ભારતીય રેલવે મુસાફરોને વધુ ઝડપી અને સરળ સેવા આપવા માટે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ઓગસ્ટ મહિનાથી રેલવેની સમગ્ર ટિકિટ બુકિંગ પ્રક્રિયા તબક્કાવાર નવી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) પર સ્થાનાંતરિત કરવામાં આવશે. લગભગ 40 વર્ષથી ઉપયોગમાં રહેલી જૂની સિસ્ટમને બદલે આધુનિક ટેક્નોલોજી આધારિત નવી સિસ્ટમ અમલમાં આવશે, જે મુસાફરોને વધુ ઝડપી અને વિશ્વસનીય સેવા આપશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરતાં અધિકારીઓને સૂચના આપી છે કે સિસ્ટમ અપગ્રેડ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે.
40 વર્ષ જૂની સિસ્ટમને મળશે વિદાય
હાલમાં ઉપયોગમાં લેવાતી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ 1986થી કાર્યરત છે. સમય સાથે તેમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હોવા છતાં હવે તેને સંપૂર્ણપણે નવી ટેક્નોલોજીથી અપગ્રેડ કરવામાં આવી રહી છે. નવી સિસ્ટમ વધુ ઝડપથી કાર્ય કરશે અને એકસાથે લાખો ટિકિટ બુકિંગની પ્રક્રિયા સરળતાથી સંભાળી શકશે. ભારતીય રેલવેએ વર્ષ 2002માં ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા શરૂ કરી હતી. આજે મોટાભાગના મુસાફરો મોબાઇલ અને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે ટિકિટ બુક કરે છે. હાલમાં કુલ રેલવે ટિકિટ બુકિંગમાંથી લગભગ 88 ટકા બુકિંગ ઓનલાઈન થઈ રહ્યું છે.
‘રેલવન’ એપ બની મુસાફરોની પ્રથમ પસંદગી
રેલવેની ડિજિટલ પહેલ અંતર્ગત જુલાઈ 2025માં શરૂ કરાયેલી RailOne એપ્લિકેશનને મુસાફરોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. એક વર્ષથી ઓછા સમયમાં એપના 35 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ નોંધાયા છે. આ એપ દ્વારા મુસાફરો ટિકિટ બુકિંગ, કેન્સલેશન, ટ્રેનનું લાઈવ સ્ટેટસ, પ્લેટફોર્મ અને કોચની માહિતી તેમજ ફરિયાદ નોંધાવવાની સુવિધા મેળવી શકે છે. રેલવેના આંકડા મુજબ દરરોજ આશરે 9.29 લાખ ટિકિટો આ એપ મારફતે બુક થઈ રહી છે.
AI જણાવશે ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા
નવી સિસ્ટમની સૌથી ખાસ સુવિધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વેઇટિંગ લિસ્ટ પ્રિડિક્શન ફીચર છે. આ ટેક્નોલોજી વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરોને તેમની ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના અગાઉથી જણાવી દેશે. રેલવેના જણાવ્યા મુજબ શરૂઆતમાં આ સિસ્ટમની ચોકસાઈ લગભગ 53 ટકા હતી, પરંતુ સતત સુધારાઓ બાદ હવે તેની ચોકસાઈ 94 ટકા સુધી પહોંચી ગઈ છે. જેના કારણે મુસાફરો પોતાની મુસાફરીનું વધુ સારી રીતે આયોજન કરી શકે છે.
મુસાફરોને મળશે વધુ ઝડપી અને વિશ્વસનીય સેવા
ઓગસ્ટથી નવી PRS સિસ્ટમના અમલીકરણ બાદ ટિકિટ બુકિંગ પ્રક્રિયા વધુ ઝડપી, સ્માર્ટ અને સુરક્ષિત બનશે. રેલવેનું લક્ષ્ય મુસાફરોને આધુનિક ટેક્નોલોજી આધારિત સીમલેસ ડિજિટલ અનુભવ આપવાનું છે, જેથી ટિકિટ બુકિંગ દરમિયાન થતી ટેકનિકલ સમસ્યાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ શકે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





