આર્થિક ગોઠવણ: AMCમાં સિક્યોરિટીના નામે ‘સેફ ગેમ’? 13 વર્ષમાં ₹325 કરોડનું આંધણ, જનતાના ટેક્સના પૈસા બાઉન્સરોના વટમાં હોમાયા!
પંકજ મકવાણા – અમદાવાદ: શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પ્રજાની સેવા માટે છે કે સત્તાધીશોના ‘વિઆઈપી કલ્ચર’ના રક્ષણ માટે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે છેલ્લા ૧૩ વર્ષમાં મ્યુનિસિપલ તિજોરીમાંથી સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરોના નામે ₹૩૨૫.૪૬ કરોડ જેવી માતબર રકમ ચૂકવી દેવામાં આવી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે શાસકો પોતાની આસપાસ બાઉન્સરો રાખીને જનતાના પૈસે વટ પાડી રહ્યા છે. સિક્યોરિટી એજન્સીઓનો ‘ધીકતો ધંધો’ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિક્યોરિટી પૂરી પાડતી એજન્સીઓ માટે આ વ્યવસાય સોનાની લગડી સાબિત થયો છે. વર્ષ ૨૦૧૨-૧૩ થી ૨૦૨૫-૨૬ સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ખર્ચનો આંકડો સતત ઊંચો જઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૦ થી ૨૦૨૫) આ ખર્ચમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે આ એજન્સીઓ રાજકીય વગ ધરાવે છે, જેના કારણે નિયમોના ભંગ છતાં તેમની સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી. જનતાના પૈસે જનતાને જ રોકવાનો ખેલ? સૌથી વધુ ચોંકાવનારો મુદ્દો એ છે કે જ્યારે શહેરના પૂર્વ કે પશ્ચિમ વિસ્તારના રહીશો રોડ, ગટર કે પાણીની સમસ્યા લઈને મ્યુનિસિપલ કચેરીએ પહોંચે છે, ત્યારે આ જ સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરો તેમને અટકાવવા માટે ‘ઢાલ’ તરીકે વપરાય છે. વિપક્ષનો આક્ષેપ છે કે શાસક પક્ષ નાગરિકોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયો છે, તેથી અસંતોષને દબાવવા માટે બાઉન્સરોનો આશરો લેવામાં આવી રહ્યો છે. મુખ્ય આક્ષેપો અને વાસ્તવિકતા: વિગત વિપક્ષનો આક્ષેપ /વાસ્તવિકતા કુલ ખર્ચ ૧૩ વર્ષમાં ₹૩૨૫.૪૬ કરોડ જેવી જંગી રકમની ચૂકવણી. શોષણનો આક્ષેપ એજન્સીઓ ગાર્ડ્સને ઓછો પગાર આપી આર્થિક શોષણ કરે છે. રાજકીય મિલીભગત એજન્સીઓ છેક ઉપર સુધીના અધિકારીઓને ‘સાચવતી’ હોવાનો ગંભીર આક્ષેપ. VIP કલ્ચર પગી કે ચોકીદારને બદલે બાઉન્સરો રાખીને સત્તાનો દેખાડો કરવાની વૃત્તિ! કયા વર્ષમાં સિક્યોરિટી એજન્સીઓને કેટલા રૂપિયા ચૂકવાયા 1]. 2012-13 – 10,77,98,544 2]. 2013-14 – 13,21,67,022 3]. 2014-15 – 14,09,55,179 4]. 2015-16 – 16,63,24,527 5]. 2016-17 – 15,36,00,915 6]. 2017-18 – 16,15,30,963 7]. 2018-19 – 15,44,51,588 8]. 2019-20 – 13,87,00,641 9]. 2020-21 – 31,66,77,347 10]. 2021-22 – 37,39,89,988 11]. 2022-23 – 34,93,92,703 12]. 2023-24 – 44,10,79,547 13]. 2024-25 – 49,37,99,127 14]. 2025-26 – 12,41,69,246 કુલ રકમ: 325,46,37,337/- પારદર્શિતા ક્યાં? સાર્વજનિક મિલકતોની સુરક્ષા અનિવાર્ય છે, પરંતુ સુરક્ષાના નામે ‘વટ’ પાડવો અને માનીતી એજન્સીઓને કરોડોના કોન્ટ્રાક્ટ લ્હાણીમાં આપવા એ ગંભીર તપાસનો વિષય છે. વર્ષ ૨૦૨૦ પછી ખર્ચમાં થયેલો અચાનક ઉછાળો સૂચવે છે કે આ માત્ર સુરક્ષાનો પ્રશ્ન નથી, પણ વ્યવસ્થિત આર્થિક ગોઠવણ હોઈ શકે છે. શું આ ખર્ચ અંગે કોઈ તટસ્થ ઓડિટ થશે? શું ઓછો પગાર લેતા સિક્યોરિટી ગાર્ડ્સના હિતમાં કોઈ પગલાં લેવાશે? જનતા એ જાણવા માંગે છે કે તેમના ટેક્સના પૈસા રોડ-રસ્તા સુધારવામાં વપરાશે કે નેતાઓના બાઉન્સરોનો પગાર ચુકવવામાં?+ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
Bharat Petroleum Corporation Limited પર ₹1,817 કરોડનો ટેક્સ ઓર્ડર, 20 વર્ષ જૂના કેસમાં કોચી એક્સાઈઝ વિભાગની કાર્યવાહી
સરકારી તેલ કંપની Bharat Petroleum Corporation Limited (BPCL)ને કોચી સ્થિત સેન્ટ્રલ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરની ઓફિસ તરફથી આશરે ₹1,816.65 કરોડની ટેક્સ માંગણીનો આદેશ મળ્યો છે. શેરબજાર બંધ થયા બાદ આ માહિતી જાહેર થતાં આવતીકાલે બજાર ખુલતાં BPCLના શેર પર દબાણ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શું છે વિવાદ? આ મામલો સપ્ટેમ્બર 2004થી મે 2010 સુધીના સમયગાળાનો છે અને તે સમયે અલગ કંપની રહેલી Kochi Refineries Limited (KRL) અને BPCL વચ્ચેના ટ્રાન્ઝેક્શન વેલ્યુના મૂલ્યાંકન સાથે સંબંધિત છે. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર, બંને કંપનીઓ “સંબંધિત પક્ષો” (related parties) હતી, તેથી એક્સાઇઝ ડ્યુટીની ગણતરી માટે દર્શાવાયેલ ‘રિફાઇનરી ગેટ પ્રાઈસ’ માન્ય નથી. વિભાગે સેન્ટ્રલ એક્સાઇઝ મૂલ્યાંકન નિયમો હેઠળ નવેસરથી ગણતરી કરીને માંગણી ઉભી કરી છે. ટેક્સ ઓર્ડરની વિગત – કુલ માંગણી: ₹1,816.65 કરોડ – મૂળ ડ્યુટી: ₹476.94 કરોડ – વ્યાજ: ₹1,339.70 કરોડ – દંડ: ₹95,000 – સમયગાળો: 2004–2010 – શો-કોઝ નોટિસ: 19 – આદેશ તારીખ: 21 ફેબ્રુઆરી કંપનીએ આ બાબતની જાણ Securities and Exchange Board of India (SEBI)ને નિયમ મુજબ કરી છે. કંપનીનું વલણ BPCLએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ટેક્સ ઓર્ડરથી અસહમત છે અને પોતાના નાણાકીય હિતોની રક્ષા માટે Customs Excise and Service Tax Appellate Tribunal (CESTAT)માં અપીલ કરશે. કંપનીનું કહેવું છે કે ઓર્ડરનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને કાયદાકીય લડત માટે જરૂરી પગલાં લેવામાં આવશે. બજાર પર શું અસર? વિશ્લેષકો માને છે કે આટલી મોટી રકમની માંગણી કંપનીના નાણાકીય પરિણામો અને રોકાણકારોના વિશ્વાસ પર ટૂંકા ગાળે અસર કરી શકે છે. જો કે, અપીલ પ્રક્રિયા લાંબી ચાલે તેવી શક્યતા હોવાથી તરત જ નાણાકીય ભાર પડવાની શક્યતા ઓછી માનવામાં આવે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ચાંદીના ભાવમાં 2 લાખ રૂપિયાનો ઘટાડો, 1980 પછીનો મોટો ઝટકો
ચાંદીના ભાવમાં જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 30 જાન્યુઆરીએ વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં 1980 બાદનો સૌથી મોટો એક દિવસનો ઘટાડો નોંધાયો હતો. આ અસર ભારતના બજારમાં પણ જોવા મળી હતી અને 1 ફેબ્રુઆરીએ MCX પર ચાંદીના ભાવમાં લગભગ 9 ટકાનો ઘટાડો થયો હતો. કેન્દ્રીય બજેટ રજૂ થવાને કારણે 1 ફેબ્રુઆરીએ કોમોડિટી એક્સચેન્જ ખુલ્લી હતી, જેના કારણે ભારતીય બજારમાં પણ આ ઘટાડો વધુ સ્પષ્ટ બન્યો. રોકાણકારોને કેટલું નુકસાન? મીડિયા અહેવાલો મુજબ, સોનું અને ચાંદી બંનેમાં બે ટ્રેડિંગ સેશન દરમિયાન થયેલા ઘટાડાથી રોકાણકારોને કુલ મળીને અંદાજે 5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે. આમાંથી સોનાના રોકાણકારોને લગભગ 3.5 ટ્રિલિયન ડોલર અને ચાંદીના રોકાણકારોને 1.5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. અત્યાર સુધી શેરબજારમાં થયેલા નુકસાનને સોના અને ચાંદીમાં થયેલા વધારાથી સંતુલિત કરવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે આ સુરક્ષિત ગણાતી સંપત્તિઓમાં પણ ઘટાડો થતાં રોકાણકારોમાં ચિંતા વધી છે. રેકોર્ડ લેવલ બાદ અચાનક ઘટાડો 29 જાન્યુઆરીએ સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક ઉંચાઈએ પહોંચ્યા હતા. તે દિવસે સોનું લગભગ 1,83,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 4,04,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી હતી. આ રેકોર્ડ લેવલ બાદ ઘણા રોકાણકારો નફો બુક કરવા તરફ વળ્યા, જેના પરિણામે અચાનક ભારે વેચવાલી શરૂ થઈ. ખાસ કરીને ચાંદીમાં ઘટાડો વધુ રહ્યો છે, જે રોકાણકારો માટે ચોંકાવનારો સાબિત થયો છે. એક્સપર્ટ્સ શું કહે છે? બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને અમેરિકા સહિત વૈશ્વિક સ્તરે ચાંદીમાં થયેલો અતિશય વધારો ઘટાડાની દિશામાં જવાનો સંકેત આપી રહ્યો હતો. જોકે, આટલી ઝડપથી અને આટલા મોટા પ્રમાણમાં ઘટાડો થશે તેવી અપેક્ષા બહુ ઓછા લોકો પાસે હતી. એક્સપર્ટ્સનું માનવું છે કે જેમના પોર્ટફોલિયોમાં માત્ર 5થી 10 ટકા બુલિયન (સોનું-ચાંદી) છે, તેમને વધુ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જેમણે એસેટ એલોકેશનને અવગણીને ભારે પ્રમાણમાં સોના-ચાંદીમાં રોકાણ કર્યું છે, તેમને મોટો ફટકો લાગ્યો છે. ગોલ્ડ-સિલ્વર રેશિયો મુખ્ય કારણ ચાંદીના ભાવમાં ઘટાડાનું એક મુખ્ય કારણ ગોલ્ડ-સિલ્વર રેશિયો માનવામાં આવી રહ્યું છે. હાલમાં આ રેશિયો 61ની ઉપર છે અને નિષ્ણાતો માને છે કે તે 70 સુધી પહોંચી શકે છે. જો આવું થાય તો MCX પર ચાંદીના ભાવ 2 લાખ રૂપિયાની નીચે જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રોકાણકારો માટે સલાહ નિષ્ણાતો સલાહ આપે છે કે સતત વધતા ભાવોને જોઈને અંધાધૂંધ રોકાણ કરવું યોગ્ય નથી. વર્ષ 1980માં ચાંદીમાં લગભગ 90 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જે ઇતિહાસનું મહત્વનું ઉદાહરણ છે. આથી, સોના અને ચાંદીમાં વધુ પડતું રોકાણ કરનારા રોકાણકારોએ ધીરજ રાખવી અને યોગ્ય એસેટ એલોકેશનનું પાલન કરવું અત્યંત જરૂરી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in










