આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સહિત દેશભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શિવાલયોમાં શંખનાદની ગૂંજ જોવા મળી રહી છે. વહેલી સવારથી ભગવાન શિવના દર્શન અને આરાધના કરતા શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી છે.
હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શિવની પૂજાનો તહેવાર મહાશિવરાત્રી ફાગણ મહિનામાં આવે છે. આજે 26 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી અને શિવલિંગની પૂજા કરવાનો લાભ લઈ રહ્યા છે. આજના દિવસે શિવલિંગ પર રુદ્રાભિષેક કરવાનું ખાસ માહાત્મ્ય છે.આજના દિવસે ભગવાન શિવના આર્શીવાદ મેળવવા શિવલિંગ પર દૂધ, મધ, શેરડીના રસ તેમજ કાળા તલ અને સૌથી વધુ બિલિપત્ર ચઢાવવામાં આવે છે.
-> મહાશિવરાત્રિ પર્વનું વ્રત રાખવાનું વિશેષ માહાત્મ્ય :- શિવભકતો આજે અન્નનો ત્યાગ કરી ફકત ફળાહર લઈ વ્રત પૂર્ણ કરે છે. તો કેટલાક ભક્તો ફરાળ કરી વ્રત રાખે છે. શ્રદ્ધાળુઓ વહેલી સવારે મંદિરોમાં થતી મંગળા આરતીનો લાભ લેવા પંહોચી ગયા છે. અનેક શિવમંદિરોમાં શિવભક્તો મંદિરમાં ધજા ચઢાવવા પોતાના ઢોલ નગારા સાથે નીકળ્યા છે. આજે 12 જ્યોર્તિલિંગમાંથી કોઈ એક જ્યોર્તિલિંગના દર્શન કરવામાં આવે તો ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે.






