ભારત પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓ હાઇ એલર્ટ પર છે. આ દરમિયાન પાકિસ્તાને ભુજ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ હજુ પણ પાકિસ્તાન સરહદી વિસ્તારમાં હુલો કરે તેવી સંભાવનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં મહત્વની બેઠક બોલાવી છે. જેમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી ,મહેસુલ વિભાગના અધિક સચિવ જયંતિ રવિ હાજર રહ્યા હતા.
ભારતે કચ્છ સરહદ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરતા ત્રણ પાકિસ્તાની ડ્રોન તોડી પાડયા છે. અને પાકિસ્તાન તરફથી ગુજરાતના સરહદી વિસ્તારમાં હુમલો થવાની પૂરી શક્યતા છે જેને લઈને રાજ્યના 18 જિલ્લાઓ હાઈએલર્ટ પર છે. આ સાથે જ્યારે કચ્છ, બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના ધાર્મિક સ્થળો એવા સોમનાથ, શક્તિ પીઠ અંબાજી અને દ્વારકાના જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
ગુજરાતમાં સાત એરપોર્ટ પર NOTAM જારી
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને કારણે ભારત સરકારે ગુજરાતના સાત એરપોર્ટને નોટિસ ટુ એરમેન (NOTAM) જારી કરી છે. હવે આ એરપોર્ટ પર કોઈપણ પ્રકારની પેસેન્જર ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી નથી.ગુજરાતમાં જામનગર, રાજકોટ (હિરાસર), પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ અને મુન્દ્રા (અદાણી) એરપોર્ટનો સમાવેશ થાય છે.






