રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 26 નવેમ્બરથી વિશેષ ‘ઓપરેશન કારાવાસ’ શરૂ કર્યું છે. આ અભિયાનમાં ગુજરાત પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે.
15 દિવસમાં 41 ફરાર આરોપીઓ ઝડપાયા
ઓપરેશન અંગે માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં પોલીસે કુલ 41 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાંથી 15 આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. આ ઉપરાંત ઓપરેશન દરમિયાન 25 આરોપીઓનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. તેમના ડેથ સર્ટિફિકેટ મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ 25 પૈકી 17 આરોપીઓ પણ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા.
ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ
પકડાયેલા તમામ આરોપીઓ ખૂન, દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને આજીવન કેદની સજા થયા બાદ જામીન કે પેરોલ પર છૂટીને જેલમાં પરત ન ફર્યા હતા.
આંતર-રાજ્ય કોઓર્ડિનેશનથી મળી સફળતા
ગુજરાત પોલીસની આ સફળતા પાછળ હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે ટેક્નિકલ સર્વેલન્સનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ફરાર આરોપીઓ અન્ય રાજ્યોમાં ઓળખ અને હુલિયો બદલીને રહેતા હતા. આવા જટિલ કેસોમાં પણ પોલીસે આંતર-જિલ્લા અને આંતર-રાજ્ય કોઓર્ડિનેશન સ્થાપિત કરીને આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે.
પોલીસ ટીમોને અભિનંદન
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ કામગીરી બદલ સમગ્ર પોલીસ ટીમને બિરદાવતા અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે કાયદાથી દૂર રહેલા અન્ય આરોપીઓને ઝડપવા માટે ‘ઓપરેશન કારાવાસ’ આગળ પણ સતત ચાલુ રહેશે. સાથે જ પેરોલ કે ફર્લો પરથી પરત ન આવેલા આરોપીઓને પકડવા તમામ પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






