સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને આજે અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તાત્કાલિક સારવાર માટે તેમને રાજકોટની જાણીતી સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી ગઈ છે.
કમ્પ્લીટ હાર્ટ બ્લોકનું નિદાન
સીનર્જી હોસ્પિટલના ડોક્ટરોએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, કરસનદાસ બાપુને Complete Heart Block થયું છે. વધુમાં જણાવાયું કે તેમનાં પલ્સ પણ ઘટી ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી. જોકે, સારવારમાં તત્કાળ પગલાં લેવામાં આવ્યા છે અને હાલ તેમની તબિયતમાં સુધારાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ભક્તોમાં ચિંતાનું મોજું
આ સમાચાર મળતા જ પરબધામ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં તેમના ભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કરસનદાસ બાપુના આશીર્વાદ અને પ્રવચનોનો લાભ લેવા માટે હજારો ભક્તો તેમના સંપર્કમાં રહે છે. તેમના જલ્દી સ્વસ્થ થવા માટે ભક્તો પ્રાર્થનાઓ કરી રહ્યાં છે.
હોસ્પિટલની વિનંતી: ભક્તોએ અવરજવર ન કરવી
હોસ્પિટલ તરફથી સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે હાલ બાપુની તબીયતને ધ્યાનમાં રાખી ને કોઈ પણ ભક્તે હોસ્પિટલ આવીને અવરજવર ન કરવી. ડોક્ટરો તેમની સારવારમાં વ્યસ્ત છે અને ભીડથી સારવારમાં વિઘ્ન ન પડે એ જરૂરી છે.
સેવા અને આધ્યાત્મિક જીવન
સંત કરસનદાસ બાપુ લાંબા સમયથી પરબધામ આશ્રમના મુખ્ય મહંત તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે સમાજ સેવા, અનાથ બાળકોના સહાય કાર્ય અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા લોકહિતમાં અનેક યોગદાન આપ્યાં છે. તેમના ભક્તો માત્ર ગુજરાતમાં જ નહીં, ભારત ભરમાં છે.







