ગુજરાત ચૂંટણી પંચના CEO તરીકે નિયુક્ત થયેલા સંદીપ સાગલે કોણ છે? જાણો તમામ વિગત

એક તરફ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાનો પાયો એટલે મ્યુનિસિપલ ચૂંટણીઓ ના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ રાજ્ય માટે નવા મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ની નિમણૂક કરી છે. પંચે 2007 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી સંદીપ સાગલેને નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ, આ ભૂમિકા IAS અધિકારી હરિત શુક્લા દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી, જેમણે ગુજરાતમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની દેખરેખ રાખી હતી. શુક્લા 1999 બેચના IAS અધિકારી છે. સાગલે અગાઉ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી હતી. 2007 બેચના IAS અધિકારી, સંદીપ સાગલે સ્વચ્છ છબી ધરાવતા અધિકારી છે. તેમણે અગાઉ ગુજરાતના અમદાવાદના કલેક્ટર તરીકે સેવા આપી હતી. તેમણે બનાસકાંઠા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં કલેક્ટર તરીકે પણ સેવા આપી છે. મહારાષ્ટ્રના વતની છે સાગલે સાગલેએ થોડા સમય માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે પણ સેવા આપી હતી. 16 નવેમ્બર, 1973 ના રોજ જન્મેલા સંદીપ સાગલે મૂળ મહારાષ્ટ્રના વતની છે. મહારાષ્ટ્રમાં તેમનું પૈતૃક ઘર અકોલા જિલ્લાના અકોલા તાલુકામાં આવે છે.ગુજરાતમાં ચૂંટણી પંચના નવા સીઈઓ બનેલા સંદીપ સાગલે હવે રાજ્યના મોટા શહેરોમાં ચૂંટણી કરાવવાની જવાબદારી સંભાળશે. સાગલે પહેલા, પંચે જુલાઈ 2024 માં હરિત શુક્લાને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતા . ગુજરાત SIR દરમિયાન સૌથી વધુ મતો કાઢી નાખવામાં આવ્યા હતા . 13.4% મતો કાઢી નાખવામાં આવ્યા હતા. કુલ સંખ્યા 68.12 લાખ હતી. હવે ગુજરાતની મતદાર યાદીમાં 4.40 કરોડ મતદારો બાકી છે. ગુજરાતના મોટા શહેરોમાં ચૂંટણીઓને આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની સેમિ-ફાઇનલ માનવામાં આવી રહી છે. હાલમાં, ગુજરાતના તમામ મોટા શહેરોમાં ભાજપ સત્તામાં છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ધોલેરા SIRમાં બનશે 250 મેગાવટ ગ્રીન AI રેડી ડેટા સેન્ટર કેમ્પસ, નવી દિલ્હીમાં થયા MoU

નવી દિલ્હીમાં યોજાઇ રહેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 અંતર્ગત ગુજરાતે AI ક્ષેત્રે એક મહત્વપૂર્ણ MoU કર્યા છે.આ સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એક્ટિવિટી અન્વયે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને લાર્સન એન્ડ ટ્રુબ્રો વ્યોમાં વચ્ચે આ MoU ધોલેરા SIR ખાતે 250 મેગા વોટના હાઇ પર સ્કેલ, ગ્રીન AI રેડી ડેટા સેન્ટરની સ્થાપના માટે કરવામાં આવ્યા છે. વન, પર્યાવરણ અને સાયન્સ -ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં થયેલા MoU દ્વારા L & T વ્યોમાં રૂ. 25 હજાર કરોડનું રોકાણ આ પ્રોજેક્ટમાં કરશે તેમજ સંભવત: 2028 સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત થઈ જશે. આ MoU ગુજરાતને AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ કમ્પ્યુટિંગ, એડવાન્સ્ડ એનાલિટિક્સ અને સસ્ટેનેબલ ડિજિટલ ઇકોસિસ્ટમ માટે અગ્રણી હબ તરીકે સ્થાપિત કરવાના સહિયારા વિઝન તથા ગુજરાત IT/ITeS નીતિ (2022-27) સાથે સુસંગત છે. પરોક્ષ રોજગારીનું કરશે સર્જન ધોલેરા SIRનો આ પ્રસ્તાવિત કેમ્પસ ઉચ્ચ અસરોવાળા રોકાણોને પ્રોત્સાહિત કરશે, નવીનતા આધારિત વિકાસને મજબૂત બનાવશે તેમજ કન્સ્ટ્રક્શન, કમિશનિંગ અને લાંબા ગાળાના ઓપરેશન્સમાં રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન કરશે. પ્રોજેક્ટ તે સંલગ્ન ઇકોસિસ્ટમના વિકાસથી પરોક્ષ રોજગારીનું સર્જન પણ થશે, તે ભવિષ્યના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ચાલકબળ તરીકે ગુજરાતની ભૂમિકાને વધુ સુદૃઢ બનાવશે. 2028 સુધીમાં પ્રોજેક્ટ કાર્યરત થશે આ MoU મુજબ, L&T વ્યોમા જમીનની યોગ્યતા, માળખાગત સુવિધાઓની સજ્જતા, ઉપલબ્ધતા ક્ષેત્રો (અવેલેબિલિટી ઝોન્સ) અને ટકાઉપણાના પરિમાણોને આવરી લઇને સંભાવનાઓનું વિગતવાર મૂલ્યાંકન કરશે, ગુજરાત સરકાર પોતાના સંબંધિત વિભાગો મારફતે એક સક્ષમ માળખા સાથે પ્રોજેક્ટને સરળ બનાવશે. આ સીમાચિહ્નરૂપ એમઓયુ હાઇપરસ્કેલ AI ડેટા સેન્ટરની સજ્જતાને સક્ષમ કરીને ભવિષ્યના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાતના નેતૃત્વને વેગ આપશે. તેમજ ગ્લોબલ ક્લાઉડ અને AI કંપનીઓને આકર્ષિત કરવાની રાજ્યની ક્ષમતામાં વધારો કરશે, AI ટ્રેનિંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ જેવા ઉભરતા કાર્યબોજને સહયોગ તેમજ નવીનીકરણ, ઉચ્ચ મૂલ્યની નોકરીઓ અને ટકાઉ આર્થિક વિકાસ માટે એક સ્થિતિસ્થાપક પણ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે. ઈન્ડિયા AI સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ભારતના “MANAV” વિઝનની રૂપરેખા આપી છે. M- મોરલ એન્ડ એથિકલ સિસ્ટમ (નૈતિક અને નીતિગત પ્રણાલી); A- અકાઉન્ટેબલ ગવર્નન્સ (જવાબદાર શાસન); N- નેશનલ સોવરેનિટી વિથ એમ્ફસીસ ઓન ધ રાઇટ ટુ ડેટા (ડેટાના અધિકાર પર ભાર મૂકતું રાષ્ટ્રીય સાર્વભૌમત્વ); A- એક્સેસીબલ એન્ડ ઇન્ક્લુઝિવ ટેક્નોલોજી (સુલભ અને સમાવિષ્ટ ટેકનોલોજી); અને V- વેલિડ એન્ડ લેજિટિમેટ સિસ્ટમ (માન્ય અને કાયદેસર પ્રણાલીઓ). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AIને વાયરલેસ કોમ્યુનિકેશનનું એક ઐતિહાસિક પરિવર્તન તરીકે ગણાવ્યું છે. સાચી ક્ષમતા ફક્ત મશીનોને બુદ્ધિશાળી બનાવવાને બદલે માનવ ક્ષમતાઓના વિસ્તરણમાં રહેલી છે તેવો મત તેમણે દર્શાવ્યો છે. 850 કરોડથી વધુની ફાળવણી વડાપ્રધાનના આ વિઝનને અનુસરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની AI પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવીને રાજ્યના આ વર્ષના બજેટમાં AI અને ડિજિટલ ગવર્નન્સ પહેલ માટે રૂ‌. 850 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અને L&T વ્યોમા વચ્ચેના આ MoU ગુજરાતમાં વિશ્વ કક્ષાના AI-રેડી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. એટલું જ નહિં, ભારતની AI ક્રાંતિમાં મોખરે રહેવા તેમજ નવીનતા, ટકાઉપણું અને સમાવિષ્ટ વિકાસને આગળ ધપાવવામાં ગુજરાતને વધુ સજ્જ બનાવતું કદમ છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

Ahmedabad: ખાસ સઘન સુધારણા ઝૂંબેશ (SIR) પૂર્ણ; 49.12 લાખથી વધુ મતદારો સાથે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કરની ઉપસ્થિતિમાં તા.01-01-2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) ઝૂંબેશ બાદ તૈયાર થયેલી આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) અને નેશનલ પીપલ્સ પાર્ટીના પ્રતિનિધિઓને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યમાં ગત તા. 28 ઓક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરાયેલા આ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાના 21 વિધાનસભા મતવિભાગોમાં વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન જિલ્લાનાં ૫૫૨૪ મતદાન મથકો પર વિવિધ તબક્કે એન્યુમરેશન ફોર્મ્સનું વિતરણ, હક્કદાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. શરૂઆતમાં 62,59,620 મતદારો માટેની આ ઝૂંબેશ બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ હતી, જેમાં 48,06,916 મતદારોનો સમાવેશ થયો હતો. આ પ્રક્રિયામાં ગેરહાજર, સ્થળાંતરિત કે અવસાન પામેલા (ASD) કુલ ૧૪,૫૨,૭૦૪ મતદારોનાં નામ કમી કરવામાં આવ્યા છે. આજે પ્રસિદ્ધ થયેલી આખરી મતદારયાદી મુજબ હવે અમદાવાદ જિલ્લામાં 25,46,672 પુરુષ, 23,65,665 સ્ત્રી અને 211 અન્ય એમ કુલ 49,12,548 મતદારો નોંધાયા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં 27 ઓક્ટોબર 2025 થી શરૂ થયેલી SIRની આ પ્રક્રિયા અત્યંત સઘન અને પારદર્શક રહી છે. 4 નવેમ્બરથી શરૂ થયેલા એન્યુમરેશન ફેઝમાં અમારા BLO દ્વારા દરેક મતદારો સુધી પહોંચીને ફોર્મ્સનું વિતરણ અને કલેક્શન કરવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ બાદ જ્યારે વાંધા અરજીઓનો સમયગાળો આપવામાં આવ્યો, ત્યારે મતદારોએ ERO અને AERO સમક્ષ ઉપસ્થિત રહીને પુરાવાઓ રજૂ કર્યા હતા. ચૂંટણી પંચની સૂચના મુજબ આ તમામ હક્કદાવા અને વાંધા અરજીઓ બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરીને આજે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું કે મતદાર યાદી એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જો કોઈ મતદારનું નામ હાલમાં કમી થયું હોય અથવા કોઈ સુધારો કરાવવો હોય, તો ગભરાવાની જરૂર નથી. 18 વર્ષ પૂર્ણ કરનાર નવા મતદારો અથવા સ્થળાંતરિત થઈને આવેલા નાગરિકો ફોર્મ નં. 6, 7 કે 8 દ્વારા ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી ગમે ત્યારે નામ નોંધણી કે સુધારાની પ્રક્રિયા કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીને સફળ બનાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 21 મતદાર નોંધણી અધિકારીઓ અને 80 મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ ઉપરાંત 5524 BLO, 592 BLO સુપરવાઈઝર અને 3000થી વધુ BLO સહાયકોની સેવાઓ લેવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા AMC, AUDA, UGVCL અને R&B જેવા વિભાગોમાંથી પણ વધારાનો સ્ટાફ નિયુક્ત કરાયો હતો. મતદારોની સરળતા માટે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન વખતોવખત વિવિધ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિમોલિશન, રિડેવલપમેન્ટ, સ્લમ એરિયા અને ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જિલ્લાભરમાં 80 જેટલા હેલ્પ ડેસ્ક કાર્યરત કરી મતદારોને ફોર્મ નં. 6, 7 અને 8 ની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે હેતુથી માન્ય રાજકીય પક્ષો સાથે કુલ ૪ બેઠકો યોજાઈ હતી અને તેમને બૂથ વાઈઝ ASD (Absent+Shifted+Death) યાદી પૂરી પાડવામાં આવી હતી, જે https://ahmedabad.nic.in/ તેમજ https://ahmedabad.gujarat.gov.in/ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, SIR પ્રક્રિયા દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપક પ્રચાર-પ્રસાર કરી સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને રીલ્સ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. વધુમાં, SIR પ્રક્રિયા દરમ્યાન BLO Application, ECI Net Application, ફરિયાદ નિવારણ માટે NGSP Portal, PG Portal જેવી ટેક્નોલોજી આધારિત એપ અને પોર્ટલ તથા ટોલ ફ્રી નંબર 1950 નો ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી હતી. 1950 ટોલ ફ્રી નંબર પર SIR કામગીરી દરમિયાન કુલ 6787 કોલ્સ દ્વારા મતદારો તરફથી માહિતી મેળવવામાં આવી હતી. બુક અ કોલ વિથ BLO સુવિધા દ્વારા કુલ 14,028 કોલ રિક્વેસ્ટનું હકારાત્મક નિરાકરણ કરી ચૂંટણી તંત્રએ આ આખરી મતદારયાદી તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ગુજરાત: SIR પ્રક્રિયામાં 14.70 લાખ ફોર્મ મળ્યા, વાંધા-દાવાની સમયમર્યાદા 30 જાન્યુઆરીએ પૂર્ણ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ તા. 18.01.2026ની સમયસીમા રખાઈ હતી જે બાદમાં ભારતના ચૂંટણીપંચે 30.01.2026 નિર્ધારીત કરી હતી. આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી નાગરિકો તરફથી કુલ 14,70,125 ફોર્મ્સ મળ્યા છે. જેમાં ફોર્મ નં 6ની કુલ સંખ્યા 7,25,920 છે, ફોર્મ નં 7ની કુલ સંખ્યા 1,83,235 છે જ્યારે ફોર્મ નં 8ની કુલ સંખ્યા 5,60,970 છે. જિલ્લાવાર મળેલા ફોર્મ્સની યાદી નીચે પ્રમાણે છે. જિલ્લાવાર મળેલા ફોર્મની યાદી ક્રમ જિલ્લાનું નામ ફોર્મ નં. 6 ફોર્મ નં. 7 ફોર્મ નં. 8 કુલ મળેલા ફોર્મ 1 Ahmedabad 110,219 34,008 71,857 216,084 2 Surat 66,131 11,672 53,350 131,153 3 Anand 21,451 40,607 16,732 78,790 4 Rajkot 35,050 2,242 34,857 72,149 5 Bhavnagar 31,073 1,579 30,464 63,116 6 Vadodara 33,160 2,067 23,595 58,822 7 Kachchh 29,035 3,097 22,089 54,221 8 Kheda 20,838 14,549 18,292 53,679 9 Gandhinagar 22,484 9,028 19,337 50,849 10 Banaskantha 25,709 2,784 18,573 47,066 11 Mahesana 22,257 1,982 18,907 43,146 12 Panchmahal 23,002 1,680 18,080 42,762 13 Dahod 23,019 10,182 9,494 42,695 14 Junagadh 20,763 2,815 16,539 40,117 15 Patan 13,535 13,121 11,543 38,199 16 Jamnagar 20,019 1,381 16,518 37,918 17 Surendranagar 18,343 1,472 16,304 36,119 18 Bharuch 15,625 6,457 10,563 32,645 19 Sabarkantha 16,572 1,414 14,488 32,474 20 Amreli 16,090 733 12,910 29,733 21 Gir Somnath 13,732 1,189 14,471 29,392 22 Morbi 13,635 1,169 14,258 29,062 23 Valsad 15,046 3,599 10,269 28,914 24 Navsari 10,800 7,619 9,041 27,460 25 Mahisagar 11,252 933 10,272 22,457 26 Arvalli 11,703 683 8,673 21,059 27 Chhota Udepur 14,517 992 4,784 20,293 28 Botad 10,287 768 7,907 18,962 29 Porbandar 8,706 513 7,760 16,979 30 Devbhumi Dwarka 7,950 854 5,559 14,363 31 Tapi 5,097 486 2,513 8,096 32 Narmada 4,473 248 2,676 7,397 33 Dangs 2,804 55 1,142 4,001 — કુલ 7,25,920 1,83,235 5,60,970 14,70,125 ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલા હેતુ ‘પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર સામેલ ન થાય’ને સિદ્ધ કરવા માટે રાજ્યભરના મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ આ તમામ ફોર્મની ચકાસણી કરીને તા. 10.02.2026 સુધીમાં નિકાલ કરશે. ઉલ્લેખનીય છે કે કોઈપણ કારણોસર જો રાજ્યના કોઈપણ નાગરિકો ફોર્મ ભરવામાં કે પછી તેને જમા કરાવવાનું ચૂકી ગયા હોય કે પછી મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં ન જોડાઈ શક્યા હોય તો આગામી સમયમાં સતત સુધારણા અંતર્ગત તેઓ ફોર્મ ભરી શકશે અને મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવું, રદ્દ કરવું કે સ્થળાંતર સહિતના ફેરફાર કરાવી શકશે.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

SIRની પ્રક્રિયામાં ચૂંટણીપંચે જાહેર કરી વિગતો, નામ કમી કરવા અને ઉમેરવા મળ્યા આટલા ફોર્મ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા.30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.28 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 6,88,116 ફોર્મ 6 અને 6એ મળ્યા છે. 9,88,621 ફોર્મ 7 મળ્યા જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 9,88,621 ફોર્મ 7 મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

પશ્ચિમ બંગાળ SIR વિવાદ: ડ્રાફ્ટ મતદાર યાદીમાં ‘મૃત’ જાહેર કરાયેલો વ્યક્તિ મૃત્યુ પ્રમાણપત્ર માંગવા મ્યુનિસિપલ ઓફિસ પહોંચ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીને લઈને સતત વિવાદો સામે આવી રહ્યા છે. તાજેતરના એક ચોંકાવનારા ઘટનાક્રમમાં પૂર્વ બર્ધમાન જિલ્લાના કાલનાના રહેવાસી પૂર્ણા સાહાને ડ્રાફ્ટ મતદાર યાદીમાં ‘મૃત’ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે તેઓ સંપૂર્ણપણે જીવિત છે. ચૂંટણી પંચે 16 ફેબ્રુઆરીના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી હતી. પૂર્ણા સાહાએ જણાવ્યું કે યાદી જોતા તેઓ હકબચકા થઈ ગયા હતા, કારણ કે તેમાં તેમનું નામ મૃત વ્યક્તિ તરીકે નોંધાયેલું હતું. આ ભૂલ સામે વિરોધ દર્શાવવા માટે તેઓ બુધવારે કાલના નગરપાલિકા કચેરી પહોંચ્યા અને વ્યંગાત્મક રીતે પોતાનું મૃત્યુ પ્રમાણપત્ર માંગ્યું. 42 વર્ષીય પૂર્ણા સાહા કાલના નગરપાલિકાના વોર્ડ નંબર 12 અને બૂથ નંબર 204 ના મતદાર છે. તેમણે 16 નવેમ્બરે ગણતરી (વેરીફિકેશન) ફોર્મ ભરીને બ્લોક લેવલ ઓફિસર (BLO)ને સુપરત કર્યું હતું. તેમના પાસે ફોર્મ જમા કરાવ્યાની રસીદની નકલ પણ ઉપલબ્ધ છે, છતાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમને મૃત દર્શાવવામાં આવ્યા છે. નગરપાલિકા કચેરીમાં તેમણે જણાવ્યું, “ચૂંટણી પંચની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રમાણે હું મૃત છું, એટલે મને મૃત્યુ પ્રમાણપત્ર આપો.” પછી મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ તેમને મૃત જાહેર કરાયા છે, જે ગંભીર બેદરકારી દર્શાવે છે. આ ઘટનાની ફરિયાદ મળ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલર સંદીપ બોઝે વિસ્તારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે પૂર્ણા સાહાનું નામ ખરેખર મૃત મતદારોની યાદીમાં સમાવિષ્ટ છે. ઉલ્લેખનીય છે કે ડ્રાફ્ટ મતદાર યાદીને લઈને અન્ય વિવાદો પણ સામે આવ્યા છે. સીપીઆઈ(એમ)ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમના પુત્ર આતિશ અઝીઝ પર પોતાની અટક બદલીને યાદીમાં સમાવેશ કરાવવાનો આરોપ પણ ચર્ચામાં છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

શશિ થરૂર નવા-જૂની કરવાના મૂડમાં ! સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં રહ્યા ગેરહાજર

કોંગ્રેસ અને શશિ થરૂરના સંબંધો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન શશિ થરૂર સતત ત્રીજી વખત પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શુક્રવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની એક બેઠક હતી, જેમાં તેઓ હાજર રહ્યા ન હતા. આ સતત ત્રીજી વખત છે જ્યારે શશિ થરૂર પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શશિ થરૂર અનેક વખત પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે આના કારણે કોંગ્રેસમાં તેમના વિશે અસ્વસ્થતાની સ્થિતિ છે. દરમિયાન, કોંગ્રેસની બેઠકોમાં તેમની સતત ગેરહાજરી આશંકાઓને જન્મ આપી રહી છે. શિયાળુ સત્ર 19 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે અને તે પહેલાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના તમામ 99 લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી. આ બેઠક શિયાળુ સત્રના આગામી દિવસોમાં શાસક પક્ષને કેવી રીતે ઘેરી લેવું તે નક્કી કરવા માટે હતી. શશિ થરૂર આ બેઠકમાં હાજર રહ્યા ન હતા. દરમિયાન, શશિ થરૂરના ભૂતપૂર્વ સાથીએ માહિતી આપી હતી કે તેઓ ગુરુવારે કોલકાતામાં હશે. તેમણે લખ્યું હતું કે મારા લાંબા સમયથી સહયોગી જોન કોશી કોલકાતામાં લગ્ન કરી રહ્યા છે. આ ઉપરાંત, મારી બહેન સ્મિતા થરૂરનો જન્મદિવસ પણ છે. આ દરમિયાન, હું એક કાર્યક્રમમાં પણ ભાગ લઈશ. સાંસદ મનીષ તિવારી પણ આ કોંગ્રેસ બેઠકમાં હાજર નહોતા. તેમના વિશે પણ વારંવાર ચર્ચાઓ થઈ રહી છે. અગાઉ, શશિ થરૂરે નવેમ્બરમાં બે બેઠકો છોડી દીધી હતી. આમાંથી એક બેઠક 30 નવેમ્બરના રોજ સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવી હતી. ઓગસ્ટ 2020 માં, શશિ થરૂર અને અન્ય નેતાઓએ પણ સોનિયા ગાંધી વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. આ અંગે પૂછવામાં આવતા, થરૂરે કહ્યું, “મેં બેઠક છોડી ન હતી, પરંતુ હું હાજર રહી શક્યો નહીં. હું કેરળથી દિલ્હી પાછો ફરી રહ્યો હતો અને વિમાનમાં હતો.” ત્યારબાદ તેમના કાર્યાલયે જણાવ્યું કે તેઓ તેમની 90 વર્ષની માતા સાથે દિલ્હી પરત ફરી રહ્યા હતા, અને તેમની ફ્લાઇટ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. SIR પરની બેઠકથી પણ દૂર રહ્યા અગાઉ, 18 નવેમ્બરના રોજ, તેમણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) પર ચર્ચા કરવા માટે પાર્ટીની બેઠકમાં હાજર રહ્યા ન હતા. આ બેઠકમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ સાંસદો સાથે વાત કરી હતી, પરંતુ શશિ થરૂરના કાર્યાલયે જણાવ્યું હતું કે તેઓ નાદુરસ્ત તબિયતને કારણે ગેરહાજર હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

BLO માટે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, રાજ્ય સરકારોને કામનો ભાર ઘટાડવા અપિલ

બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા કામના ભાર અને તાજેતરમાં બનેલાં દુઃખદ બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારો તેમજ રાજ્ય ચૂંટણી પંચોને માનવતાવાદી ધોરણે BLOની કામગીરીમાં રાહત આપવા અપીલ કરી છે. ગુરુવારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચીની બેન્ચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈનાત BLOને અતિશ્વ કામHours આપવામાં આવી રહ્યાં હોવાની બાબતને ગંભીરતાથી લીધી. એપેક્સ કોર્ટે સ્પષ્ટ કર્યું કે BLOને ફરજો બજાવવાની ફરજ છે, પરંતુ સરકારો તેમની તરફ માનવતાવાદી અભિગમ અપનાવે તે અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટના ત્રણ મુખ્ય નિર્દેશ સુપ્રીમ કોર્ટે BLO પર વધતા દબાણને ઘટાડવા માટે નીચેના ત્રણ સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા: 1. કામના કલાકોમાં છૂટ રાજ્ય સરકારો BLO માટે કાર્ય સમય ઘટાડે જેથી તેમના પર વધુ તાણ ન પડે. 2. SIR કામગીરી માટે વધારાની ફોર્સ BLO પરનો વધારાનો ભાર ઘટાડવા માટે બીજી એજન્સીઓ અથવા કર્મચારીઓની મદદ લેવાય. 3. માનવતાવાદી અભિગમ BLOને ફરજો બજાવાની ફરજ છે, પરંતુ રાજ્યોએ તેમની પરિસ્થિતિને સમજતા જરૂરી રાહત આપવી જોઈએ. તાજેતરના બનાવોથી ચકચાર આ મુદ્દો ત્યારે ગંભીર બન્યો જ્યારે મેરઠમાં BLO મોહિત ચૌધરીએ વધારે કામના બોજાને કારણે જંતુનાશક દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ હાથરસ જિલ્લાના સિકંદરાવમાં BLO કમલકાંત શર્માનું મોત થયું હતું, જેનાથી કામના દબાણનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો. રાજ્યોને તાત્કાલિક પગલાં લેવા અપીલ સુપ્રીમ કોર્ટે કહ્યું કે BLO ચૂંટણી પ્રક્રિયાનું મહત્વપૂર્ણ અંગ છે અને તેમના કલ્યાણને અનદેખું કરી શકાય નહીં. રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ તાત્કાલિક અસરથી BLOની પરિસ્થિતિ સુધારવા માટે વ્યવહારુ પગલાં ભરે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

મુખ્ય નિર્વાચન અધિકારીની ગુજરાતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઇ બેઠક, કર્યો આ અનુરોધ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં CEO હારીત શુક્લાએ BJP, INC, AAP અને BSPના ઉપસ્થિત પ્રતિનિધીઓને SIRની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજીટાઈઝેશન સંપન્ન થયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે. અંતરિયાળ અને આદિજાતિ જિલ્લાઓ ફોર્મના ડિજીટાઈઝેશની કામગીરીમાં અગ્રેસર છે. તથા તમામ 33 જિલ્લાઓમાં ડિજીટાઈઝેશનની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. રાજ્યભરના BLO ચૂંટણી પંચના સૈનિકોની જેમ ખૂબ જ ખંતપૂર્વક કામગીરી કરી રહ્યા છે. જે પ્રશંસાને પાત્ર છે. નાગરિકોની સવલત માટે માન્ય રાજકીય પક્ષોના કુલ 50 હજારથી વધુ BLA પણ મતદાનયાદીની ખાસ સઘન સુધારણામાં મદદરૂપ બની રહ્યા છે. તદુપરાંત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વસ્તી જટિલતાને ધ્યાને લઈને BLOની મદદ માટે રાજ્યભરમાં 30 હજારથી વધુ સ્વયંસેવકોની પણ નિયુક્તિ કરાઈ છે. આગામી તબક્કાઓમાં BLO અને BLAની ભૂમિકા મહત્વની હોઈ, માન્ય રાજકીય પક્ષો વધુમાં વધુ BLAની નિયુક્તિ કરે તેવો અનુરોધ પણ મુખ્ય નિર્વાચન અધિકારી એ કર્યો હતો. મતદારોની મુંઝવણ અને પ્રશ્નોના સમાધાન માટે તા.15, 16, 22, 23, 29 અને 30 નવેમ્બર એમ 6 દિવસ રાજ્યભરમાં ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ 50 લાખથી વધુ લોકોએ લીધો હતો. આગામી તબક્કાઓમાં પણ આવા કેમ્પ આયોજીત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તા. 16 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેમના નામ સમાવિષ્ટ ન હોય તેવા મતદારોની યાદી સમાવિષ્ટ ન થવાના કારણો સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રકાશિત કરવામાં આવશે તથા મુખ્ય નિર્વાચન અધિકારી ની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે મતદારો તેમના ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી અને તે કારણસર તેમનું નામ ડ્રાફ્ટ યાદીમાં ન આવે તેવા કિસ્સામાં તેઓ ફોર્મ નં 6 ભરી શકશે. તા.15 જાન્યુઆરી 2026 પહેલા જે મતદારનું ફોર્મ નં 6 મતદાર નોંધણી અધિકારીને મળી જશે, તેમના ફોર્મ મંજૂર થયેથી તેમના નામનો સમાવેશ આખરી મતદાર યાદીમાં કરવામાં આવશે. તા. 15 જાન્યુઆરી 2026 પછી પણ કોઈપણ સમયે ફોર્મ 6/8 ભરી શકાશે અને તેવા મતદારોના નામનો સમાવેશ SIR બાદ પણ સતત સુધારણા અને ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન થઈ શકશે. બેઠકના અંત ભાગમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનો હેતુ પુનઃ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓએ પણ સમગ્ર પ્રક્રિયામાં ચૂંટણી પંચને સહકાર આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

સંસદમાં થશે વંદે માતરમ પર ચર્ચા… PM મોદી લેશે ભાગ; 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો

સંસદનું શિયાળુ સત્ર આજથી (સોમવાર, ૧ ડિસેમ્બર) શરૂ થયું છે. વિપક્ષી પક્ષોએ આ સત્રમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (SIR) પર ચર્ચાની માંગ કરી છે. ચર્ચા ન થવાને કારણે આજે બંને ગૃહોમાં હોબાળો થયો અને વિપક્ષી સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. દરમિયાન, કેન્દ્ર સરકારે આ અઠવાડિયે સંસદમાં વંદે માતરમ પર ખાસ ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ, સરકાર આ અઠવાડિયે ગુરુવાર અથવા શુક્રવારે લોકસભામાં આ મુદ્દા પર ચર્ચા કરી શકે છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ માટે 10 કલાકનો સમય ફાળવ્યો છે. એવી અપેક્ષા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તે ચર્ચામાં ભાગ લેશે. નોંધનીય છે કે વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે, સરકારે આ અઠવાડિયે તેના પર ખાસ ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુની આગેવાની હેઠળની સર્વપક્ષીય બેઠક અને વ્યાપાર સલાહકાર સમિતિની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં લોકસભાના અધ્યક્ષે પણ પોતાની સંમતિ આપી હતી. તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવતા, સરકારે તમામ પક્ષોને ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. દરમિયાન, વિરોધ પક્ષોએ આ ચર્ચામાં બહુ ઓછો રસ દાખવ્યો છે. SIR પર તાત્કાલિક ચર્ચા પર વિપક્ષનો આગ્રહ વિપક્ષી પાર્ટી દિલ્હી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટો અને દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની ખરાબ સ્થિતિ ઉપરાંત દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા (SIR) પર ચર્ચાની માંગ કરી રહી છે. સંસદ સત્રના પહેલા દિવસે બંને ગૃહોમાં આ મુદ્દા પર હોબાળો થયો હતો. વિપક્ષ SIR પર તાત્કાલિક ચર્ચા કરવા પર અડગ હતો પરંતુ સરકારે હાલમાં તેના માટે સંમતિ આપી નથી. જોકે, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર મતદાર યાદીના ખાસ સઘન સુધારા પર ચર્ચા કરવાની વિપક્ષની માંગ પર વિચાર કરી રહી છે અને આ માંગણીને નકારી કાઢવામાં આવી નથી. તેમણે કહ્યું કે સરકાર ચૂંટણી સૂચનો સહિત કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવાથી પાછળ હટી રહી નથી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in