પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો: વિસ્ફોટકોથી ભરેલી રિક્ષામાં બ્લાસ્ટ, 8ના મોત, 35થી વધુ ઘાયલ

પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભયાનક આત્મઘાતી હુમલો થયો છે. લક્કી મારવત જિલ્લામાં વિસ્ફોટકોથી ભરેલી રિક્ષામાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે, જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

નૌરંગ બજારના ફાટક ચોક પર બ્લાસ્ટ
જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આત્મઘાતી બોમ્બર વિસ્ફોટકોથી ભરેલી રિક્ષામાં સવાર હતો અને તેણે નૌરંગ બજારના ફાટક ચોક વિસ્તારમાં પોતાને ઉડાવી દીધો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મૃતકોમાં બે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘટનાના તરત બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર
હુમલા બાદ નજીકની હોસ્પિટલોમાં તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તમામ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને ફરજ પર બોલાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ મોહમ્મદ ઇશાકના જણાવ્યા મુજબ વિસ્ફોટ બાદ 37 જેટલા ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

બચાવ કામગીરી ચાલુ
વિસ્ફોટ બાદ બચાવ ટીમો અને કટોકટી સેવાઓ દ્વારા વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. તાજેતરના સમયમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકી હુમલાઓમાં વધારો નોંધાયો છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઉભા થયા છે.

 

 

  • Related Posts

    ઝારખંડ : બાબા વૈદ્યનાથ ધામમાં VIP દર્શન પર પ્રતિબંધ, સુરક્ષા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ

    ઝારખંડના પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામ અને બાસુકીનાથ મંદિરમાં આ વર્ષે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય શ્રદ્ધાળુઓને સરળ અને સમાન રીતે દર્શન મળી રહે તે માટે…

    સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: લિફ્ટ અકસ્માતમાં ડેવલોપર, મેઈન્ટેનન્સ કંપની અને બિલ્ડિંગ માલિક જવાબદાર ગણાશે

    લિફ્ટ અકસ્માતોને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે લિફ્ટમાં સર્જાતા અકસ્માત માટે માત્ર એક જ પક્ષને જવાબદાર ઠેરવી શકાય નહીં. લિફ્ટ…