ચીનની શૂઝ ફેક્ટરીમાં ભીષણ આગ, 28 લોકોના મોત; બચાવ માટે 183 ફાયરફાઈટર તૈનાત

ચીનના પૂર્વીય ફુજિયાન પ્રાંતમાં આવેલી એક શૂઝ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ગુરુવારે જિનજિયાંગ શહેરના ચેન્ડાઈ ટાઉનશિપ વિસ્તારમાં આવેલી હુઈટેંગ શૂઝ ફેક્ટરીમાં બની હતી. આગ લાગ્યા બાદ સમગ્ર ઈમારત થોડી જ મિનિટોમાં આગની ઝપેટમાં આવી ગઈ હતી.

ફેક્ટરીમાં ફસાયા અનેક કામદારો
સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 12:04 વાગ્યે આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતા ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ફેક્ટરીમાંથી ઊંચી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી, જ્યારે કેટલાક લોકો ઈમારતની છત પર ફસાયેલા નજરે પડ્યા હતા.

બચાવ કામગીરીમાં 183 ફાયરફાઈટર જોડાયા
ઘટનાની જાણ થતાં ક્વાનઝોઉ શહેરમાંથી 183 ફાયરફાઈટર અને 35 ફાયર એન્જિનને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ ઓપરેશન બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમોએ ફેક્ટરીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કર્યા હતા.

રાષ્ટ્રપતિ શી જિનપિંગે આપ્યા તપાસના આદેશ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘટનાને ગંભીર ગણાવી અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા, મૃતકોના પરિવારજનોને જરૂરી સહાય પહોંચાડવા અને આગના કારણોની ઝડપથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે.

વિશેષ તપાસ ટીમની રચના
ચીનના ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે જણાવ્યું છે કે આગના કારણોની તપાસ અને બચાવ કામગીરીની દેખરેખ માટે વિશેષ સંયુક્ત ટાસ્ક ફોર્સ મોકલવામાં આવી છે.

ફૂટવેર ઉત્પાદનનું મહત્વનું કેન્દ્ર
ચેન્ડાઈ ટાઉનશિપ ચીનના સૌથી મોટા ફૂટવેર ઉત્પાદન કેન્દ્રોમાંનું એક માનવામાં આવે છે. અહીં દર વર્ષે એક અબજથી વધુ સ્પોર્ટ્સ શૂઝનું ઉત્પાદન થાય છે અને વિશ્વના અનેક દેશોમાં તેની નિકાસ કરવામાં આવે છે. હાલ અધિકારીઓ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહ્યા છે, જ્યારે મૃતકોની ઓળખ અને ઘટનાની સંપૂર્ણ વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે.

 

 

 

 

  • Related Posts

    E20 પેટ્રોલને લઈને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ? કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનો સોશિયલ મીડિયા પર જવાબ

    ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20)ને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરી છે કે E20 ઇંધણ સંપૂર્ણપણે સુરક્ષિત, વૈજ્ઞાનિક…

    અમદાવાદ એરપોર્ટ પર ₹5.3 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ

    અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી અંદાજે ₹5.3 કરોડની કિંમતનો 5.36…