વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે એમની ‘શૌર્યભૂમિ’ ધંધુકા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.

પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ઝવેરચંદ મેઘાણીએ 1928માં રચેલું અમર કાવ્ય ‘ચારણ-કન્યા’ આધારિત ગુજરાતનો સર્વપ્રથમ અનન્ય અને અનોખો થીમ પાર્ક ‘ચારણ-કન્યા’ વાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણ થયું.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે એમની શૌર્યભૂમિ ધંધુકા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જના મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા આ પ્રેરક આયોજન-સંયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીએ 1928માં રચેલું અમર કાવ્ય ચારણ-કન્યા આધારિત ગુજરાતનો સર્વપ્રથમ અનન્ય અને અનોખો થીમ પાર્ક ચારણ-કન્યા વાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પિનાકી મેઘાણીની પરિકલ્પના થકી કવિતાની સ્મૃતિરૂપે સર્વપ્રથમ વખત જ આવું પ્રેરક નિર્માણ કરાયું છે.આ અવસરે એક પેડ માઁ કે નામ અંતર્ગત ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પંથકમાં સર્વપ્રથમ મહાત્મા ગાંધીની મનોરમ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આયોજિત મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)માં ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્વરચિત ગીતો તેમજ સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-ભજનોની રમઝટ બોલાવીને સહુને ડોલાવી દીધા હતા.આ પ્રસંગે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળોને સુયોગ્ય રીતે વિકસાવીને જીવંત કરવા બદલ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ ગુજરાત સરકારનો હ્રદયથી આભાર માન્યો છે.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધંધુકા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા, ધંધુકા નગરપાલિકા પ્રમુખ પારૂલબેન આદેસરા (સોની), ઉપપ્રમુખ ગજરાબેન ચૌહાણ અને કારોબારી ચેરમેન રાજેશભાઈ પરમાર, અભિનેતા મયુરભાઈ વાકાણી, ધંધુકા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ અને મહામંત્રી તુષારભાઈ પરમાર, ધંધુકા એ.પી.એમ.સી. ચેરમેન ચેતનસિંહ ચાવડા તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






