અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડાં ખાખ; 200થી વધુ પરિવારો અસરગ્રસ્ત

અમદાવાદ શહેરના વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર મેટ્રો સ્ટેશન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં અનેક ઝૂંપડાં તેની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, ધોમધખતા ઉનાળાના તાપ વચ્ચે અચાનક ઝૂંપડપટ્ટીના એક ભાગમાં આગ ફાટી નીકળી હતી. પવન અને ઝૂંપડાંમાં રહેલી જ્વલનશીલ સામગ્રીના કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.

8 ફાયર ફાઇટર અને ટેન્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ એક્શન મોડમાં આવી ગઈ હતી. કંટ્રોલ રૂમમાંથી મળેલા સંદેશા બાદ તાત્કાલિક આઠ ફાયર ફાઇટર વાહનો અને પાણીના ટેન્કરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ફાયર કર્મચારીઓએ યુદ્ધના ધોરણે બચાવ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ પર મહદઅંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ગરીબ પરિવારોનું ઘરવખરીનું નુકસાન
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારમાં અંદાજે 200 જેટલા ઝૂંપડાં આવેલા છે, જેમાં મોટાભાગે શ્રમિક અને ગરીબ પરિવારો રહે છે. આગની ઘટનામાં 60થી વધુ ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઝૂંપડાંમાં રહેલું ઘરવખરીનું સામાન, અનાજ, કપડાં અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ આગમાં બળી જતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આગના કારણે ગરીબ પરિવારોની વર્ષોની મહેનત અને જીવનભરનો સંગ્રહ પળવારમાં રાખ બની ગયો હતો.

મેયર હિતેશ બારોટ ઘટના સ્થળે પહોંચ્યા
ઘટનાની જાણ થતાં અમદાવાદના મેયર હિતેશ બારોટ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “ઝૂંપડપટ્ટીના કોઈ એક ભાગમાં આગ લાગી હશે અને પવનના કારણે તે ઝડપથી અન્ય ઝૂંપડાંઓમાં ફેલાઈ ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટના છતાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે સમયસર કામગીરી કરીને આગ પર કાબૂ મેળવી લીધો છે.”

જાનહાનિ ટળી, તંત્રે લીધો રાહતનો શ્વાસ
આ ભીષણ અગ્નિકાંડમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય અને રાહત પહોંચાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આગની ઘટનામાં અનેક પરિવારોનો આશરો અને ઘરવખરીનો સામાન નષ્ટ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

 

  • Related Posts

    શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

    ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…

    NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

    નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…