પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ/ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ઘટનાના પગલે અધિકારીઓ પદાધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે સવારના સમયે JCB દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ટોરેન્ટ ગેસની લાઈનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે અડધો કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સાંભળવા મળ્યો હતો. જ્યારે ઝાંઝરડા ચોકડી પાસે રહેલી ખાણીપીણીની દુકાનોમાં કામ કરી રહેલા અને પસાર થઈ રહેલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત નિપજ્યા છે.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ખાણી પીણીની દુકાન ચલાવી રહેલા શૈલેષભાઈ સોલંકી ગંભીર રીતે ઘાયલ થયા જ્યારે તેમની પત્ની રુપીબેન સોલંકી અને 8 વર્ષની પુત્રી ભક્તિબેન સોલંકી નું મોત નીપજ્યું છે. બીજી તરફ અન્ય એક રાહદારી હરેશભાઈ રાબડીયાનું પણ મોત નીપજ્યું છે . જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત બનતા તેને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ઘસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા ને ધ્યાને લઈને પ્રાંત અધિકારી મ્યુનિસિપલ કમિશનર મેયર ધારાસભ્ય ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી મેળવી હતી.
વિપક્ષે કરી આ માંગ
જુનાગઢ શહેરમાં મહાનગરપાલિકા અને જુદી જુદી એજન્સીઓ દ્વારા આડેધડ કરવામાં આવતા ખોદકામ ના કારણે આ મોટી દુર્ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે વિપક્ષે મહાનગરપાલિકા તેમજ ટોરેન્ટ ગેસ એજન્સી સામે પગલા ભરવાની માંગ કરી છે. ઘટનાના પગલે પરિવારજનોએ ન્યાય નહીં મળે તો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






