પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર; બે નવા વેટલેન્ડને રામસર સાઈટ બનાવવા પ્રસ્તાવ
ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા.01 અને 02 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે ૦૮મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારનું ઉદ્ઘાટન તા. ૦૧ ફેબ્રુઆરીએ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે તેમજ રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા.૦૨ ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ- જળપ્લાવિત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ બે દિવસીય સેમિનાર વિશ્વ વેટલેન્ડ્સ દિવસ-૨૦૨૬ની વૈશ્વિક થીમ “જળપ્લાવિત વિસ્તાર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ” સાથે સંકળાયેલો છે. જેનો મુખ્ય ઉદ્દેશ જળપ્લાવિત વિસ્તાર,તેને આનુષંગિક પરંપરાગત જ્ઞાન અને સાંસ્કૃતિક વારસા વચ્ચેના આંતરસબંધોને સમજવાનો અને વધુ મજબૂત બનાવવાનો છે. સાથોસાથ પરંપરાગત તેમજ સ્થાનિક જ્ઞાનને જળપ્લાવિત વિસ્તારના સાતત્યપૂર્ણ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં પણ સહભાગી બનાવવાનો છે.…







