ભૂકંપથી ફરી ધરા ધ્રૂજી ઉઠી છે. કચ્છ બાદ ગીર સોમનાથ જીલ્લામાં વહેલી સવારનાં સુમારે ભૂકંપનાં ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં તાલાલામાં એક પછી એક ભૂકંપનાં 3 આંચકા આવતા લોકો ડરનાં માર્યા ઘરની બહાર દોડ્યા હતા. ત્યારે અચાનક ભૂકંપનાં આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
-> તાલાલામાં એક બાદ એક 3 ભૂકંપનાં ઝટકા :- ગીર સોમનાથ જીલ્લાનાં તાલાલામાં સવારનાં સુમારે ભૂકંપનાં આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો. જેમાં પહેલો આંચકો 7.13 મિનિટે આવ્યો હતો. જેની તીવ્રતા 2.1 ની નોંધાવા પામી હતી.બીજો આંચકો 7.15 મિનિટે આવ્યો હતો. જેની તીવ્રતા 1.9 નોંધાવા પામી હતી. જ્યારે ત્રીજો આંચકો 2.3 ની તીવ્રતાનો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટ નોંધાવા પામ્યું છે.
-> કચ્છમાં ભૂકંપનાં આંચકા :- કચ્છમાં નવા વર્ષની શરુઆતમાં ફક્ત ત્રણ દિવસમાં જ બીજીવાર ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રાપરથી લગભગ 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. શુક્રવારે(3 જાન્યુઆરી) સાંજે 4:16 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નોંધનીય છે કે, ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં 1 આંચકાનો સમાવેશ થાય છે.






