ભારતીય વેઈટલિફ્ટિંગ જગતમાં એક મહત્વપૂર્ણ ફેસલો લેવામાં આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી જાણીતી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWLF)ના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિમવામાં આવી છે.
આ ચૂંટણી મંગળવારે યોજાઈ, જેમાં મીરાબાઈને ખેલાડીઓ તરફથી સર્વાનુમતે સમર્થન મળ્યું, અને એ વિજય સાથે નવી ભૂમિકા માટેની શરૂઆત કરી.
મીરાબાઈ ચાનુએ શું કહ્યું?
પદ સંભાળ્યા બાદ મીરાબાઈએ કહ્યું,”આ મારી માટે ગર્વની ક્ષણ છે. ખેલાડીઓનો અવાજ ઊઠાવવો એ એક મોટી જવાબદારી છે અને હું એ પદ પર સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે કામ કરીશ.” તેણીએ વધુમાં ઉમેર્યું,”મારું લક્ષ્ય એ રહેશે કે તમામ વેઈટલિફ્ટરો બાહ્ય દબાણ વિના તેમના ખેલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેઓની સમસ્યાઓને યોગ્ય ફોરમ સુધી પહોંચાડવી મારી મહત્વની ભૂમિકા રહેશે.”
મીરાબાઈ ચાનુ જે રીતે રમતગમતના મેદાનમાં ભારતનું નામ રોશન કરી ચૂકી છે, તેવી જ અપેક્ષા છે કે હવે તેઓ ખેલાડીઓની કલ્યાણ માટેના સંઘર્ષમાં પણ આગેવાની કરશે. તેમની આ નિયુક્તિ ભારતીય વેઈટલિફ્ટિંગ માટે એક સકારાત્મક પગલું માનવામાં આવી રહી છે.







