E20 પેટ્રોલને લઈને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ? કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનો સોશિયલ મીડિયા પર જવાબ

ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20)ને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરી છે કે E20 ઇંધણ સંપૂર્ણપણે સુરક્ષિત, વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરાયેલું અને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે. તેમણે ઈથેનોલ મિશ્રણ વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલી માહિતી પર સવાલ ઉઠાવતા તેને લોકોમાં ડર ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.

E20 ઇંધણ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું મંત્રીનું નિવેદન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરેલી પોસ્ટમાં હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ભારતમાં એપ્રિલ 2023થી E15, એપ્રિલ 2024થી E19 અને એપ્રિલ 2025થી E20 પેટ્રોલનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી મોટા પાયે તેના ઉપયોગ છતાં કોઈ ગંભીર સમસ્યા નોંધાઈ નથી. મંત્રીના જણાવ્યા મુજબ દેશમાં 20 કરોડથી વધુ ટુ-વ્હીલર અને 20 લાખથી વધુ ફોર-વ્હીલર લાંબા સમયથી સફળતાપૂર્વક E20 ઇંધણનો ઉપયોગ કરી રહ્યા છે.

E85 લોન્ચ બાદ વધી ટીકાઓ
હરદીપ સિંહ પુરીએ દાવો કર્યો કે 5 જૂને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે E85 ઇંધણ લોન્ચ થયા બાદ સોશિયલ મીડિયા પર ઈથેનોલ મિશ્રિત ઇંધણ વિરુદ્ધ નકારાત્મક અભિયાન તેજ બન્યું છે. તેમના મતે, સમયક્રમને જોતા આ માત્ર સંયોગ નથી અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ઊર્જા સુરક્ષા માટે ઈથેનોલ મહત્વપૂર્ણ
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારત પોતાની કુલ જરૂરિયાતના 85 ટકાથી વધુ ક્રૂડ ઓઇલની આયાત કરે છે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ વધારવો દેશની ઊર્જા સુરક્ષા માટે જરૂરી છે. તેમણે જણાવ્યું કે પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ વધારવાથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો થાય છે, વિદેશી હૂંડિયામણની બચત થાય છે અને વૈશ્વિક તેલના ભાવમાં આવતી અસ્થિરતાનો પ્રભાવ પણ ઓછો થાય છે.

ખેડૂતોને પણ મળશે લાભ
મંત્રીના જણાવ્યા અનુસાર ઈથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ ખેડૂતો માટે આવકનું વધારાનું સાધન બન્યો છે. શેરડી અને અન્ય કૃષિ પાકમાંથી બનતા ઈથેનોલની માંગ વધવાથી ખેડૂતોને વધારાની આવક મળે છે. તેમણે કહ્યું કે આ યોજનાએ દેશના ‘અન્નદાતા’ને ‘ઊર્જાદાતા’ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદરૂપ
હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે E20 ઇંધણનો ઉપયોગ હાનિકારક ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ બને છે અને સ્વચ્છ ઊર્જા તરફ ભારતના પરિવર્તનને વેગ આપે છે. તેમના જણાવ્યા મુજબ E20 વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરાયેલું અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય ઇંધણ છે.

રાજકીય કારણોથી વિરોધનો આક્ષેપ
કેન્દ્રીય મંત્રીએ યાદ અપાવ્યું કે ઈથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમની શરૂઆત અગાઉની કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં થઈ હતી. તેમના મતે, હાલ તેના ઝડપી વિસ્તરણનો વિરોધ કેટલાક રાજકીય કારણોસર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઈથેનોલ મિશ્રણ કાર્યક્રમ ભારતને ઊર્જા ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવશે, આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડશે અને વૈશ્વિક ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ સામે દેશની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.

  • Related Posts

    હરિયાણવી એક્ટર અંકિત બાલિયાનની ગોળી મારી હત્યા, જિમમાંથી બહાર નીકળતા કરાયો હુમલો

    ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં બુધવારે સાંજે એક ચકચારી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જાણીતા એક્ટર અને યુટ્યુબર અંકિત બાલિયાનની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. પ્રાથમિક માહિતી મુજબ, અંકિત બાલિયાન જિમમાંથી વર્કઆઉટ કરીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અંકિતને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અંકિતની જિમની બહાર હુમલાખોરોએ કર્યો ગોળીબાર મળતી માહિતી પ્રમાણે, ઘટના શામલી કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બની હતી. અંકિત બાલિયાન સાંજના સમયે જિમમાં ગયા હતા. તેઓ વર્કઆઉટ પૂર્ણ કરીને જિમની બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા બદમાશોએ તેમના પર તાબડતોડ ગોળીબાર શરૂ…

    નેપાળમાં વિનાશક પૂર બાદ ભારત એક્શનમાં, IAFનું 10 ટન રાહત સામગ્રી સાથે વિમાન રવાના

    નેપાળના હિમાલયી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર અને અચાનક આવેલા જળપ્રલય બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. કુદરતી આપદામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે ભારતીય પ્રવાસીઓ સહિત આશરે 400 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે ભારત સરકારે નેપાળની મદદ માટે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. ભારતીય વાયુસેનાનું વિશેષ વિમાન રાહત સામગ્રી અને જરૂરી દવાઓ સાથે નેપાળ માટે રવાના કરવામાં આવ્યું છે. 10 ટન HADR સામગ્રી સાથે IAFનું વિમાન રવાના નેપાળમાં પૂર અને જળપ્રલયથી પ્રભાવિત લોકો સુધી તાત્કાલિક માનવતાવાદી સહાય પહોંચાડવા માટે ભારતીય વાયુસેના એટલે કે IAF દ્વારા વિશેષ વિમાન મોકલવામાં આવ્યું છે. આ વિમાનમાં આશરે 10 ટન HADR એટલે કે Humanitarian Assistance and Disaster…