શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે, ખાસ કરીને એસજી હાઈવે જેવા વ્યસ્ત વિસ્તારોમાં. આ સમસ્યાને દુર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે કર્ણાવતી ક્લબ સામે આવેલી 12 દુકાનોને સીલ કરી દેવાની કાર્યવાહી કરી છે.
ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગના અભાવને કારણે પગલાં
એસજી હાઈવે પર આવેલી આ દુકાનો પાસે યોગ્ય પાર્કિંગની સુવિધા ન હોવાથી દુકાન પર આવતા ગ્રાહકો રસ્તા પર જ વાહન પાર્ક કરતા હતા. પરિણામે ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો વધતા AMCએ સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. રાત્રિના સમયે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
દુકાનોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી
AMCએ અગાઉથી આ દુકાનદારોને લેખિત અને મૌખિક રીતે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવાની ચેતવણી આપી હતી. છતાં કોઈ પગલાં ન લેવાતા હવે સીધી સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કર્ણાવતી ક્લબ સામે આવેલી દુકાનોમાં સામેલ છે:
– ઇસ્કોન ગાંઠિયા
– રજવાડી ચા
– ગાત્રાળ ટી સ્ટોલ
– કર્ણાવતી સ્નેક્સ
– ગજાનંદ પૌઆ હાઉસ
– અને અન્ય કુલ 12 દુકાનો
કોર્પોરેશનની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી
AMCના અધિકારીઓની ટીમે સ્થળ પર જઈ તાત્કાલિક અસરથી દુકાનો સીલ કરી. સ્થાનિક દુકાનદારો અને ગ્રાહકોમાં આ પગલાં બાદ નારાજગી જોવા મળી રહી છે, પરંતુ કોર્પોરેશનના વક્તાએ જણાવ્યુ કે, “જ્યારે નોટિસ અને સમય આપ્યા પછી પણ વ્યવસ્થાઓ ન ગોઠવાઈ હોય, ત્યારે શહેરના હિતમાં સીલિંગ અનિવાર્ય બની જાય છે.”
ટ્રાફિક સમસ્યાનો ઉકેલ અનિવાર્ય
એમસી દ્વારા એવું પણ સ્પષ્ટ કરાયું છે કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા છે અને જ્યાં વ્યાવસાયિક એકમો દ્વારા નિયમોનું ઉલ્લંઘન થાય છે, ત્યાં પણ આવું જ પગલું લેવામાં આવશે.






