ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રિના પાવન અવસરે ભવનાથ ખાતે યોજાયેલ ભવ્ય મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ છે. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળો સંપન્ન થયો.
કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ખુદ ભગવાન શિવ સાધુ સ્વરૂપે અહીં હાજરી આપે છે. આ માન્યતાને પગલે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અંદાજે 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકોએ મેળાની મુલાકાત લીધી હતી.
રવેડીમાં નાગા સાધુઓના અવનવા કરતબ
મહાશિવરાત્રિની રાત્રે ભવનાથમાં ભવ્ય રવેડી નીકળી હતી. વિવિધ અખાડાના નાગા સાધુઓ રવેડીમાં સામેલ થયા હતા. હર હર મહાદેવના ગગનભેદી નાદ વચ્ચે નાગા સાધુઓએ અવનવા કરતબ રજૂ કર્યા હતા. રસ્તાની બંને બાજુ બપોરથી જ ભાવિકો ગોઠવાઈ ગયા હતા અને સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વિદેશી નાગરિકો પણ ઝૂમી ઉઠ્યા
મેળાની ભવ્યતા માત્ર સ્થાનિકો સુધી સીમિત રહી નહોતી. એક વિદેશી નાગરિક પણ સાધુઓની સાથે ઝૂમતા જોવા મળ્યા હતા. ભક્તિ અને આધ્યાત્મિકતાના આ અનોખા સંગમને જોઈ વિદેશીઓ પણ મંત્રમુગ્ધ બન્યા હતા.
મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે પૂર્ણાહુતિ
રવેડી પૂર્ણ થયા બાદ સાધુઓ ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા. આરતી પૂર્ણ થયા બાદ સાધુઓએ મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી. સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળાની વિધિવત પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





