આ કારણે LoC પર 30થી વધુ ખાસ એન્ટી-ડ્રોન યુનિટ્સ તૈનાત કરવામાં આવી છે. આ તૈનાતી મુર્રી સ્થિત 12મી અને 23મી ઇન્ફન્ટ્રી ડિવિઝન દ્વારા કરવામાં આવી છે, જે કોટલી-ભિમ્બર ક્ષેત્રની બ્રિગેડ્સનું સંચાલન કરે છે. કઈ એન્ટી-ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી? – સ્પાઈડર કાઉન્ટર-UAS સિસ્ટમ: આ સિસ્ટમ રેડિયો ફ્રીક્વન્સી દ્વારા ડ્રોનને ઓળખે છે અને લગભગ 10 કિલોમીટર સુધી નાના ડ્રોન તથા લોઇટરિંગ મ્યુનિશનને ટ્રેક કરી શકે છે. ડ્રોનના સંચારને જામ કરીને તેને હવામાં અટકાવવા અથવા લેન્ડ કરવા મજબૂર કરી શકે છે. – સુફ્રા જામિંગ ગન: ખભા પર રાખીને ચલાવાય તેવું આ હથિયાર લગભગ 1.5 કિલોમીટર રેન્જ ધરાવે છે. તે ડ્રોનના કંટ્રોલ, વીડિયો અને GPS સિગ્નલને અવરોધે છે. આ ગન પાકિસ્તાનના નેશનલ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્લેક્સ (NECOP) દ્વારા વિકસાવવામાં આવી છે. એર ડિફેન્સ હથિયારો પણ તૈનાત એન્ટી-ડ્રોન સિસ્ટમ સાથે સાથે ઓર્લિકોન GDF 35 mm એન્ટી-એરક્રાફ્ટ ગન અને Anza Mk-II તથા Mk-III MANPADS પણ LoC નજીક તૈનાત કરાયા છે, જે ઓછી ઊંચાઈએ ઉડતા લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. ઓપરેશન સિંદૂરમાં ભારતની મોટી કાર્યવાહી ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોન અને ફાઇટર જેટ્સને હવામાં જ નષ્ટ કર્યા હતા. સુદર્શન મિસાઈલ સિસ્ટમથી લગભગ 300 કિલોમીટર દૂર ઉડતા હાઈ-વેલ્યુ એરક્રાફ્ટને પણ તોડી પાડવામાં આવ્યું હતું. રાફેલ અને સુખોઈ-30 વિમાનો દ્વારા પાકિસ્તાનના હેંગરમાં રહેલા મેડ ઇન ચાઈના વિંગ લૂંગ ડ્રોન તબાહ કરાયા હતા. ભારત બનાવી રહ્યું છે વિશ્વનો પહેલો ડ્યુઅલ સ્ટેલ્થ ડ્રોન ઓપરેશન સિંદૂર બાદ ભારતની હવાઈ શક્તિની ચર્ચા વૈશ્વિક સ્તરે થઈ રહી છે. હવે ભારત વિશ્વનો પહેલો ડ્યુઅલ સ્ટેલ્થ ડ્રોન વિકસાવી રહ્યું છે, જે રડાર અને ઇન્ફ્રારેડ સિગ્નલથી બચી શકે છે અને સેકન્ડ્સથી પણ ઓછા સમયમાં હુમલો કરવાની ક્ષમતા ધરાવશે. આ ડ્રોન હૈદરાબાદની સ્ટાર્ટઅપ કંપનીઓ દ્વારા રક્ષા મંત્રાલયની મદદથી વિકસાવવામાં આવી રહ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
અમિત શાહે દેશવ્યાપી ‘Anti-Terror Grid’ની કરી જાહેરાત, આતંકવાદ પર 360 ડિગ્રી પ્રહારની તૈયારી
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દિલ્હીમાં બે દિવસીય “આતંકવાદ વિરોધી પરિષદ-2025”નું ઉદ્ઘાટન કર્યું. સંબોધનમાં શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “જીરો ટોલરેન્સ” વિઝનનો પુનરોચ્ચાર કર્યો અને દેશભરમાં આતંકવાદ અને સંગઠિત અપરાધ સામે તાકીદના પગલાં લેવા હાકલ કર્યો. ગૃહમંત્રી શાહે કહ્યું કે આ પરિષદ માત્ર ચર્ચા માટેનું મંચ નથી, પરંતુ NIA અને રાજ્ય એજન્સીઓ દ્વારા કામ કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ છે, જે દેશભરના સુરક્ષા નેટવર્કને મજબૂત બનાવશે. તેમણે ઉલ્લેખ કર્યો કે ટેકનોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને, સલામતી એજન્સીઓને દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આ દરમિયાન, શાહે NIAના અપડેટેડ ક્રાઈમ મેન્યુઅલ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક ડેટાબેઝ અને ખોવાયેલા/લૂંટાયેલા શસ્ત્રોનો ઈ-ડેટાબેઝ લોન્ચ કર્યો. તેઓએ રાજ્યના પોલીસ અધિકારીઓને આ સાધનોનો પ્રભાવશાળી ઉપયોગ કરી સંગઠિત ગુનાખોરી અને આતંકવાદી નેટવર્કને બંધ કરવા વિનંતી કરી. પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતાં શાહે જણાવ્યું કે સુરક્ષા દળોએ ઑપરેશન સિંદૂર અને ઑપરેશન મહાદેવ દ્વારા આતંકીઓ અને ગુનેગારોને ઠાર કર્યો, જે એવી કાર્યવાહી હતી જેમાં આતંકવાદી કાવતરાના બંને છેડા સામે કાર્યવાહી કરવામાં આવી. તેમણે ATSનું રાષ્ટ્રીય સ્તરે એકીકૃત માળખું બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને “જાણવાની જરૂરિયાત” કરતાં “શેર કરવાની ફરજ”ના સિદ્ધાંતને અપનાવવા હાકલ કર્યો. શાહે ઉમેર્યું કે જેમ જેમ ભારત આર્થિક રીતે પ્રગતિ કરશે તેમ પડકારો વધશે, અને ભવિષ્યની પેઢીઓ માટે એક અભેદ્ય અને મજબૂત આતંકવાદ વિરોધી માળખું નિર્માણ કરવું જરૂરી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
આર્મી જવાનો પરથી હટ્યો સોશિયલ મીડિયા પ્રતિબંધ, હવે વ્યૂ-ઓન્લી મોડમાં કરી શકશે ઉપયોગ
ભારતીય સેનાના જવાનોને લગભગ પાંચ વર્ષ બાદ સોશિયલ મીડિયા એપ્લિકેશનોના ઉપયોગની મર્યાદિત મંજૂરી આપવામાં આવી છે. જો કે, આ છૂટછાટ સાથે કડક શરતો પણ લાગુ કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ, સૈનિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ માત્ર ‘વ્યૂ-ઓન્લી’ અથવા ‘નિષ્ક્રિય ભાગીદારી’ તરીકે જ કરી શકશે. ઇન્સ્ટાગ્રામ પર લાઈક-કમેન્ટ પર પ્રતિબંધ નવી ગાઈડલાઈન અનુસાર, આર્મીના સૈનિકો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ, ફોટા અને વિડિયો જોઈ શકશે, પરંતુ તેઓ કોઈપણ પોસ્ટ પર લાઈક, કમેન્ટ કે પોતાનું કન્ટેન્ટ શેર કરી શકશે નહીં. સેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલાઇઝિંગ અથવા એક્ટિવ ભાગીદારી પર પ્રતિબંધ યથાવત રહેશે. ‘નિષ્ક્રિય ભાગીદારી’નો ઉદ્દેશ શું? મીડિયા અહેવાલો મુજબ, ભારતીય સેના દ્વારા આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ સૈનિકોમાં ડિજિટલ જાગૃતિ વધારવાનો અને સોશિયલ મીડિયા પર ફેલાતી માહિતીનું અવલોકન કરીને સુરક્ષાસંબંધિત ઇનપુટ એકત્રિત કરવાનો છે. સેના આ પ્રકારના ઉપયોગને ‘નિષ્ક્રિય ભાગીદારી’ તરીકે ઓળખાવે છે. YouTube અને X (ટ્વિટર) માટે પણ સમાન નિયમ ઇન્સ્ટાગ્રામ ઉપરાંત YouTube અને X (પૂર્વે ટ્વિટર) જેવા પ્લેટફોર્મ્સ પર પણ સૈનિકોને માત્ર કન્ટેન્ટ જોવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરવી, શેર કરવી અથવા પ્રતિક્રિયા આપવી મંજૂર નથી. જોકે, જો કોઈ ફર્જી, ભ્રામક અથવા શંકાસ્પદ પોસ્ટ નજરે પડે તો તેની માહિતી ઉપરી અધિકારીઓને આપી શકાશે. અગાઉના નિયમો હતા વધુ કડક ઉલ્લેખનીય છે કે 2019 સુધી ભારતીય સેનાના નિયમો અત્યંત કડક હતા અને સૈનિકોને કોઈપણ સોશિયલ મીડિયા ગ્રુપનો ભાગ બનવાની મંજૂરી નહોતી. બાદમાં 2020માં, સુરક્ષા કારણોસર સેના દ્વારા 89 મોબાઇલ એપ્લિકેશનો ડિલીટ કરવાની સૂચના આપવામાં આવી હતી. કેટલીક એપ્સને શરતો સાથે મંજૂરી કડક નિયમો છતાં, ફેસબુક, વોટ્સએપ, યૂટ્યૂબ, X, LinkedIn અને ટેલિગ્રામ જેવી કેટલીક એપ્લિકેશનોનો ઉપયોગ શરતો અને દેખરેખ હેઠળ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સેના સમયાંતરે સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરતી રહે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ટ્રમ્પની નજર ‘બરફના ટાપુ’ ગ્રીનલેન્ડ પર: રાષ્ટ્રીય સુરક્ષા માટે કેમ છે અનિવાર્ય?, જાણો શું છે મહત્વ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણની ઇચ્છા વ્યક્ત કરતા વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો તોફાન સર્જ્યો છે. ટ્રમ્પના મતે, ગ્રીનલેન્ડ માત્ર બરફથી ઢંકાયેલો ટાપુ નહીં પરંતુ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાનો વ્યૂહાત્મક કિલ્લો છે. તેમના આ નિવેદન બાદ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ સરકાર તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે, તેમ છતાં ટ્રમ્પે આ મુદ્દે ખાસ દૂતની નિમણૂક કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. અમેરિકા માટે ગ્રીનલેન્ડ કેમ મહત્વનું? ગ્રીનલેન્ડ ભૌગોલિક રીતે યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચેના સૌથી ટૂંકા માર્ગ પર સ્થિત છે. અહીંથી અમેરિકા રશિયા અને ચીન જેવી વૈશ્વિક શક્તિઓની આર્કટિક વિસ્તારમાં થતી લશ્કરી અને વ્યાવસાયિક ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી શકે છે. ખાસ કરીને આર્કટિક ક્ષેત્રમાં રશિયન પરમાણુ સબમરીન અને ચીની કાર્ગો જહાજોની વધતી અવરજવરને કારણે અમેરિકા અહીં પોતાની લશ્કરી હાજરી અને મિસાઇલ ચેતવણી પ્રણાલી વધુ મજબૂત બનાવવા માંગે છે. નોંધપાત્ર વાત એ છે કે ગ્રીનલેન્ડની રાજધાની નુઉક, ડેનમાર્ક કરતાં ન્યૂયોર્કને વધુ નજીક છે, જે તેને અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે વધુ મહત્વપૂર્ણ બનાવે છે. ખનિજ અને કુદરતી સંપત્તિનો ખજાનો ગ્રીનલેન્ડ માત્ર બરફનું સામ્રાજ્ય નથી; તેના નીચે તેલ, કુદરતી ગેસ અને દુર્લભ ખનિજોનો વિશાળ ભંડાર છુપાયેલો છે. હાલ આ સંસાધનોનો વિકાસ મર્યાદિત છે, પરંતુ ભવિષ્યમાં આર્કટિક ક્ષેત્ર વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ બનવાનું છે. ટ્રમ્પની નજર આ સંસાધનો પર છે, જેથી અમેરિકા આર્કટિકના આર્થિક ભવિષ્યમાં પ્રભુત્વ જમાવી શકે. લશ્કરી હાજરી અને ઐતિહાસિક કરાર ૧૯૫૧ના એક ઐતિહાસિક કરાર હેઠળ અમેરિકાને ગ્રીનલેન્ડમાં પિટુફિક (Thule) એર બેઝ પર લશ્કરી થાણું રાખવાનો અધિકાર મળ્યો છે. ડેનમાર્ક લાંબા સમયથી અમેરિકાની આ હાજરીને સ્વીકારી રહ્યું છે, કારણ કે તેની પાસે ગ્રીનલેન્ડની સુરક્ષા માટે પૂરતી લશ્કરી ક્ષમતા નથી. ડેનમાર્કને નાટો (NATO) મારફતે અમેરિકાથી સુરક્ષા ગેરંટી મળે છે. ગ્રીનલેન્ડની સ્વતંત્રતાની ઇચ્છા ગ્રીનલેન્ડ હાલમાં ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે. 2009ના કાયદા મુજબ, ગ્રીનલેન્ડના લોકો લોકમત દ્વારા ડેનમાર્કથી અલગ થઈને સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરી શકે છે. સર્વેક્ષણો દર્શાવે છે કે મોટાભાગના લોકો સ્વતંત્રતા તરફ ઝુકાવ ધરાવે છે, પરંતુ તેઓ અમેરિકાના સીધા નિયંત્રણ હેઠળ જવાની સંભાવનાથી ચિંતિત છે. જો ગ્રીનલેન્ડ સ્વતંત્ર બને, તો તે માર્શલ ટાપુઓની જેમ અમેરિકા સાથે ‘ફ્રી એસોસિએશન’ કરાર કરી શકે છે, જેમાં લશ્કરી સુરક્ષાના બદલામાં અમેરિકા આર્થિક સહાય આપે છે. આર્કટિકનું નવું ‘કોલ્ડ વોર’? વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પની ગ્રીનલેન્ડ પ્રત્યેની જીદ આગામી વર્ષોમાં આર્કટિક ક્ષેત્રને વૈશ્વિક શક્તિઓના નવા સંઘર્ષનું કેન્દ્ર બનાવી શકે છે. અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે વધતી સ્પર્ધા આ બરફીલા પ્રદેશને નવા ‘કોલ્ડ વોર’ તરફ ધકેલી રહી હોવાના સંકેતો આપી રહી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
બાંગ્લાદેશમાં હિંસા બાદ ભારતીય સેના એલર્ટ, પૂર્વીય કમાન્ડરે સરહદની સમીક્ષા કરી
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વધતી હિંસા અને રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સંપૂર્ણ રીતે સતર્ક બની છે. શેખ હસીના વિરોધી ચળવળના નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યા છે. ભારત વિરોધી નારા અને ભારતીય હાઇ કમિશન પર હુમલાના પ્રયાસ બાદ સુરક્ષા ચિંતા વધી છે. આ તંગ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આર.સી. તિવારીએ બાંગ્લાદેશને અડીને આવેલી સરહદોની મુલાકાત લઈને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. સરહદ પર ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક લેફ્ટનન્ટ જનરલ તિવારીએ મિઝોરમના પરવા વિસ્તારમાં સ્થિત આસામ રાઇફલ્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના કંપની ઓપરેટિંગ બેઝની મુલાકાત લીધી. અહીં તેમણે સ્પીયર કોર્પ્સ હેઠળ કાર્યરત દળો સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી. મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશ સરહદ પરની હાલની સુરક્ષા પરિસ્થિતિ, દેખરેખ વ્યવસ્થા અને સંભવિત પડકારો સામે લેવામાં આવેલા પગલાં અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી. સેનાના દળોની ઓપરેશનલ તૈયારીનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું. ત્રિપુરાની સરહદ પર પણ સ્થિતિની સમીક્ષા પૂર્વીય કમાન્ડરના કમાન્ડરે દક્ષિણ ત્રિપુરાના બેલોનિયા વિસ્તારમાં આવેલા બોર્ડર આઉટપોસ્ટની પણ મુલાકાત લીધી. અહીં તેમણે ભારતીય સેના, આસામ રાઇફલ્સ અને BSFના જવાનોની કામગીરી, ક્ષમતા અને તૈયારીની પ્રશંસા કરી. ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે સરહદ પર કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી અથવા અશાંતિને રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
















