‘ફરી હુમલો થયો તો 90% યુરેનિયમ સંવર્ધન કરીશું’: ઈરાનની અમેરિકાને મોટી ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે. યુદ્ધવિરામ હાલ માત્ર નામ પૂરતું જ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને બંને દેશો વચ્ચે ફરીથી સંઘર્ષ ભભૂકી શકે તેવી અટકળો વચ્ચે ઈરાને અમેરિકાને મોટી ચેતવણી આપી છે. ઈરાની સંસદના પ્રવક્તા ઇબ્રાહિમ રેઝાઈએ મંગળવારે જણાવ્યું કે જો ઈરાન પર ફરી હુમલો કરવામાં આવશે તો દેશ યુરેનિયમને 90 ટકા સુધી સંવર્ધિત કરી શકે છે. નિષ્ણાતો મુજબ 90 ટકા સુધી સંવર્ધિત યુરેનિયમ પરમાણુ હથિયાર બનાવવા માટે યોગ્ય માનવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર આપી ચેતવણી
રેઝાઈએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “જો ફરી હુમલો થશે તો ઈરાન 90 ટકા સંવર્ધન તરફ આગળ વધી શકે છે. આ મુદ્દે સંસદમાં સમીક્ષા કરવામાં આવશે.” આ નિવેદન પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી ગઈ છે, કારણ કે ઈરાન પહેલાથી જ મોટા પ્રમાણમાં ઉચ્ચ સ્તરનું સંવર્ધિત યુરેનિયમ ધરાવે છે.

400 કિલોગ્રામ યુરેનિયમને લઈને સસ્પેન્સ
ગયા જૂનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના પરમાણુ મથકોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ 12 દિવસ સુધી ચાલેલા હુમલામાં ઈરાનની યુરેનિયમ સંવર્ધન ક્ષમતાને ગંભીર અસર થઈ હતી. તેમ છતાં, ઈરાન પાસે રહેલા આશરે 400 કિલોગ્રામ 60 ટકા સંવર્ધિત યુરેનિયમનું શું થયું તે હજુ સ્પષ્ટ નથી. અમેરિકન ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે જ્યાં સુધી આ ભંડાર નષ્ટ કે દૂર નહીં થાય ત્યાં સુધી ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સંપૂર્ણ અસર નહીં પડે.

પરમાણુ મુદ્દે અમેરિકા-ઈરાન આમને સામને
ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને જ અમેરિકા અને ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ હુમલો કર્યો હતો. હાલ તાત્કાલિક યુદ્ધવિરામ લાગુ છે, પરંતુ બંને પક્ષો વચ્ચે સ્થાયી સમાધાનની કોઈ સંભાવના દેખાતી નથી. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પોતાનો ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમનો જથ્થો દેશની બહાર મોકલે અને સ્થાનિક સ્તરે યુરેનિયમ સંવર્ધન બંધ કરે. બીજી તરફ ઈરાનનું કહેવું છે કે પરમાણુ મુદ્દે ચર્ચા બાદમાં થવી જોઈએ.

‘અમારો જવાબ અમેરિકાને ચોંકાવી દેશે’
ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે પણ કડક વલણ અપનાવતા કહ્યું કે અમેરિકા પાસે ઈરાનના અધિકારો સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે જણાવ્યું કે, “ઈરાની સશસ્ત્ર દળો કોઈપણ આક્રમણનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે. અમે દરેક વિકલ્પ માટે તૈયાર છીએ અને અમારો જવાબ એવો હશે કે અમેરિકા ચોંકી જશે.”

 

 

  • Related Posts

    Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

    ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

    #Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

    સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.