મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાઉન્સિલના વાઈસ ચેરમેન હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝન અને પ્રેરણાથી સાબરમતી આશ્રમનું અદ્યતનીકરણ અને નવીનીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં સાબરમતી આશ્રમના હાથ ધરાઇ રહેલા વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠકમાં કરવામાં આવી હતી. એક્ઝિક્યુટીવ કાઉન્સિલના ચેરમેન આઈ.પી ગૌતમે વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આ કામગીરીની સર્વગ્રાહી પ્રગતિનો ચિતાર આપ્યો હતો.
આ પ્રોજેક્ટ અંતર્ગત 28 જેટલા મકાનોના રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમાંથી 22નું કામ પૂર્ણ થઈ ગયું છે અને સમગ્ર રિસ્ટોરેશન કામગીરી માર્ચ-26 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે તેમ તેમણે જણાવ્યું હતું.
સાબરમતી આશ્રમના આ નવીનીકરણમાં ગ્રીન ગ્રોથને અગ્રતા આપવાના વડાપ્રધાનશ્રીના દિશાનિર્દેશો અનુસાર અત્યારસુધીમાં 98 હજાર જેટલા નાના-મોટા ઝાડ-છોડનું પ્લાન્ટેશન થઈ ગયું છે અને માર્ચ-26 સુધીમાં વધુ 16 હજાર પ્લાન્ટેશનની કાર્યવાહી થઈ રહી છે તેમ પણ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું.
શ્રમદાનના પૂજ્ય બાપુના વિચારને આશ્રમની પ્રવૃતિઓ સાથે જોડીને આશ્રમની મુલાકાતે આવનારા મુલાકાતીઓ ખાસ કરીને યુવાઓ વિવિધ સેવા પ્રવૃત્તિઓમાં કઈ રીતે સહભાગી થઈ શકે તે દિશામાં પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા –પરામર્શ થયા હતા. એટલું જ નહીં, ગવર્નિગ કાઉન્સિલની અગાઉની બેઠકના એજન્ડાને બહાલી આપવામાં આવી હતી.
મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો સાંસદ નરહરીભાઈ અમીન, કાર્તિકેય સારાભાઈ, જયેશભાઇ પટેલ તેમજ મુખ્ય સચિવ એમ. કે. દાસ, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ રાહુલ ગુપ્તા, મુખ્યમંત્રી ના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, પ્રવાસન સચિવ કુલદીપ આર્ય અને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરીયલ ટ્રસ્ટના ઓ.એસ.ડી. આઈ. કે. પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





