અમદાવાદમાં AMTS અને BRTSના 13 ડ્રાઈવરો સસ્પેન્ડ, મુસાફરો સાથે ગેરવર્તન અને ઓવરસ્પીડિંગ બદલ કાર્યવાહી

અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને મુસાફરમૈત્રી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કડક કાર્યવાહી હાથ ધરી છે. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ફરજમાં ગંભીર બેદરકારી, ટ્રાફિક નિયમોનો ભંગ અને મુસાફરો સાથે ગેરવર્તન કરતા કુલ 13 કોન્ટ્રાક્ટ આધારિત બસ ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

AMTSના 10 અને BRTSના 3 ડ્રાઈવરો સામે કાર્યવાહી
AMC દ્વારા શહેરના વિવિધ રૂટ પર અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અનેક ડ્રાઈવરો દ્વારા જાહેર પરિવહનના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના 10 અને બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS)ના 3 ડ્રાઈવરો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.

કઈ બેદરકારી બદલ લેવાયા પગલાં?
ચેકિંગ દરમિયાન સસ્પેન્ડ કરાયેલા ડ્રાઈવરો સામે અનેક ગંભીર ફરિયાદો નોંધાઈ હતી. તેમાં મુખ્યત્વે નિર્ધારિત બસ સ્ટોપ પર બસ ન રોકવી, મુસાફરોને ચઢવા કે ઉતરવાની તક આપ્યા વગર બસ આગળ દોડાવી દેવી, મુસાફરો સાથે અસભ્ય અને ઉદ્ધત વર્તન કરવું તેમજ નિર્ધારિત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપે બસ ચલાવી મુસાફરોની સુરક્ષાને જોખમમાં મૂકવાનો સમાવેશ થાય છે. AMCના જણાવ્યા મુજબ આવી બેદરકારી મુસાફરોના જીવ માટે જોખમરૂપ બની શકે છે, તેથી જવાબદાર ડ્રાઈવરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય ડ્રાઈવરોને પણ ચેતવણી
મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાર્યવાહીનો હેતુ માત્ર નિયમોનો ભંગ કરનારા ડ્રાઈવરો સામે પગલાં લેવાનો જ નહીં, પરંતુ અન્ય તમામ ડ્રાઈવરોને પણ જવાબદારીપૂર્વક ફરજ બજાવવા માટે ચેતવણી આપવાનો છે. AMCએ જણાવ્યું છે કે આગામી સમયમાં પણ જાહેર પરિવહન સેવાઓમાં નિયમિત અને સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રહેશે. મુસાફરોની સુરક્ષા, સમયસર સેવા અને શિસ્તબદ્ધ વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

 

 

 

  • Related Posts

    E20 પેટ્રોલને લઈને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ? કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનો સોશિયલ મીડિયા પર જવાબ

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20)ને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરી છે કે E20 ઇંધણ સંપૂર્ણપણે સુરક્ષિત, વૈજ્ઞાનિક…

    અમદાવાદ એરપોર્ટ પર ₹5.3 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી અંદાજે ₹5.3 કરોડની કિંમતનો 5.36…