ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર 16 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટ પર અંદાજે 30 હજાર પોલીસ જવાનો, અદ્યતન ટેક્નોલોજી અને પેરામિલિટરી દળોની તૈનાતી સાથે શહેરને સુરક્ષાના અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં રથયાત્રાની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની વિગતવાર માહિતી આપી હતી.
16 કિમી રૂટ પર કડક બંદોબસ્ત
પોલીસે સમગ્ર રથયાત્રા રૂટને વધુ અસરકારક સુરક્ષા માટે 26 રેન્જ, 53 એરિયા અને 1,397 પોઈન્ટમાં વહેંચ્યો છે. દરેક સ્થળે પોલીસની સતત હાજરી રહેશે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
AI અને ડ્રોનથી થશે સતત નજર
આ વર્ષે રથયાત્રાની સુરક્ષામાં આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.
– 100થી વધુ ડ્રોન દ્વારા હવાઈ સર્વેલન્સ
– 3,700થી વધુ CCTV કેમેરાથી સતત મોનિટરિંગ
– AI આધારિત ફેસ રેકગ્નિશન સિસ્ટમ
– AI વોઇસ બોટ
– હાઈટેક વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ
– એન્ટી-ડ્રોન ગન
– ગજરાજ પર GPS, CCTV અને ડેસિબલ મીટર
આ તમામ વ્યવસ્થાઓ પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંકલિત રહેશે.
હજારો પોલીસકર્મીઓ અને પેરામિલિટરી દળ તૈનાત
રથયાત્રાના બંદોબસ્ત માટે ઉચ્ચ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીનો વિશાળ કાફલો ફરજ પર રહેશે.
સુરક્ષા વ્યવસ્થામાં સામેલ રહેશે:
10 IG/DIG કક્ષાના અધિકારીઓ
JCP અને 42 DCP
93 ACP
303 PI
673 PSI
અંદાજે 30 હજાર પોલીસ અને હોમગાર્ડ
15 SRP કંપનીઓ
1,000થી વધુ BSF અને અન્ય પેરામિલિટરી દળના જવાનો
બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) સહિતની વિશેષ ટીમો
250થી વધુ સંવેદનશીલ સ્થળો પર વિશેષ નજર
પોલીસે સમગ્ર રૂટ પર 250થી વધુ સંવેદનશીલ પોઈન્ટ ઓળખીને ત્યાં વધારાની સુરક્ષા ગોઠવી છે. તમામ CCTV કેમેરાનું લાઇવ મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે.
ગજરાજ અને અખાડાઓ સાથે રહેશે મૂવિંગ સુરક્ષા
રથયાત્રામાં 3 મુખ્ય રથ, 18 ગજરાજ, 103 ટ્રક, 30 અખાડા અને વિવિધ ભજન મંડળીઓ ભાગ લેશે. સમગ્ર યાત્રા દરમિયાન પોલીસનો મૂવિંગ બંદોબસ્ત તેમની સાથે રહેશે, જેથી દરેક તબક્કે સુરક્ષા જળવાઈ રહે.
શાંતિપૂર્ણ રથયાત્રા માટે જનજાગૃતિ અભિયાન
પોલીસ કમિશ્નરે જણાવ્યું કે છેલ્લા દોઢ મહિનાથી શહેરમાં કોમી એકતા અને સામાજિક સુમેળ જળવાઈ રહે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. શાંતિ સમિતિઓ સાથે બેઠકો, મહિલા જૂથો સાથે સંવાદ તેમજ યુવાનો સાથે જનજાગૃતિ કાર્યક્રમો યોજીને લોકોને અફવાઓથી દૂર રહેવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસનું કહેવું છે કે આ વર્ષે રથયાત્રા દરમિયાન સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સલામતી માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





