ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2026-27 માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ 4 થી 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂ. 600 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. 160 પ્રતિ ક્વિ., ચણામાં રૂ. 225 પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. 250 પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે.
રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.
ગતવર્ષની સરખામણીએ કરવામાં આવ્યો ભાવ વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2026-27માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂ. 2585 પ્રતિ ક્વિ. (રૂ. 517 પ્રતિ મણ), જવ માટે રૂ. 2150 પ્રતિ ક્વિ. (રૂ. 430 પ્રતિ મણ), ચણા માટે રૂ. 5875 પ્રતિ ક્વિ. (રૂ. 1175 પ્રતિ મણ), મસૂર માટે રૂ. 7000 પ્રતિ ક્વિ. (રૂ. 1400 પ્રતિ મણ), રાયડા માટે રૂ. 6200 પ્રતિ ક્વિ. (રૂ. 1240 પ્રતિ મણ) અને કસુંબી માટે રૂ. 6540 પ્રતિ ક્વિ. (રૂ. 1308 પ્રતિ મણ) ભાવ જાહેર કરવામાં આવ્યો છે.આમ, વર્ષ ૨૦૨૪-૨૫ની સરખામણીએ વર્ષ 2025-26માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂ. 160 થી રૂ. 600 પ્રતિ ક્વિ.નો વધારો કરવામાં આવ્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






