રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા તેમજ only-on-paper ચલતી શાળાઓ વિરુદ્ધ પગલાં લેવાતા, રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જસદણ, વસાવડ અને શિવરાજપુર વિસ્તારમાં આવેલી 8 ખાનગી શાળાઓને તાળા મારવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા નિરીક્ષણ બાદ આ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ન હોવાને કારણે તેમની માન્યતા રદ કરવાની ભલામણ થઈ છે.
શૂન્ય અથવા માત્ર RTE પર આધારિત વિદ્યાર્થીઓ
જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દિક્ષીત પટેલે જણાવ્યું કે, આ શાળાઓમાં કેટલાક વર્ષોથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રાયઃ બંધ હતી. અમુક શાળાઓમાં તો છેલ્લા પાંચ વર્ષથી કોઈ વિદ્યાર્થીઓ નહોતા, જ્યારે કેટલાક શાળાઓમાં માત્ર રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ નોંધાયેલ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હતા. શાળાઓને અગાઉ નોટિસ પાઠવીને રજુઆત માટે બોલાવવામાં આવી હતી. શાળા સંચાલકો સાથે થયેલી ચર્ચા બાદ, આ શાળાઓ બંધ કરીને તેમની માન્યતા રદ કરવા માટે રાજ્ય શિક્ષણ વિભાગ (ગાંધીનગર)ને ભલામણ મોકલવામાં આવી છે.
બંધ થનારી શાળાઓની યાદી:
– રોટરી મીડટાઉન – મેટોડા
– વિદ્યામંદિર ઇંગ્લીશ સ્કૂલ – ગોંડલ
– સરસ્વતી વિદ્યાલય – મોટીમારડ (ધોરાજી)
– શ્રેયસ સંસ્કાર મંદિર – જસદણ
– અવધ વિદ્યાલય – વસાવડ
– રાધે-ક્રિષ્ના પ્રાથમિક શાળા – વસાવડ
– નવ વિધાન વિદ્યાલય પ્રા. શાળા – ગોંડલ
– શિવશક્તિ વિદ્યા મંદિર – શિવરાજપુર
RTE વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર
શાળાઓ બંધ થતાં ત્યાં અભ્યાસ કરતા RTE હેઠળના બાળકોને અન્ય નજીકની માન્યતાપાત્ર શાળામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો કોઈ અન્ય સામાન્ય વિદ્યાર્થી પણ નોંધાયેલ હશે તો તેનું પણ ટ્રાન્સફર alternate સ્કૂલમાં કરવામાં આવશે.
શાળાઓના દુષ્પરિણામ સામે કાર્યવાહી
શિક્ષણ વિભાગે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે શિક્ષણ ક્ષેત્રે ગેરરીતિ અને ફક્ત દસ્તાવેજ પર ચાલતી શાળાઓ સામે ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે. “વિદ્યા એ દાન છે, ધંધો નહીં,” તેવો મેસેજ આપતા અધિકારીઓએ જાહેરાત કરી છે કે, રાજ્યભરમાં આવી શાળાઓની છણાવટ ચાલુ રહેશે.






