જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ અને ખરાબ હવામાને ભારે તબાહી મચાવી છે. રાજ્યના અનેક પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી થવા અને પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા બે દિવસમાં હવામાન સંબંધિત દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૌથી વધુ અસર જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરી જિલ્લામાં જોવા મળી છે. ભારે વરસાદના કારણે પહાડ પરથી કાદવ અને મલબો ધસી પડતાં અનેક ઘરોને નુકસાન થયું છે. પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારના લોરન ગામમાં એક કાચા મકાન પર પહાડ પરથી ભારે મલબો પડતાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લામાં જ બે દિવસમાં 21 લોકોના મોત થયા છે. અનેક વિસ્તારોમાં પાણીનો પ્રવાહ એટલો વધી ગયો છે કે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી આવી રહી છે. તવી અને ચિનાબ જેવી મોટી નદીઓ તેમજ સ્થાનિક નાળાઓમાં પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચી ગયું છે. રાજૌરીમાં મનાવર નદીમાં આવેલા પૂરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના CMએ શું કહ્યું
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કુદરતી આફતમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારો માટે સહાયની જાહેરાત કરી છે. તેમણે મૃતકોના પરિવારજનોને છ-છ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. સાથે જ વહીવટી તંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે ધાર્મિક યાત્રાઓ પર પણ અસર પડી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત બીજા દિવસે અમરનાથ યાત્રા, માતા વૈષ્ણોદેવી યાત્રા, રિયાસી સ્થિત શિવખોડી યાત્રા અને કિશ્તવાડની સરથલ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર કેટલાક સ્થળોએ પથ્થરો પડવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. જોકે યાત્રા અગાઉથી બંધ રાખવામાં આવી હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. શ્રાઇન બોર્ડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો માર્ગોને સુરક્ષિત બનાવવા માટે સતત કામગીરી કરી રહી છે. કટરા ખાતે 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.
અમરનાથ યાત્રા માટે બાલ્તાલ માર્ગ પરથી કેટલાક શ્રદ્ધાળુઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ જવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે અન્ય માર્ગો પર સાવચેતી રાખવામાં આવી રહી છે અને યાત્રાળુઓને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
આકાશી આફતની અસર વાહનવ્યવહાર પર પણ પડી છે. ડોડા જિલ્લામાં ભદ્રવાહથી જમ્મુ તરફ આવી રહેલી એક મુસાફર બસ પર પહાડ પરથી વિશાળ ખડક પડતાં બે લોકોના મોત થયા છે, જ્યારે ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અનેક રસ્તાઓ ધોવાઈ જતાં ઘણા ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે. 23 જુલાઈ સુધી પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ખાસ કરીને પહાડી વિસ્તારોમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
પરિસ્થિતિને પહોંચી વળવા માટે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ પર છે. તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ કરવામાં આવી છે અને રાહત તથા બચાવ કામગીરી માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે. NDRF, SDRF અને સ્થાનિક બચાવ દળો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે.
હાલમાં જમ્મુ-કાશ્મીરમાં વરસાદનું જોર યથાવત છે અને વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. કુદરતી આફત વચ્ચે સૌથી મોટી પ્રાથમિકતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી રાહત પહોંચાડવાની છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






