દક્ષિણ ઇટાલીના માટેરા જિલ્લામાં એક ભયંકર માર્ગ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના સ્કેન્ઝાનો જોનિકો મ્યુનિસિપાલિટી વિસ્તારમાં ઘટી હતી, જ્યાં એક કાર અને ટ્રક વચ્ચે સામસામે અથડામણ થતાં ઘટનાસ્થળે જ ચાર લોકોનાં કરુણ મોત નિપજ્યાં હતાં.
મૃતકોની ઓળખ
મૃતકોની ઓળખ મનોજ કુમાર (ઉમર 34), સુરજીત સિંહ (33), હરવિંદર સિંહ (31) અને જસકરણ સિંહ (20) તરીકે થઈ છે. ચારેય જણા પંજાબના વતની હોવાનું પ્રાથમિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને તેઓ ખેડૂતો તરીકે કામ કરતા હતા.
ઘટનાની વિગતો
ઇટાલીની સમાચાર એજન્સી ANSA અનુસાર, કારમાં સવાર તમામ ભારતીય નાગરિકો નજીકના ખેતીવાડી વિસ્તારમાંથી કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ટ્રક અને કાર વચ્ચે ગંભીર અથડામણ થતા કારમાં બેઠેલા તમામ લોકો ભારે અસરગ્રસ્ત થયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ ઇટાલિયન આપત્તિ સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી કેટલાકને પોલિકોરો હોસ્પિટલ અને એક ગંભીર રીતે ઘાયલને પોટેન્ઝાની સાન કાર્લો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ડોકટરો ઘાયલોની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
ભારતીય દૂતાવાસનો પ્રતિક્રિયા
રોમ સ્થિત ભારતીય દૂતાવાસે સત્તાવાર રીતે દુર્ઘટનાની પુષ્ટિ કરતાં ટ્વિટર/X પર લખ્યું કે,“દક્ષિણ ઇટાલીના માટેરામાં થયેલા માર્ગ અકસ્માતમાં 4 ભારતીય નાગરિકોના દુઃખદ મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ. અમે સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ અને સંબંધિત પરિવારોને તમામ કોન્સ્યુલર સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ગુજરાત અને પંજાબના સમુદાયમાં શોક
ઘટનાની જાણ થતાં જ ભારતીય સમુદાય, ખાસ કરીને પંજાબી ડાયસ્પોરામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. યુવાનોની આકસ્મિક અને દુઃખદ મોતને કારણે તેમના પરિવારજનો અને વતનમાં પણ શોકનું મોજું ફેલાયું છે.








