હિમાચલ પ્રદેશ ના ચિંતપૂર્ણી વિસ્તારમાં એક ડરામણો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં પંજાબના બે શ્રદ્ધાળુઓનાં કરુણ મોત થયા છે. આ ઘટના ઉના જિલ્લાના ભરવાઈં વિસ્તારમાં બની હતી, જ્યાં એક કાર આશરે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ અને બાદમાં તેમાં આગ લાગી ગઈ.
મળતી માહિતી મુજબ, લુધિયાણા પાસિંગની કાર ચિંતપૂર્ણી મંદિરે દર્શન કરીને મુબારકપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અચાનક ટાયર ફાટતા ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર પૂરઝડપે હવામાં ઉછળી અને સીધી ખીણમાં પડી ગઈ.
અકસ્માતનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કારને હવામાં ઉછળતી અને પછી ખીણમાં ખાબકતી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. નીચે પડ્યા બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે કારમાં સવાર બંને લોકો જીવતા જ દાઝી ગયા.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ બંનેને બચાવી શકાયા નહોતા. મૃતકોમાં એકની ઓળખ પંકુ તરીકે થઈ છે, જ્યારે બીજા મૃતકની ઓળખ કરવાની કાર્યવાહી ચાલુ છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યાં અકસ્માત થયો તે વિસ્તાર બ્લેક સ્પોટ તરીકે ઓળખાય છે. અહીં રસ્તાનો ભાગ નુકસાનગ્રસ્ત છે અને નીચે ઊંડી ખીણ હોવાથી અકસ્માતનો ખતરો હંમેશા રહે છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે મૃતક પંકુ લુધિયાણાના ગોપાલ નગર વિસ્તારમાં રહેતો હતો. અકસ્માતના થોડા સમય પહેલાં જ તેણે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું— “એક દિવસ હું મરી જઈશ, અને મને મારો ભાઈ કાંધ આપશે…”
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






