ચીનની શૂઝ ફેક્ટરીમાં ભીષણ આગ, 28 લોકોના મોત; બચાવ માટે 183 ફાયરફાઈટર તૈનાત

ચીનના પૂર્વીય ફુજિયાન પ્રાંતમાં આવેલી એક શૂઝ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ગુરુવારે જિનજિયાંગ શહેરના ચેન્ડાઈ ટાઉનશિપ વિસ્તારમાં આવેલી હુઈટેંગ શૂઝ ફેક્ટરીમાં બની હતી. આગ લાગ્યા બાદ સમગ્ર ઈમારત થોડી જ મિનિટોમાં આગની ઝપેટમાં આવી ગઈ હતી.

ફેક્ટરીમાં ફસાયા અનેક કામદારો
સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ 12:04 વાગ્યે આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતા ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ફેક્ટરીમાંથી ઊંચી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી, જ્યારે કેટલાક લોકો ઈમારતની છત પર ફસાયેલા નજરે પડ્યા હતા.

બચાવ કામગીરીમાં 183 ફાયરફાઈટર જોડાયા
ઘટનાની જાણ થતાં ક્વાનઝોઉ શહેરમાંથી 183 ફાયરફાઈટર અને 35 ફાયર એન્જિનને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ ઓપરેશન બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમોએ ફેક્ટરીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કર્યા હતા.

રાષ્ટ્રપતિ શી જિનપિંગે આપ્યા તપાસના આદેશ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘટનાને ગંભીર ગણાવી અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા, મૃતકોના પરિવારજનોને જરૂરી સહાય પહોંચાડવા અને આગના કારણોની ઝડપથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે.

વિશેષ તપાસ ટીમની રચના
ચીનના ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે જણાવ્યું છે કે આગના કારણોની તપાસ અને બચાવ કામગીરીની દેખરેખ માટે વિશેષ સંયુક્ત ટાસ્ક ફોર્સ મોકલવામાં આવી છે.

ફૂટવેર ઉત્પાદનનું મહત્વનું કેન્દ્ર
ચેન્ડાઈ ટાઉનશિપ ચીનના સૌથી મોટા ફૂટવેર ઉત્પાદન કેન્દ્રોમાંનું એક માનવામાં આવે છે. અહીં દર વર્ષે એક અબજથી વધુ સ્પોર્ટ્સ શૂઝનું ઉત્પાદન થાય છે અને વિશ્વના અનેક દેશોમાં તેની નિકાસ કરવામાં આવે છે. હાલ અધિકારીઓ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહ્યા છે, જ્યારે મૃતકોની ઓળખ અને ઘટનાની સંપૂર્ણ વિગતો એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે.

 

 

 

 

  • Related Posts

    બિહાર : ભાગલપુરમાં ગંગા નદીમાં 21 શ્રમિકો સાથે બોટ પલટી : 19નો બચાવ, 2 લાપતા

    બિહારના ભાગલપુર જિલ્લામાં બુધવારે ગંગા નદીમાં એક મોટી બોટ દુર્ઘટના સર્જાતા ખળભળાટ મચી ગયો હતો. નવગછિયા વિસ્તારમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે જઈ રહેલા 21 શ્રમિકોને લઈને જળ સંસાધન વિભાગની બોટ અચાનક તેજ પ્રવાહમાં પલટી ગઈ હતી. દુર્ઘટના બાદ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી. અત્યાર સુધીમાં 19 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બે શ્રમિકો હજુ પણ લાપતા છે. SDRFના ગોતાખોરો દ્વારા બંને લાપતા શ્રમિકોની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બપોરે 2:30 વાગ્યે બની બોટ દુર્ઘટના મળતી માહિતી પ્રમાણે, નવગછિયાના રાઘોપુર વિસ્તારમાં પાળ તૂટ્યા બાદ પૂર રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે જળ સંસાધન વિભાગ સાથે જોડાયેલા શ્રમિકો બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ…

    ઇરાનના તેલને લઈને અમેરિકા-ચીન આમનેસામને, ‘ઇકોનોમિક ડી-ડે’થી વધી શકે છે ટેરિફ વોરની ભીતિ

    અમેરિકા અને ચીન વચ્ચે ઇરાનના તેલના મુદ્દે ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. અમેરિકી ટ્રમ્પ વહીવટીતંત્રે ઇરાન સામે આર્થિક દબાણ વધારવા માટે કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ઇરાનની અર્થવ્યવસ્થાને નબળી પાડવા માટે મોટા પાયે નાણાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે. બીજી તરફ ચીને અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ચીનની કંપનીઓ અને તેના કાયદેસર આર્થિક હિતોને નિશાન બનાવવામાં આવશે તો બેઇજિંગ પોતાના અધિકારો અને હિતોની રક્ષા માટે જરૂરી તમામ પગલાં લેશે. ચીને અમેરિકાને આપી સીધી ચેતવણી ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને અમેરિકાની નવી પ્રતિબંધ નીતિનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ચીન ઇરાન સાથેનો સહકાર આંતરરાષ્ટ્રીય કાયદાના માળખામાં રહીને કરે છે અને તેમાં કોઈ બાહ્ય દેશે દખલ ન કરવી જોઈએ.…