રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અ દરમિયાન બનાસકાંઠામાં આગની વધુ એક ઘટના સામે આવી છે. ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 19 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો ફેક્ટરીમાં કામ કરતા કામદારો હોવાનું કહેવાય છે.
ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે , બાજુમાં આવેલું ગોડાઉન ધરાસાશી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો.મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે, આગની ભયાનકતાના કારણે મોતનો આંકડો વધવાની શક્યતા છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થળ પરથી કાટમાળ દૂર કરવા અને તેમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું SDRFની એક ટીમ પણ બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ઘટનાસ્થળે છે. કાટમાળ નીચે હજુ કેટલા લોકો દટાયેલા છે તે જાણી શકાયું નથી. બચાવ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે. ગોડાઉનમાં 20થી 25 શ્રમિકો કામ કરતા હતા.
બે દિવસ પહેલા જ મજુરો આવ્યા હતા કામ કરવા
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તમામ મૃતક મધ્યપ્રદેશના રહેવાસી ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. આ મજૂરો બે દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા.
મુખ્યમંત્રીએ શું કહ્યું
ઘટનાને લઇને મુખ્યમંત્રીએ સ્થાનિક તંત્ર સાથે વાતચીત કરી, કલેકટર અને પ્રભારી મંત્રી તથા ગૃહ મંત્રી સાથે પણ વાતચીત કરી , સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહી ઝડપથી તમામ મદદ પૂરી પાડવા સૂચના આપી છે. આ સાથે x પર પોસ્ટ કરતા તેમણે કહ્યું કે, ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઈજાગ્રસ્તોને ઝડપથી યોગ્ય સારવાર મળે તે સુનિશ્ચિત કરવાની સૂચના તંત્રને આપી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિજનને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય કરશે. ઈશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તોને સત્વરે સાજા કરે તેવી પ્રાર્થના કરું છું.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






