ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટશે: આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, હવામાન વિભાગનો અંદાજ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે હવે રાજ્યવાસીઓ માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં થયેલા ફેરફાર અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા છે.

અહેવાલ મુજબ આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. આ ઘટાડા બાદ આગામી ત્રણ દિવસ સુધી ગરમીની તીવ્રતા ઓછી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી લોકોને આકરા તાપમાંથી થોડી રાહત મળશે.

તેમ છતાં, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 24 કલાક હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી યથાવત રહી શકે છે. ખાસ કરીને કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વધુ તીવ્ર ગરમી રહેવાની સંભાવના હોવાથી ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી અને બોટાદ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ તેમજ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા જેવા શહેરોમાં પણ હીટવેવ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને શરીરને હાઇડ્રેટેડ રાખવા અપીલ કરવામાં આવી છે. ભલે આગામી એક દિવસ ગરમીનો પ્રભાવ યથાવત રહે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થવાથી રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળવાની આશા છે.

 

 

  • Related Posts

    બિહારમાં NEET પેપર લીક આંદોલન મામલે સરકાર દ્વારા કેસ પરત ખેંચવા સહિત 4 મહત્વના નિર્ણયો

    બિહારમાં NEET-UG પેપર લીક મામલે થયેલા વિદ્યાર્થી આંદોલન બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈને વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 26 જુલાઈ 2026ના સાંજે…

    CJPના અલ્ટીમેટમ બાદ સરકારે પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી અંગે કેન્દ્રે મંગાવી વિગતો

    NEET સહિત વિવિધ મુદ્દાઓને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ કેન્દ્ર સરકારે પ્રદર્શનકારીઓ સામે થઈ રહેલી પોલીસ કાર્યવાહીને લઈને મહત્વપૂર્ણ…