કેન્દ્ર સરકાર આજે સંસદમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ એટલે કે એક દેશ, એક ચૂંટણી બિલ રજૂ કરી રહી છે. વિપક્ષ એક દેશ એક ચૂંટણીનો સતત વિરોધ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટપણે સમજી શકાય છે કે લોકસભામાં આજની કાર્યવાહી તોફાની થવાની છે.આ બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીને પણ મોકલવા માંગે છે. જો JPC મંજૂરી આપે છે અને બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર થઈ જાય છે, તો તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતાં જ આ બિલ કાયદો બની જશે. જો આમ થશે તો 2029 સુધીમાં દેશભરમાં એક સાથે ચૂંટણી યોજાશે.
-> વન નેશન વન ઇલેક્શન એટલે શું? :- હાલમાં ભારતમાં, રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ.
-> સરકાર એક સાથે ચૂંટણી શા માટે ઈચ્છે છે? :- નવેમ્બર 2020 માં, પીએમ નરેન્દ્ર મોદીએ ઘણા મંચો પર ‘વન નેશન વન ઇલેક્શન’ પર વાત કરી હતી. તેમણે કહ્યું છે કે, “એક દેશ, એક ચૂંટણી એ માત્ર ચર્ચાનો વિષય નથી, પરંતુ ભારતની જરૂરિયાત છે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ યોજાતી રહે છે. તેની અસર વિકાસના કામ પર પડે છે.વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ આખા દેશમાં એકસાથે થાય તો ચૂંટણીઓ પાછળ થતા ખર્ચમાં ઘટાડો થશે.
-> આ બિલની વિરોધમાં શું દલીલો આપવામાં આવી રહી છે? :- વિપક્ષ વન નેશન વન ઈલેક્શનને લઈને અનેક પ્રકારની દલીલો કરી રહ્યો છે. કોંગ્રેસની દલીલ છે કે જો ચૂંટણી એકસાથે યોજાય તો મતદારોના નિર્ણયને અસર થવાની સંભાવના છે. જો 5 વર્ષમાં એકવાર ચૂંટણી થાય તો સરકારની જનતા પ્રત્યેની જવાબદારી ઓછી થશે.








