જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતા વધી રહી છે. જિલ્લામાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો જોવા મળ્યો છે. દરમિયાન છેલ્લા બે દિવસમાં વધુ ત્રણ બાળ દર્દીઓનાં સારવાર દરમિયાન મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આ સાથે જામનગર જિલ્લામાં ચાંદીપુરા સંબંધિત શંકાસ્પદ કેસોમાં અત્યાર સુધી કુલ 9 બાળકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા બાળ દર્દીઓની સંખ્યા અગાઉ પાંચ સુધી પહોંચી હતી. જોકે, ત્રણ દર્દીઓનાં મોત બાદ હવે હોસ્પિટલમાં બે બાળ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા બંને દર્દીઓની સારવાર અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ધ્રોલના બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ
ધ્રોલ પંથકના એક બાળકમાં ચાંદીપુરા જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. આ બાળકનું ચાર દિવસ અગાઉ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ બાળકના સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. હવે તેનો રિપોર્ટ ચાંદીપુરા વાઇરસ માટે પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે.
આ કેસ પોઝિટિવ આવતા જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે. સંભવિત કેસોની ઓળખ, તપાસ અને જરૂરી આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકાના અન્ય કેસોના રિપોર્ટ નેગેટિવ
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા અન્ય શંકાસ્પદ કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે, ચાંદીપુરાના લક્ષણો ધરાવતા બાળકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
જી.જી. હોસ્પિટલમાં શરૂઆતમાં ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ હતા. ત્યારબાદ પસાયા અને ધ્રોલ પંથકમાંથી વધુ બે બાળકો સારવાર માટે આવતા હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પાંચ થઈ હતી. તેમાંના ત્રણ બાળકોનાં મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ ત્રણ મોત
જામનગર જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ બાળ દર્દીઓના મોતનો આંકડો હવે 9 પર પહોંચ્યો છે. જી.જી. હોસ્પિટલમાં પાંચ શંકાસ્પદ બાળ દર્દીઓનાં મોત થયા બાદ રાજકોટમાં સારવાર લઈ રહેલા જામનગર જિલ્લાના વધુ એક બાળકનું મોત થયું હતું. આ બાળકના સેમ્પલનો રિપોર્ટ ચાંદીપુરા વાઇરસ માટે પોઝિટિવ આવ્યો હતો.
આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન વધુ ત્રણ બાળ દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 9 થયો છે. અત્યાર સુધીના આ કેસોમાં એક બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે અન્ય એક કેસનો રિપોર્ટ આવવાનો બાકી હોવાનું જણાવાયું છે.
ચાંદીપુરા વાઇરસથી કેવી રીતે બચવું?
તબીબોના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાઇરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય એટલે કે એક ખાસ પ્રકારની રેતીમાખીના કરડવાથી ફેલાઈ શકે છે. તેથી બાળકોને માખી અને અન્ય જીવાતોના કરડવાથી બચાવવા માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.
વાલીઓને બાળકોને શક્ય હોય ત્યાં સુધી આખું શરીર ઢંકાય તેવા ફૂલ સાઇઝના કપડાં પહેરાવવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે બાળકોને જીવાતોના સંપર્કથી દૂર રાખવા તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. ઘરની આસપાસ કચરો, ગંદકી કે પાણી ભરાઈ રહે તેવી સ્થિતિ ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
બાળકોમાં આ લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલ પહોંચો
આરોગ્ય વિભાગે લોકોને ચાંદીપુરા રોગથી ગભરાવાની જગ્યાએ સતર્ક રહેવાની અપીલ કરી છે. બાળકોમાં અચાનક તીવ્ર તાવ આવે, શરીરમાં ખેંચ અથવા આંચકી આવે, સતત ઉલટી થાય, ચક્કર આવે અથવા બાળક બેભાન થવા લાગે તો સમય બગાડ્યા વિના નજીકની સરકારી હોસ્પિટલ અથવા તબીબનો સંપર્ક કરવો જોઈએ.
બાળકમાં આવા ગંભીર લક્ષણો જોવા મળે ત્યારે ઘરગથ્થુ ઉપચારમાં સમય વેડફવાને બદલે તાત્કાલિક તબીબી સારવાર મેળવવી અત્યંત જરૂરી છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત અને આસપાસના વિસ્તારોમાં સતત સર્વેલન્સ, તપાસ અને જાગૃતિની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આરોગ્ય તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. સાથે જ વાલીઓને બાળકોના સ્વાસ્થ્ય અંગે કોઈપણ શંકા જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





