વડાપ્રધાને લખ્યું છે કે ગુજરાતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં પણ વર્ણવાયું છે અને તેનું ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ અતિ વિશાળ છે. આક્રમણકારોએ તેને નષ્ટ કરવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા ક્યારેય તૂટી નથી.
1026ના આક્રમણની યાદ
ઈતિહાસના પાનાંઓને યાદ કરતા પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે જાન્યુઆરી 1026માં ગઝનીના મહમૂદ દ્વારા સોમનાથ પર ભયાનક આક્રમણ કરવામાં આવ્યું હતું. આ આક્રમણ અત્યંત હિંસક અને બર્બર હતું, જેનો ઉદ્દેશ્ય ભારતની શ્રદ્ધા અને સભ્યતાના આ મહાન પ્રતીકને ધ્વસ્ત કરવાનો હતો. વર્ષ 2026માં આ ઐતિહાસિક ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થશે, જે સોમનાથ માટે વિશેષ મહત્વ ધરાવે છે.
ખંડેરોમાંથી પુનર્જન્મની ગાથા
પીએમ મોદીએ પોતાના લેખમાં જણાવ્યું કે સોમનાથ પર થયેલો હુમલો માનવ ઇતિહાસની મોટી દુર્ઘટના હતો, પરંતુ ત્યારપછીનું પુનર્નિર્માણ ભારતની અડગ જીજીવિષાનું પ્રતીક છે. 1026 પછી મંદિરને અનેક વખત તોડવામાં આવ્યું, પરંતુ દરેક વખત તેનું પુનર્નિર્માણ થયું.
તેમણે જણાવ્યું કે સોમનાથ મંદિરનું વર્તમાન ભવ્ય સ્વરૂપ વર્ષ 1951માં આકાર પામ્યું હતું. 11 મે, 1951ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. યોગાનુયોગે, 2026માં મંદિરના આધુનિક પુનર્નિર્માણને પણ 75 વર્ષ પૂર્ણ થશે.

સ્વાભિમાનની અવિરત ગાથા
પીએમ મોદીએ પોતાના લેખમાં ભારપૂર્વક જણાવ્યું કે, “સોમનાથ પર થયેલા હુમલાઓ અને લાંબી ગુલામી છતાં આજે હું વિશ્વાસ અને ગર્વ સાથે કહું છું કે સોમનાથની વાર્તા વિનાશની નહીં, પરંતુ ભારત માતાના કરોડો સંતાનોના સ્વાભિમાનની ગાથા છે, જે છેલ્લા 1000 વર્ષથી અવિરત ચાલી રહી છે.”
તેમણે ઉમેર્યું કે સોમનાથ સહિત દક્ષિણ ભારતના મંદિરો આપણને ભારતની સભ્યતાની ઊંડી સમજ આપે છે. અનેક વખત ખંડેર બનેલા આ મંદિરો દરેક વખત પહેલા કરતાં વધુ મજબૂત અને જીવંત બનીને ઊભા રહ્યા છે, જે ભારતની રાષ્ટ્રીય જીવનશક્તિનું પ્રતિબિંબ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






