દેશની સૌથી મોટી એરલાઇન IndiGoના CEO પીટર એલ્બર્સે રાજીનામું આપ્યું છે. એરલાઇનનું સંચાલન કરતી કંપની InterGlobe Aviationએ મંગળવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બર દરમિયાન થયેલા મોટા ફ્લાઇટ સંકટ બાદ એલ્બર્સના રાજીનામાને તે ઘટનાથી જોડીને જોવામાં આવી રહ્યું છે.
હાલમાં IndiGoના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયાએ વચગાળાના ધોરણે કંપનીનું સંચાલન સંભાળ્યું છે. સપ્ટેમ્બર 2022માં CEO તરીકે પદ સંભાળ્યા બાદ લગભગ ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન એલ્બર્સના નેતૃત્વમાં IndiGoએ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન એરલાઇનની આવક 10 અબજ ડોલરથી વધુ રહી હતી અને કંપનીનો કાફલો 440થી વધુ વિમાનો સુધી વિસ્તર્યો હતો. ઉપરાંત એરબસ સાથે 500 વિમાનો માટે ઐતિહાસિક ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો.
જો કે ડિસેમ્બર 2025માં કંપનીને મોટા ઓપરેશનલ સંકટનો સામનો કરવો પડ્યો હતો. પાઇલટ થાક ઘટાડવા માટે લાગુ કરાયેલા નવા Flight Duty Time Limitation (FDTL) નિયમોને સમયસર અમલમાં મૂકવામાં મુશ્કેલીઓ સર્જાતા 3થી 5 ડિસેમ્બર વચ્ચે 2,500થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી, જ્યારે લગભગ 1,900 ફ્લાઇટ્સમાં વિલંબ નોંધાયો હતો. આ કારણે 3 લાખથી વધુ મુસાફરો પ્રભાવિત થયા હતા.
આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એરલાઇન પર 22.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને પીટર એલ્બર્સને કારણ બતાવો નોટિસ પણ પાઠવી હતી. આ સંકટે એરલાઇનની વિશ્વસનીયતા પર પણ અસર પાડી હતી.
ગયા વર્ષના સંકટ અંગે પ્રતિક્રિયા આપતા એલ્બર્સે સ્વીકાર્યું હતું કે ત્રણ દિવસ સુધી કંપની પોતાના ગ્રાહકોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી. જોકે તેમણે એ પણ જણાવ્યું હતું કે આ ઘટના IndiGoની 20 વર્ષની સફર અને સિદ્ધિઓને વ્યાખ્યાયિત કરતી નથી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





