ભારત સરકારે વિદેશ વ્યાપાર નીતિ (Foreign Trade Policy-FTP) 2023માં મહત્વપૂર્ણ સુધારો કરીને બળજબરીપૂર્વકની મજૂરી (Forced Labour)થી બનેલી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાની કાનૂની જોગવાઈ કરી છે. આ નિર્ણયને વૈશ્વિક માનવાધિકારના ધોરણો, પારદર્શક સપ્લાય ચેઈન અને જવાબદાર વેપારને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
DGFTને તપાસ અને કાર્યવાહી કરવાની સત્તા
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ, વિદેશ વ્યાપાર નીતિમાં નવો પેરા 2.20B ઉમેરવામાં આવ્યો છે. આ જોગવાઈ હેઠળ જો કોઈ ઉત્પાદનના ઉત્પાદન દરમિયાન સંપૂર્ણ અથવા આંશિક રીતે બળજબરીપૂર્વકની મજૂરીનો ઉપયોગ થયો હોવાના પુરાવા મળશે, તો કેન્દ્ર સરકાર તે ઉત્પાદનની આયાત પર પ્રતિબંધ મૂકી શકશે. આવા કેસોની તપાસ DGFT દ્વારા કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા ‘હેન્ડબુક ઓફ પ્રોસિજર્સ’માં નક્કી કરાયેલા નિયમો મુજબ હાથ ધરવામાં આવશે.
પ્રથમ વખત ‘બળજબરીપૂર્વકની મજૂરી’ની સ્પષ્ટ વ્યાખ્યા
નવી જોગવાઈ હેઠળ પ્રથમ વખત બળજબરીપૂર્વકની મજૂરીની સત્તાવાર વ્યાખ્યા પણ સામેલ કરવામાં આવી છે. FTPના નવા પેરા 11.64માં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)ના ‘ફોર્સ્ડ લેબર કન્વેન્શન, 1930 (Convention No. 29)’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ, કોઈ વ્યક્તિ પાસે તેની ઈચ્છા વિરુદ્ધ, ધમકી, ડર અથવા સજાના ભય હેઠળ કરાવવામાં આવતું કોઈપણ કામ બળજબરીપૂર્વકની મજૂરી ગણાશે. આ વ્યાખ્યાથી ભવિષ્યમાં આવા કેસોની તપાસ માટે સ્પષ્ટ કાનૂની આધાર મળશે.
કોઈ દેશ કે કંપનીને નિશાન બનાવવામાં આવી નથી
સરકારે જાહેર કરેલા નોટિફિકેશનમાં કોઈ ચોક્કસ દેશ, કંપની અથવા ઉત્પાદનનું નામ લેવામાં આવ્યું નથી. એટલે કે આ નિયમ કોઈ એક દેશને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો નથી. ભવિષ્યમાં જો કોઈપણ દેશમાંથી આયાત થતા ઉત્પાદનમાં બળજબરીપૂર્વકની મજૂરીનો ઉપયોગ થયો હોવાનું સાબિત થશે, તો તેની આયાત રોકી શકાશે. જો કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનના શિનજિયાંગ વિસ્તારમાં બનેલી કેટલીક પ્રોડક્ટ્સ અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અમેરિકા, સંયુક્ત રાષ્ટ્રના કેટલાક નિષ્ણાતો અને માનવાધિકાર સંગઠનો ઉઇગર મુસ્લિમ સમુદાય પાસેથી બળજબરીપૂર્વક મજૂરી કરાવવાના આક્ષેપો કરતા રહ્યા છે, જ્યારે ચીને આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
અમેરિકા અને યુરોપ પહેલેથી જ કડક નિયમો અમલમાં મૂકી ચૂક્યા
વિશ્વના અનેક દેશોએ બળજબરીપૂર્વકની મજૂરી સામે અગાઉથી જ કડક કાયદા અમલમાં મૂક્યા છે. અમેરિકાએ ‘ઉઇગર ફોર્સ્ડ લેબર પ્રિવેન્શન એક્ટ (UFLPA)’ હેઠળ શિનજિયાંગ સાથે જોડાયેલી અનેક પ્રોડક્ટ્સની આયાત પર નિયંત્રણ મૂક્યું છે. યુરોપિયન યુનિયન (EU)એ પણ આવા ઉત્પાદનોને પોતાના બજારમાં પ્રવેશતા રોકવા માટે નિયમનકારી માળખું તૈયાર કર્યું છે. ઉપરાંત, કેનેડા સહિતના ઘણા વિકસિત દેશોએ સપ્લાય ચેઈનમાં માનવાધિકારના પાલન માટે કડક નિયમો અમલમાં મૂક્યા છે.
ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે આ નિર્ણય?
ભારત હાલમાં પોતાની ઓળખ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ યુરોપિયન યુનિયન, બ્રિટન સહિતના અનેક દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) માટે પણ ચર્ચાઓ ચાલી રહી છે. આજના વૈશ્વિક વેપારમાં માત્ર ઓછી કિંમત અને સારી ગુણવત્તા પૂરતી નથી, પરંતુ સપ્લાય ચેઈનની પારદર્શિતા, પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સ (ESG) ધોરણો તથા માનવાધિકારોનું પાલન પણ એટલું જ મહત્વનું બની ગયું છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





