ઓડિશાના પુરીમાં વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની વાર્ષિક રથયાત્રાનો ગુરુવારે ભક્તિભાવ સાથે પ્રારંભ થયો હતો. જોકે, યાત્રાના પ્રથમ દિવસે જ ભારે ભીડ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાતા એક શ્રદ્ધાળુનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ભારે ભીડ વચ્ચે સર્જાઈ અફરાતફરી
ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના ભવ્ય રથોને શ્રીમંદિરમાંથી બહાર લાવવામાં આવી રહ્યા હતા ત્યારે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભારે ભીડને કારણે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એક શ્રદ્ધાળુ ભીડમાં બેહોશ થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનામાં અનેક અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
રેસ્ક્યુ ટીમે હાથ ધરી બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ સ્પેશિયલ રેસ્ક્યુ યુનિટ (SRU) અને સુરક્ષા દળોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને ભીડમાંથી બહાર કાઢીને પુરી મેડિકલ કોલેજ સહિત નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રશાસને રથયાત્રા માર્ગ પર વધારાના પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમો અને ઈમરજન્સી સેવાઓ તૈનાત કરી છે.
ભક્તિ અને પરંપરા વચ્ચે શરૂ થઈ રથયાત્રા
પરંપરાગત વિધિ-વિધાન, શંખનાદ અને ભક્તિગીતો વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. સૌપ્રથમ ચક્રરાજ સુદર્શનને રથ પર બિરાજમાન કરવામાં આવ્યા, ત્યારબાદ દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથના રથોએ ગુન્ડિચા મંદિર તરફ પ્રસ્થાન કર્યું. ‘જય જગન્નાથ’ના ગુંજતા નાદ વચ્ચે લાખો શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી રથ ખેંચવાની પરંપરામાં ભાગ લીધો.
ભારે વરસાદથી વહીવટીતંત્ર એલર્ટ
પુરીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રથયાત્રાને અસર ન થાય તે માટે પુરી મ્યુનિસિપલ કોર્પોરેશન (PMC)ની ટીમોને 24 કલાક એલર્ટ પર રાખવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલ માટે હાઈ-કેપેસિટી પમ્પિંગ યુનિટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે અને રથયાત્રાના માર્ગોને સલામત રાખવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
મંત્રીએ કર્યો સ્થળનો તાગ
રાજ્યના આવાસ અને શહેરી વિકાસ મંત્રી કૃષ્ણ ચંદ્ર મહાપાત્રએ રથયાત્રા રૂટ અને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને પાણી ભરાયેલા વિસ્તારોમાં તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવા તેમજ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને અવરજવર સુનિશ્ચિત કરવા જરૂરી તમામ પગલાં લેવા સૂચના આપી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





