લેન્ડ ફોર જોબ કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નોકરી માટે જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી દીધી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્રૌપદી મુર્મુએ CrPCની કલમ 197(1) અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 218 હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે.
ED એ ચાર્જશીટ દાખલ કરી
ED રેલવેમાં નોકરી માટે જમીન કૌભાંડની તપાસ કરી રહી છે. ED એ ગયા વર્ષે ઓગસ્ટમાં 76 વર્ષીય બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ, તેમના પુત્ર અને રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરાયેલી FIRના આધારે એજન્સીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
ચાર્જશીટમાં, EDએ લાલુ પ્રસાદ યાદવ પર ગુનાની રકમ છુપાવવા માટે તેમના પરિવારના સભ્યો અને સહયોગીઓ સાથે ગુનાહિત કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. EDએ આરોપ લગાવ્યો હતો કે તેમણે જમીન એવી રીતે મેળવી હતી કે તેમની સંડોવણી જાહેર ન થાય અને તેમના પરિવારને ફાયદો થાય. જ્યારે પ્રસાદ રેલ્વે મંત્રી હતા, ત્યારે પટનાના મહુઆ બાગમાં રહેતા જમીનમાલિકોને રેલ્વેમાં નોકરીના વચન સાથે ઓછી કિંમતે તેમની જમીન વેચવા માટે મનાવવામાં આવ્યા હતા.
અગાઉ, જાન્યુઆરી 2024 માં, ED એ લાલુ પ્રસાદ પરિવારના કથિત સહયોગી અમિત કાત્યાલ અને અન્ય સભ્યો સામે તેની પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. આમાં તેમની પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, સાંસદ પુત્રી મીસા ભારતી, બીજી પુત્રી હેમા યાદવ અને બે સંબંધિત કંપનીઓ – એકે ઇન્ફોસિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એબી એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. દિલ્હીની એક ખાસ પીએમએલએ કોર્ટે આ બંને ચાર્જશીટની નોંધ લીધી હતી. હવે રાષ્ટ્રપતિએ આ મામલે કાર્યવાહી માટે મંજૂરી આપી દીધી છે.
ભરતીને લઈ આવી ચૂક્યા છે વિવાદમાં
પહેલી યુપીએ સરકારમાં જ્યારે લાલુ પ્રસાદ રેલ્વે મંત્રી હતા, ત્યારે રેલ્વેના ગ્રુપ ડીમાં ભરતીઓ કરવામાં આવતી હતી. આરોપ છે કે ભરતીઓ જાહેરાત વિના કરવામાં આવી હતી. અરજી કર્યાના ત્રણ દિવસમાં ઘણા લોકોને નોકરી મળી ગઈ. નોકરીના બદલામાં ઉમેદવારો પાસેથી લાંચ તરીકે જમીન લેવામાં આવી હતી. EDએ કહ્યું છે કે લાલુ પરિવારને 7 જગ્યાએ જમીન મળી છે.






