–:રાજસ્થાન રોડવેજની બસની બ્રેક ફેઇલ થતાં મચ્યો હાહાકાર:–

ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમાં રહેતા યુવાન ઝહીરખાન પઠાણે પોતાની તીવ્ર સૂઝબુઝથી બસમાં બેઠેલા અંદાજીત 70 મુસાફરોનું જીવન બચાવ્યું. તેઓ અંગત કામ માટે બાંસવાડા ગયા હતા અને પરત આવતા રાજસ્થાન રોડવેજની બસમાં બાંસવાડા થી કુશલગઢ તરફ મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરોની સંખ્યા વધુ હોવાથી તેઓ ઉભા રહ્યા હતા.
–: બસની બ્રેક ફેઇલ અને ચકચાર :–
જ્યારે બસ બડૌદીયા ગામમાંથી આગળ વધી અને કલીંજરા ગામ પાસે પહોંચી, ત્યારે ડ્રાઈવરે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બ્રેક કામ કરી નહોતી. બ્રેક ફેઇલ થતા જ બસમાં બુમાબુમ મચી ગઈ અને મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો. ડ્રાઈવર પણ ભયભીત થઈ ગયા હતા.
–: ઝાલોદના યુવકની તત્કાળ કામગીરી :–
આ ગંભીર પરિસ્થિતિમાં ઝહીરખાન પઠાણે તત્કાલ સ્ટિયરિંગ સંભાળી ડ્રાઈવરને હિંમત આપી. તેમણે બુદ્ધિપૂર્વક બસને સંભાળી અને જાનહાનિ વગર બસને કલીંજરા ગામ પાર કરાવી. ત્યારબાદ બસ હીરણ નદી તરફ વધવા લાગી અને મુસાફરોનો જીવ પીંજીરામાં બંધાયો.
–: માટીના ઢગલા પર બસ અટકાવી જીવ બચાવ્યા :–

જેમ જેમ બસ ગતિમાં આગળ વધી રહી હતી, ત્યારે ઝહીરખાને સામેથી આવતા એક માટીના ટેકરાને નિશાન બનાવી બસ તેના પર ચઢાવી. આ પગલાથી બસ થોભી ગઈ અને તમામ મુસાફરો સુરક્ષિત રહી શક્યા. બસમાં બેઠેલા દરેક મુસાફરો અને સ્થાનિક લોકોએ ઝહીરખાનની હિંમત અને તત્કાળ નિર્ણયશક્તિની પ્રશંસા કરી. બસ ઉભી રહેતા મોટી સંખ્યામાં સ્થાનિકો પણ સ્થળ પર ભેગા થયા હતા.

ઝહીરખાન પઠાણની આ બહાદુરીને લઈને લોકોમાં પ્રશંસાનો માહોલ છે અને આ ઘટના અન્ય માટે પણ પ્રેરણારૂપ બની છે.






