પાકિસ્તાનમાં ગમખ્વાર બસ અકસ્માત: બલુચિસ્તાનમાં બસ ખીણમાં ખાબકી, 40નાં મોત; 8 ગંભીર રીતે ઘાયલ

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે થયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોનાં મોત થયા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બલુચિસ્તાનના શેરાની જિલ્લાના ધનસાર વિસ્તારમાં થયો હતો, જ્યાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ બસ બલુચિસ્તાનથી ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી
બલુચિસ્તાન સરકારના મીડિયા અને રાજકીય બાબતોના સલાહકાર શાહિદ રિંદે જણાવ્યું કે પ્રાથમિક અહેવાલ અનુસાર અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે અને 8 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બૂગ્ટીના નિર્દેશ પર બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બલુચિસ્તાનની રેસ્ક્યુ ટીમો ઉપરાંત ખૈબર પખ્તુનખ્વાના બચાવ દળોએ પણ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

રસ્તામાં અન્ય બસના મુસાફરો પણ ચઢ્યા હતા
શેરાની જિલ્લાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા મુજબ, બસમાં શરૂઆતમાં 36 મુસાફરો સવાર હતા. જોકે માર્ગમાં બીજી એક બસ ખરાબ થઈ જતાં તેના 12 મુસાફરો પણ આ બસમાં સવાર થયા હતા. જેના કારણે અકસ્માત સમયે બસમાં કુલ 48 લોકો મુસાફરી કરી રહ્યા હતા. બસ ખીણમાં પડતાં 40 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 8 ઘાયલોને રેસ્ક્યુ-1122ની ટીમ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના કારણોની તપાસ શરૂ
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સ્થાનિક પોલીસ અને સંબંધિત અધિકારીઓએ કેસ નોંધ્યો છે અને બસ ખીણમાં કેવી રીતે ખાબકી તેની તપાસ શરૂ કરી છે. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનના પર્વતીય વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ, ઓવરસ્પીડિંગ અને વાહનોની તકનીકી ખામીઓના કારણે આવા ગંભીર માર્ગ અકસ્માતોની ઘટનાઓ વારંવાર સામે આવતી રહી છે.

 

 

 

 

  • Related Posts

    ગુજરાત ATSની મોટી કાર્યવાહી: જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદની ધરપકડ, વડોદરામાં બેઠક અને પાકિસ્તાની સંપર્કની તપાસ

    રાજ્યમાં રથયાત્રા પૂર્વે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે કથિત રીતે સંકળાયેલા આઠ શંકાસ્પદ…

    ચોમાસાની એન્ટ્રી છતાં અમદાવાદમાં અધૂરા રોડ અને ખોદકામથી લોકો પરેશાન, AMCની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ

    ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પર ફરી સવાલો ઊભા થયા છે. કોર્પોરેશને 15 જૂન સુધીમાં તમામ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા, નવા રોડ ખોદકામ…