માતરના ગરમાળા ગામે વેપારી પરિવાર પર હુમલો, 5 સામે ગુનો નોંધાયો; 4 આરોપીઓ ઝડપાયા

ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાળા ગામમાં નજીવી બાબતને લઈને વેપારી પરિવાર પર થયેલા હુમલાની ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દુકાનમાં મોરસ (ખાંડ) બાંધવા માટે કાગળ ફાડવાની સામાન્ય બાબતને લઈને શરૂ થયેલી બોલાચાલી બાદ કેટલાક અસામાજિક તત્વોએ દુકાનમાં ઘૂસીને વેપારી અને તેના પરિવારજનો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દુકાનમાં ઘૂસીને હુમલો અને તોડફોડ
મળતી માહિતી અનુસાર, ગરમાળા ગામની GIDC વિસ્તારમાં આવેલી દુકાનમાં સામાન્ય તકરાર બાદ 5થી 6 વ્યક્તિઓએ એકજૂથ થઈને વેપારી પરિવાર પર હુમલો કર્યો હતો. આરોપીઓએ દુકાનમાં ઘૂસીને તોડફોડ કરી હતી તેમજ લાકડીઓ અને ખુરશીઓ વડે મારામારી કરી હતી. હુમલા દરમિયાન વેપારીના માથામાં પ્લાસ્ટિક અને લોખંડની ખુરશી ફટકારાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બચાવવા આવેલા લોકોને પણ ન છોડ્યા
પરિવારના અન્ય સભ્યોને પણ હુમલાખોરોએ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઉપરાંત, ઝઘડો રોકવા અને ઇજાગ્રસ્તોને બચાવવા વચ્ચે પડેલા સ્થાનિક લોકોને પણ હુમલાખોરોએ માર માર્યો હતો. ઘટનાસ્થળે જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા છે.

વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં
મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પરિસ્થિતિ તંગ બનતાં માતર પોલીસ અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

5 આરોપીઓ સામે ગુનો દાખલ
માતર પોલીસે ઇજાગ્રસ્ત પરિવારના સભ્યોના નિવેદન અને ઉપલબ્ધ વીડિયો પુરાવાના આધારે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદમાં સામેલ આરોપીઓના નામ આ મુજબ છે:
– રેશમાબાનુ દિવાન
– રજ્જાકશા દિવાન
– આરીફઅલી સૈયદ
– મુસ્તાકશા દિવાન
– નાસીરશા દિવાન
પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 હેઠળ રાયોટિંગ, હુમલો, તોડફોડ અને ગુનાહિત ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

4 આરોપીઓ ઝડપાયા
પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં પાંચમાંથી ચાર આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે. બાકીના આરોપીને પકડવા માટે તપાસ અને શોધખોળ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

 

 

 

  • Related Posts

    ઓમાનના દરિયામાં તેલ ટેન્કર પર હુમલાનો દાવો, 3 ભારતીય નાવિકો લાપતા હોવાની માહિતી

    ઓમાનના દરિયાકાંઠે એક ઓઇલ અને કેમિકલ ટેન્કર પર હુમલો થયાની માહિતી સામે આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, જહાજમાં કુલ 28 ક્રૂ સભ્યો સવાર…

    અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડાં ખાખ; 200થી વધુ પરિવારો અસરગ્રસ્ત

    અમદાવાદ શહેરના વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર મેટ્રો સ્ટેશન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે…