ગ્રામિણ ભારત માટે મહત્વપૂર્ણ કાયદાકીય બદલાવ થયો છે. વિકસિત ભારત–રોજગાર અને આજિવિકા મિશન (ગ્રામિણ) એટલે કે ‘VB–જી રામ જી’ વિધેયકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપતાં તે હવે સત્તાવાર રીતે કાયદો બની ગયો છે. આ કાયદા સાથે મનરેગાની જગ્યાએ નવી વ્યવસ્થા અમલમાં આવી છે, જેમાં ગ્રામિણ પરિવારોને હવે વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસનું વેતન આધારિત રોજગાર મળશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ગ્રામિણ અર્થતંત્રને મજબૂત આધાર મળશે અને ગરીબ પરિવારોની આવકમાં સ્થિરતા આવશે.
સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ
આ વિધેયક સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ વચ્ચે પસાર કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષોએ મનરેગાનું નામ બદલવા અને મહાત્મા ગાંધીનું નામ હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજના બદલવી ઐતિહાસિક ભૂલ છે. જોકે સરકાર તરફથી આ આરોપોને નકારતા જણાવાયું હતું કે નવી યોજના રોજગારના વ્યાપ અને અસરકારકતાને વધુ મજબૂત બનાવશે.
સરકારના દાવા અને આંકડા
ગ્રામિણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાને સંસદમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ મનરેગાને તેની સંપૂર્ણ ક્ષમતાથી અમલમાં મૂકી નહોતી. તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રોજગાર યોજનાઓ વધુ અસરકારક બની છે. ચૌહાન મુજબ, યુપીએ સરકારના સમયમાં જ્યાં 1660 કરોડ માનવ-દિવસનું સર્જન થયું હતું, ત્યાં એનડીએ સરકાર દરમિયાન આ આંકડો વધીને 3210 કરોડ માનવ-દિવસ સુધી પહોંચ્યો છે.
મહિલાઓની ભાગીદારીમાં વધારો
સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ મહિલાઓની ભાગીદારી લગભગ 48 ટકા હતી, જે હવે વધીને 56.73 ટકા સુધી પહોંચી છે. સરકારનું કહેવું છે કે ‘જી રામ જી’ કાયદાથી મહિલાઓને વધુ રોજગાર તકો મળશે અને તેમની આર્થિક સ્વતંત્રતા વધુ મજબૂત બનશે.
‘વિકસિત ભારત 2047’ સાથે જોડાયેલો કાયદો
નવો ‘VB–જી રામ જી’ કાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના દ્રષ્ટિકોણ સાથે સીધો જોડાયેલો છે. આ કાયદાનો મુખ્ય હેતુ ગ્રામિણ વિસ્તારોમાં રોજગાર સુરક્ષા, સ્થાનિક સ્તરે કામના અવસરો ઊભા કરવો અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનામાં પર્યાવરણ સંરક્ષણ, પાણી સંરક્ષણ, જમીન સુધારણા અને સ્થાનિક સંસાધનોના અસરકારક ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
સ્થળાંતર અટકાવવાનો પ્રયાસ
સરકારનું માનવું છે કે આ કાયદાથી ગ્રામિણ પરિવારોની આવકમાં સ્થિરતા આવશે અને શહેરોમાં થતા સ્થળાંતરને રોકવામાં પણ મદદ મળશે. ખેતી અને બિન-ખેતી ક્ષેત્ર વચ્ચે સંતુલન સાધવો પણ આ કાયદાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. વિપક્ષી પક્ષો ભલે આ કાયદાને લઈને રાજકીય રીતે સક્રિય રહે, પરંતુ સરકારનું કહેવું છે કે ‘જી રામ જી’ કાયદો ગ્રામિણ ભારત માટે નવો યુગ શરૂ કરશે, જેમાં રોજગારની ગેરંટી સાથે જીવનની ગુણવત્તામાં પણ સુધારો થશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





