હાજી અલી હુમલા વચ્ચે ઇન્ડીયન નેવી એક્શનમાં: હોર્મુઝ સ્ટ્રેટમાંથી બે LPG જહાજોને સુરક્ષિત એસ્કોર્ટ કરાયા

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને દરિયાઈ સુરક્ષાની ચિંતાઓ વચ્ચે ઇન્ડીયન નેવીએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા બે LPG જહાજોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ કરીને મહત્વપૂર્ણ કામગીરી અંજામ આપી છે. છેલ્લા બે દિવસમાં વિદેશી ધ્વજવાળા પરંતુ ભારત માટે LPG લઈ આવતા બે જહાજોને ભારતીય નૌસેનાએ સુરક્ષિત માર્ગદર્શન આપ્યું હતું.

માર્શલ આઇલેન્ડ્સના ધ્વજવાળું LPG જહાજ ‘SYMI’ 13 મેના રોજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ આગળ વધ્યું હતું. અંદાજે 19,965 મેટ્રિક ટન LPG લઈને આવતું આ જહાજ 16 મે સુધીમાં ગુજરાતના કંડલા બંદરે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે વિયેતનામના ધ્વજવાળું ‘સનશાઇન’ નામનું LPG જહાજ 14 મેના રોજ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ આગળ વધ્યું હતું. 46,487 મેટ્રિક ટન LPG લઈને આવતું આ જહાજ 18 મે સુધીમાં ન્યૂ મેંગલોર બંદરે પહોંચે તેવી માહિતી મળી છે.

પોર્ટ અને શિપિંગ મંત્રાલયના અધિકારી મુકેશ મંગલના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 13 તેલ અને ગેસ વહન કરતા જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે. તેમાં 12 LPG જહાજો અને એક ક્રૂડ ઓઇલ ટેન્કરનો સમાવેશ થાય છે. સંઘર્ષ શરૂ થયા બાદ ઇન્ડીયન નેવી સતત જહાજો સાથે સંપર્કમાં રહી તેમને નેવિગેશન અને કોમ્યુનિકેશન સપોર્ટ પૂરો પાડી રહી છે.

આ દરમિયાન ભારતીય કાર્ગો જહાજ ‘હાજી અલી’ પર થયેલા હુમલાએ પણ ચિંતા વધારી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક શંકાસ્પદ ડ્રોન હુમલા બાદ જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર પર નોંધાયેલ આ જહાજ સોમાલિયાથી શારજાહ જઈ રહ્યું હતું અને તેમાં પશુધન સાથે 14 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. સદનસીબે ઓમાની અધિકારીઓએ તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા અને તેમને ટૂંક સમયમાં ભારત પરત મોકલવામાં આવશે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડીયન નેવીએ પર્સિયન ગલ્ફ વિસ્તારમાં વધારાની ટાસ્ક ફોર્સ પણ તૈનાત કરી છે. નૌસેના સીધા પર્સિયન ગલ્ફમાં પ્રવેશ કરતી નથી, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ અને ગલ્ફ ઓફ ઓમાન વિસ્તારમાં ભારતીય જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્રિય રીતે કામગીરી કરી રહી છે. જહાજો સ્ટ્રેટ પાર કર્યા બાદ ભારતીય યુદ્ધજહાજો તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સંભાળી તેમને સુરક્ષિત રીતે ભારતીય બંદરો સુધી પહોંચાડી રહ્યા છે.

 

 

  • Related Posts

    બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ફરજિયાત: દેશભક્તિ વધારવા સરકારનો મોટો નિર્ણય

    પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં દેશભક્તિની ભાવના મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સવારની…

    વાવમાં ડીઝલ અછતની અફવાએ મચાવ્યો હાહાકાર: પેટ્રોલ પંપ પર લાગી કેરબાઓની લાંબી કતારો

    વાવ-થરાદ વિસ્તારમાં ડીઝલની અછતની અફવા ફેલાતા ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. ખેતીની સિઝન વચ્ચે ડીઝલ નહીં મળે તેવી ભીતિને કારણે વાવ-થરાદ હાઈવે પર આવેલા જીઓ પેટ્રોલ પંપ…