રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિદાએ તમામ જિલ્લાઓના અધિકારીઓને ત્રણ દિવસની અંદર પાક નુકસાનીનો વિગતવાર અહેવાલ સરકારને સુપરત કરવાની સૂચના આપી છે.
મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં મેદાની સ્તરે સર્વેની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. ખેતીવાડી વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, અને ખેતીવાડી અધિકારીઓને સહયોગથી આ કામગીરી પૂર્ણ કરવાની સુચના અપાઈ છે જેથી ખેડૂતોને વહેલી તકે સહાય મળી શકે.
ખેડા જિલ્લામાં થયેલા ભારે માવઠા અને પાક નુકસાન અંગે મંત્રી મહિડાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, “ખેડૂતોની પરિસ્થિતિ સરકારને સમજાય છે. તેમની મુશ્કેલીઓને હળવી કરવા દરેક સ્તરે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.” હાલ પાક ધિરાણ માફી, સહાય પેકેજ કે ચારો સહાય અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજ્ય સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે.
આ વચ્ચે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિનો પ્રત્યક્ષ અભ્યાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે, “તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેનું કામ ઝડપથી હાથ ધરવામાં આવ્યું છે. હું સતત મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંકલનમાં છું. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે.”
રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં થોડી આશા જાગી છે કે આવનારા દિવસોમાં તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે યોગ્ય સહાય ઉપલબ્ધ થશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






