ઇકો-સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રદૂષણ મુદ્દે સરકારને હાઇકોર્ટની આકરી ટકોર, કહ્યું- ‘5 મહિનાથી આદેશ છતાં પાલન કેમ નથી?’

કચ્છના નડાબેટ, નળ સરોવર અને થોળ સહિતના ઇકો-સેન્સિટિવ ઝોનમાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેના કારણે વિદેશી પક્ષીઓના આગમન પર પડી રહેલી અસર અંગે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી દરમિયાન ગુરુવારે (3 જુલાઈ) કોર્ટે રાજ્ય સરકારના વલણ સામે કડક અસંતોષ વ્યક્ત કર્યો હતો.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને આકરા શબ્દોમાં પૂછ્યું કે, છેલ્લા પાંચ મહિનાથી કોર્ટના આદેશો આપવામાં આવી રહ્યા હોવા છતાં તેનું પાલન કેમ કરવામાં આવ્યું નથી. કોર્ટે નોંધ્યું કે સરકાર વારંવાર જવાબ દાખલ કરવા માટે સમય માંગે છે, પરંતુ અસરકારક કાર્યવાહી અંગે સ્પષ્ટ માહિતી રજૂ કરતી નથી.

‘કોર્ટને બહાનાંમાં નહીં, અમલમાં રસ છે’
હાઇકોર્ટે જણાવ્યું કે વિવિધ સરકારી વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, જે સ્વીકાર્ય નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોર્ટને સરકારની આંતરિક પ્રક્રિયાઓ કે મુશ્કેલીઓમાં રસ નથી, પરંતુ કોર્ટના આદેશોનું પાલન થયું છે કે નહીં તે મહત્વનું છે. કોર્ટે એમ પણ નોંધ્યું કે લાંબા સમય બાદ દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં પણ પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા માટે લેવામાં આવેલા પગલાં અંગે કોઈ સ્પષ્ટ વિગતો રજૂ કરવામાં આવી નથી.

કુદરતી સંપત્તિનું સંરક્ષણ સરકારની જવાબદારી
હાઇકોર્ટે કહ્યું કે અભ્યારણ્યો અને ઇકો-સેન્સિટિવ વિસ્તારોનું સંરક્ષણ કરવું સરકારની પ્રાથમિક ફરજ છે. કુદરતી સંપત્તિની સુરક્ષા માટે સરકારને વારંવાર કોર્ટ દ્વારા યાદ અપાવવાની જરૂર ન હોવી જોઈએ. કોર્ટે સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટી દ્વારા હજુ સુધી સોગંદનામું રજૂ ન કરવાના મુદ્દે પણ સવાલ ઉઠાવ્યો હતો.

સંબંધિત વિભાગોને સોગંદનામું દાખલ કરવાનો આદેશ
હાઇકોર્ટે ફોરેસ્ટ કન્ઝર્વેટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનો મુજબ વિગતવાર સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરવામાં આવશે.

સરકારનો પક્ષ
રાજ્ય સરકાર તરફથી કોર્ટને જણાવાયું હતું કે સમગ્ર મામલે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. ઉપરાંત નળ સરોવરમાં નર્મદાનું પાણી પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી હોવાનું રજૂ કરવામાં આવ્યું.

અગાઉ હાઇકોર્ટે આપેલા મહત્વના નિર્દેશ
ગત સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નળ સરોવર અને અન્ય ઇકો-સેન્સિટિવ વિસ્તારો માટે કેટલાક મહત્વના નિર્દેશો આપ્યા હતા, જેમાં:
– નળ સરોવરના ઇકો-સેન્સિટિવ ઝોનમાં તમામ પ્રકારના પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ.
– બોટ ચાલકો માટે લાયસન્સ અને યુનિફોર્મ ફરજિયાત બનાવવાની સૂચના.
– પ્રવાસીઓ માટે મુખ્ય વેટલેન્ડ વિસ્તારથી અલગ ખાણી-પીણી ઝોન વિકસાવવાનો નિર્દેશ.
– મુખ્ય વેટલેન્ડ વિસ્તારમાં ખોરાક લઈ જવા પર પ્રતિબંધ.
– ગેરકાયદે માછીમારી રોકવા માટે કડક અમલ અને ચેકપોઇન્ટ્સ ગોઠવવાની સૂચના.

 

 

 

 

  • Related Posts

    ગુજરાત ATSની મોટી કાર્યવાહી: જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદની ધરપકડ, વડોદરામાં બેઠક અને પાકિસ્તાની સંપર્કની તપાસ

    રાજ્યમાં રથયાત્રા પૂર્વે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે સંકળાયેલા આઠ શંકાસ્પદ…

    ચોમાસાની એન્ટ્રી છતાં અમદાવાદમાં અધૂરા રોડ અને ખોદકામથી લોકો પરેશાન, AMCની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ

    ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પર ફરી સવાલો ઊભા થયા છે. કોર્પોરેશને 15 જૂન સુધીમાં તમામ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા, નવા રોડ ખોદકામ…