Junagadh: ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતી કાલથી પ્રારંભ, પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’ યોજાશે

દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાશે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા. 11 ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’નું આયોજન કરાયું છે જેમાં, નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. આ ભવ્ય ડમરુ યાત્રા મેળાના પ્રથમ દિવસે, એટલે કે 11 મી ફેબ્રુઆરીના રોજ સાંજે 7.00 કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત 400 મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

મળશે આટલી સુવિધા
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે 800-850 ભાવિકોની ક્ષમતાં ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકો માટે 2000 ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં 700 પલંગ અને 150 ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને 24*7 હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

મેળામાં આવતા નાગરીકોના વાહનોના વ્યવસ્થાપન માટે ઉ૫રકોટ, પાંજરાપોળ, વાઘેશ્વરી મંદિર, જેવા 25 અલગ-અલગ સ્થળોએ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. નાગરીકોના વાહનોની સુરક્ષા માટે દરેક પાર્કિંગમાં સીસીટીવી કેમેરા, પીવાનું પાણી અને શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મેળાના માર્ગો અને મંદિરોને વધુ ભક્તિમય બનાવવામાં આવશે. જેમાં સમગ્ર ભવનાથ મેળા વિસ્તારને ‘ભગવાન ભોલેનાથ’ની થીમ પર શણગાર કરવામાં આવશે. ભવનાથ મંદિરનું ફૂલોથી સુશોભન અને સમગ્ર રવેડી રૂટ પર આકર્ષક રોશની કરવામાં આવશે. ભવનાથ મંદિર, અખાડાઓ, દામોદર કુંડ અને ૬ મુખ્ય પ્રવેશદ્વારોને આકર્ષક રોશનીથી ઝળહળતા કરવામાં આવશે. મેળાના રસ્તામાં 06 – સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત સમગ્ર મેળા વિસ્તારમાં ભગવાન શંકરના કલાત્મક ચિત્રો પણ કંડારવામાં આવ્યા છે. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રસ્તા ઉપર સુશોભન અને લાઇટિંગ પણ કરવામાં આવી છે.

28 મેડિકલ સુવિધા કાઉન્ટર્સ પણ કાર્યરત
ભવનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ અંતર્ગત, પીવાના શુદ્ધ પાણી માટે ભવનાથમાં 140 પરબની વ્યવસ્થા કરાઈ છે. પર્યાવરણની જાળવણી માટે 10 બોટલ ક્રશર મશીન અને કોઈપણ તબીબી જરૂરિયાતને પહોંચી વળવા માટે 28 મેડિકલ સુવિધા કાઉન્ટર્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મેળા દરમિયાન કુલ 118 હંગામી ટોયલેટ તેમજ ભવનાથ વિસ્તારમાં ૬ મોબાઇલ ટોયલેટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં ભાઈઓ અને બહેનો માટે અલગ વ્યવસ્થા અને 24*7 હાઉસકીપિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે.

આ પાર્કિંગના તમામ સ્થળોએ ફ્લડ લાઈટ, સેનિટેશન, સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, રાઉન્ડ ઘી ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે. આ માટે જિલ્લા કક્ષાએ પાર્કિંગ સમિતિની રચના કરવામાં આવી છે. આ પાર્કિંગથી મુખ્ય બે પોઇન્ટ ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી શ્રદ્ધાળુઓ ભવનાથ તરફ પ્રસ્થાન કરશે. પાર્કિંગ સ્થળોએથી ખાસ કરીને દિવ્યાંગોને મેળામાં લઇ જવા માટે 25 જેટલી રીક્ષાઓથી નિ:શુલ્ક ૫રીવહનની સુવિધા પુરી પાડવાનું આયોજન કર્યું છે.

સ્થાનિક તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે બેરીકેટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રે યોજાનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે. ‘અતિથિ દેવો ભવ:’ની ભાવના સાથે રાજ્ય સરકાર મહાશિવરાત્રી મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાનો ત્રિવેણી સંગમ બનાવી શ્રદ્ધાળુઓને આવકારવા સંપૂર્ણ સજ્જ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

બાજરી, જુવાર અને મકાઈ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ: ખેડૂતોએ નોંધણી કરાવવી ફરજીયાત

બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ટેકાના ભાવની ખરીદી માટે નોંધણી 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી…