સુપ્રીમ કોર્ટે મંગળવારે ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમની આજીવન કેદની સજાને સ્થગિત કરવાની અરજી ફગાવી દીધી હતી. તેમણે આ કેસમાં જામીન પણ માંગ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા.
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે તે સજા સ્થગિત કરવા અને સંજીવ ભટ્ટને જામીન પર મુક્ત કરવાના પક્ષમાં નથી. જોકે, બેન્ચે નિર્દેશ આપ્યો કે ભટ્ટ દ્વારા સર્વોચ્ચ અદાલત સમક્ષ દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે.
વર્ષ 1990માં બનેલી એક ઘટના સાથે સંબંધિત છે. જ્યારે સંજીવ ભટ્ટ જામનગર જિલ્લામાં અધિક પોલીસ અધિક્ષક તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. કોમી રમખાણો ફાટી નીકળ્યા બાદ તેઓએ TADA હેઠળ લગભગ 133 લોકોની અટકાયત કરી હતી. તે વર્ષે 30 ઓક્ટોબરના રોજ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા તત્કાલીન ભાજપ વડા લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના વિરોધમાં ભારત બંધના એલાન બાદ રમખાણો થયા હતા. રામ મંદિર મુદ્દે ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢતા અડવાણીની બિહારમાં ધરપકડ કરવામાં આવી હતી.
જેમની અટકાયત કરવામાં આવી હતી તેવા પ્રભુદાસ વૈષ્ણાની કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારે આરોપ લગાવ્યો હતો કે સંજીવ ભટ્ટ અને તેમના સાથીઓએ વૈષ્ણવીને કસ્ટડીમાં ત્રાસ આપ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. પ્રભુદાસ વૈષ્ણાની 9 દિવસ પોલીસ કસ્ટડીમાં હતા અને જામીન પર છૂટ્યા બાદ કિડની ફેલ થવાથી તેમનું મૃત્યુ થયું. કસ્ટોડિયલ ટોર્ચરને કારણે વૈષ્ણવીના મૃત્યુ બદલ તેમના પરિવારે સંજીવ ભટ્ટ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ FIR દાખલ કરી હતી અને 1995માં મેજિસ્ટ્રેટ દ્વારા સંજ્ઞાન લેવામાં આવ્યું હતું.
આ કેસમાં બે સબ-ઇન્સ્પેક્ટર અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ સાત પોલીસ અધિકારીઓ આરોપી હતા. ગુજરાતના જામનગરની સેશન્સ કોર્ટે પ્રભુદાસ વૈષ્ણાનીના કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટ અને અન્ય એક પોલીસકર્મીને દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. પૂર્વ IPS એ સેશન્સ કોર્ટના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે વર્ષ 2024 માં, ગુજરાત હાઈકોર્ટે ભટ્ટની સજા અને સજા સામેની અપીલ ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: ચંડોળા તળાવના ડિમોલિશન પર સ્ટેની અરજી હાઈકોર્ટે નકારી, લલ્લુ બિહારીનો આલીશાન રિસોર્ટ થયો જમીનદોસ્ત
સંજીવ ભટ્ટ બે કેસમાં છે આરોપી
સંજીવ ભટ્ટે ત્યાર બાદ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો, ઓગસ્ટ 2024 માં આ મામલે ગુજરાત સરકારને નોટિસ જારી કરી. કોર્ટે સજા સસ્પેન્શનના પાસાની સુનાવણી કરી અને પછી પોતાનો નિર્ણય અનામત રાખ્યો. સંજીવ ભટ્ટ બે અન્ય કેસોમાં પણ આરોપી છે – 1996નો ડ્રગ પ્લાન્ટિંગ કેસ અને 1997નો કસ્ટોડિયલ ડેથ કેસ. જોકે વર્ષ 1996ના ડ્રગ પ્લાન્ટિંગ કેસમાં સેશન્સ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા અને સંજીવ ભટ્ટને કોર્ટે 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સામે તેમની અપીલ ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






